Jul 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-849

"વિચારણા" નામે કહેવાતી "બીજી ભૂમિકા" માં આવેલા યોગી શ્રુતિ,સ્મૃતિ અને સદાચારનું
તથા યમ-નિયમ-આદિ બીજાં સાધનરૂપ અંગો સહિત,ધારણા-ધ્યાન અને ધ્યાન-રૂપ કર્મને બતાવનાર યોગમાંર્ગનું અનુષ્ઠાન કરે છે,એના માટે, (યોગમાર્ગ) સંબંધી,સુંદર વિવેચન કરતા,શ્રેષ્ઠ પંડિતોનો શિષ્ય-રૂપે શરણાગત થઇ તે આશ્રય કરે છે અને તે શ્રેષ્ઠ પંડિત પદોનો અને તેના અર્થોનો જાણકાર હોવાથી,તેના મુખથી જ્ઞાન-શાસ્ત્રનું શ્રવણ કરી,કર્મકાંડ અને જ્ઞાનકાંડના અર્થને ગ્રહણ કરી લે છે.

બહાર માત્ર લોક-મર્યાદા અનુસાર,સહેજસાજ સ્વીકારેલા,પણ અંદર નહિ,એવા
મદ-મોહ-લોભ-માત્સર્ય-વગેરેને એ પુરુષ ત્યજી દે છે,અને એ પ્રમાણે એ શુભ બુદ્ધિ-વાળો મહાત્મા,
શાસ્ત્રોના,ગુરુના,સત્પુરુષોના સેવનથી,બધું ય રહસ્ય બરાબર સમજી લે છે.
ત્યાર પછી,એ મનોહર મુમુક્ષુ,અતિ-સુખ આપનારી "ત્રીજી ભૂમિકા" માં જાય છે.

"ત્રીજી ભૂમિકા" કે જે "અસંગ કે અસંસક્તિ" નામથી પણ ઓળખાય છે.
ગામમાં વિક્ષેપને લીધે,સમાધિનો બરાબર અભ્યાસ થઈ શકવાના ભયથી,તે નીતિમાન યોગી,પોતાનું ચિત્ત
ઉપરામ પામી ગયેલું હોવાને લીધે,અસંગ-પણાના સુખથી,વનવાસ-વિહારમાં જ પોતાનો બાકી રહેલ સમય
કાઢે છે.એ કુશળ યોગી,ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થયા પછી,પોતાની મેળે જ "બે પ્રકારના અસંગ-પણા"નો
અનુભવ કરે છે.અને તે બે પ્રકારના અસંગ-પણામાં,એક "સામાન્ય" છે અને બીજો "શ્રેષ્ઠ" છે.

"હું સાક્ષી-રૂપ હોવાથી "કર્તા" પણ નથી કે "ભોક્તા" પણ નથી,
તેમ,"બાધ્ય" (બીજા તરફથી બાધ લાગે તેવો) કે "બાધક" (બીજાને બાધ લગાડે તેવો) પણ નથી"
એવા નિશ્ચયથી,સર્વ દૃશ્ય પદાર્થોમાં,અસંગ-પણે રહેવું,તે "સામાન્ય-અસંગ" કહેવાય છે.

"સુખ કે દુઃખ,જે કંઈ પ્રાપ્ત થાય છે તે,પહેલાં કરેલાં કર્મો વડે રચાયેલું છે,ને ઈશ્વરને આધીન છે,
વળી અનેક પ્રકારના ભોગો તો મહા-રોગો જેવા છે,જે જે ઇષ્ટ વસ્તુઓના સંયોગો થાય છે,
તે પણ પરિણામે તો વિયોગ-વાળા જ છે.બુદ્ધિને જ અનેક આધિ-વ્યાધિઓ આવી વળગે છે
અને કાળ સર્વ પદાર્થોને ગળી જવા નિરંતર તાકીને ઉભો છે"
એવી રીતની સર્વ પદાર્થોની અનાસ્થાને લીધે,બીજા કશામાં ચિત્ત નહિ રોકાતાં,અધ્યાત્મ-શાસ્ત્રોના અર્થમાં જ
ચિત્ત લાગી જઈ,અંદર કોઈ પણ ભાવના જ ના થાય-એ પણ એક "સામાન્ય અસંગ" કહેવાય છે.

સર્વના સાર-રૂપ,આત્મતત્વ,બરાબર સ્પષ્ટ રીતે અનુભવમાં આવી ગયાથી,"હું કર્તા નથી,ઈશ્વર જ કર્તા છે અને મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ અને હમણાંનું ક્રિયમાણ-કર્મ-એ કશું -વસ્તુતઃ છે જ નહિ" વગેરે "વિકલ્પો"વાળા
સર્વ શબ્દોના અનર્થોની ભાવનાને,દુર મૂકી દઈ,મૌનપણાથી મન-વાણી-ચક્ષુ-વગેરેના વ્યવહારો દુર કરી,
"મોટું મૌન" ધારણ કરી સ્થિર થવું તે "શ્રેષ્ઠ અસંગ" કહેવાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE