Mar 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-763

(૮૪) શિખીધ્વજનો વૈરાગ્ય અને વનગમન
વસિષ્ઠ કહે છે કે-હે રામ,ત્યાર પછી જેમ, સંતાન નાશ પામવાથી પુરુષ શોકથી અંધ બની જાય,તેમ શિખીધ્વજ રાજા,તત્વજ્ઞાન-રૂપ શાંતિ વિના ખુબ દુઃખી થતો હતો.ચિત્તમાં દુઃખ-રૂપ અગ્નિ સળગવા લાગતાં,અને પોતે પ્રાપ્ત કરેલી સંપત્તિ,આગના ભડકા જેવી લાગતાં,તેનું મન કંઈ પણ આનંદ પામતું નહોતું.
તેનું મન કોઈ એકાંત પ્રદેશમાં જઈને રહેવાની ઈચ્છા કરતું હતું.

હે રામચંદ્રજી,તમારી જેમ,એ રાજાને પણ તેના અનુચરો જ ધારણા અને વિનયનાં વચનો વડે બોધ કરીને,
તેને દિવસના કર્મો કરાવતા હતાં.અત્યંત વૈરાગ્ય-વાળો થયેલ તે શિખીધ્વજ રાજા,પોતાની રાજ્ય-લક્ષ્મી ભોગવવામાં,પણ ખેદ પામતો હતો.તે દાન કરતો,વ્રત કરતો,કે પુણ્ય-તીર્થો માં ફરતો હતો-
તે છતાં તેનું મન કશાથી સંતોષ પામતું નહોતું.તેનું શરીર રાત્રિ-દિવસની ચિંતાથી શોષાવા લાગ્યું.
ત્યારે તેણે એક દિવસ એકાંતમાં પોતાની પાસે બેઠેલી ચૂડાલા રાણીને મધુર વાણીથી કહ્યું કે-

"ઘણા લાંબા કાળ સુધી મેં રાજ્યનો ઉપભોગ કર્યો અને વૈભવો પણ ભોગવ્યા.
પણ હવે મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે,જેથી હું વનમાં જવાનું વિચારું છું.
કેમ કે-વનમાં રહેનારા મુનિને સુખ-દુઃખ,વિપત્તિ-સંપત્તિ-એ કશું આવતું નથી.
વનમાં રહેનાર પુરુષને દેશના નાશની કે રણ-સંગ્રામમાં થતા માણસોના ક્ષયની પીડા ખમવી પડતી નથી,
તેથી રાજ્યના કરતાં વનવાસમાં વધારે સુખ છે.એકાંતમાં રહેવાથી મન જેવું શુદ્ધ અને પ્રસન્ન રહે છે-
તેવું ચંદ્ર-લોકમાં કે ઇન્દ્ર-લોકમાં રહેવાથી પણ પ્રસન્ન થતું નથી.
હે પ્રિયે,મારા આ ઉત્તમ વિચારમાં તારે વિઘ્ન નાખવું જોઈએ નહિ,
કેમ કે કુલીન સ્ત્રીઓ સ્વપ્નમાં પણ પોતાના પતિની ઈચ્છાનો ભંગ કરતી નથી.

ચૂડાલા કહે છે કે-જે સમયમાં જે કામ કરવું યોગ્ય હોય,તે સમયમાં જ તે કરવામાં આવે તો શોભે છે.
વૃદ્ધાવસ્થાને લીધે જેનો દેહ ઘરડો થઇ ગયો હોય,તેવાઓએ વનવાસ કરવો ઘટે છે,પરંતુ તમારા જેવા યુવાનો ને તે વાત કરવી ઘટતી નથી.માટે મને આ ઠીક લાગતું નથી.હે રાજા,પ્રજા રક્ષણના કામને છોડી દેનાર રાજાને,
રાજ્યનાં કેટલાંક છિદ્રો ઉઘાડાં થઇ જવાને લીધે,મોટું પાપ લાગે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE