Sep 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-911

(23) મંકિઋષિને તત્વજિજ્ઞાસા

વસિષ્ઠ કહે છે કે-મંકિઋષિની માફક તમે પણ વૈરાગ્ય-વાસના વડે,બીજી સર્વ સંસાર સંબંધી વાસનાને દૂર કરો.
સ્વભાવે જ અજ્ઞાનથી જોવામાં આવતા આ સંસારમાંથી તમે "તત્વજ્ઞાન" વડે જાગ્રત થાઓ,અને,
જીવનમુક્તના શુભ ચિહ્નો ધારણ કરીને મોક્ષ-રૂપ-પરમપદ ને પ્રાપ્ત થાઓ.

પૂર્વકાળમાં મંકિ નામનો એક પવિત્ર બ્રાહ્મણ હતો,તે મારા ઉપદેશ વડે શી રીતે મોક્ષને પ્રાપ્ત થયો હતો,
તે તમે સાંભળો.પૂર્વે એક દિવસ તમારા પિતામહ અજરાજાના યજ્ઞના કામમાં મને આમંત્રણ આવ્યું હોવાથી,
હું,આકાશમાંથી પુથ્વી પર આવી મોટા જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો,ત્યારે મારી આગળ થાકથી હાંફતો હાંફતો,એક મુસાફર  કંઇક અસ્પષ્ટ વાણીથી કહેતો હતો-

" હાય ! સખત તડકા વડે તાપ આપનાર આ સૂર્ય,પાપી દુર્જનોના સમાગમની જેમ મને ખેદ ઉપજાવે છે.માટે હું હાલ આ પાસે રહેલ ગામમાં જાઉં,અને ત્યાં થાક ઉતારી,ફરી પાછો ઉતાવળો ચાલીને રસ્તે પડું"
આવો વિચાર કરી તે પાસેના ભીલોના ગામમાં જવાની ઈચ્છા કરતો હતો,ત્યારે મેં તેને નીચે પ્રમાણે કહ્યું.

(વસિષ્ઠ મંકિઋષિને કહે છે કે) દરિદ્ર મનુષ્યો સુદ્ધાંને સુગમ-એવા માર્ગને ન જાણનારા,
સુંદર અને નિર્જળ માર્ગના મહા-અરણ્યમાં,ઓ વટેમાર્ગુ (મિત્ર) તું ભલે અહી આવ્યો.
(નોંધ-અહીં શ્લેષ (અલંકાર) વડે એમ કહે છે કે-હે,જ્ઞાનથી નીચી કોટિના (કર્મ-ઉપાસનાના) માર્ગમાં ચાલનાર,
મુસાફર,કર્મ-ઉપાસના વડે મળનારા માર્ગમાં તને સ્વર્ગ-આદિ લોકમાં વિશ્રાંતિ મળી હશે,પણ,મોક્ષમાર્ગની જેમ,પુનર્જન્મને ન થવા દેનારી અખંડ વિશ્રાંતિ તને હજુ મળી નથી)

પૃથ્વીના નીચેના માર્ગમાં ચાલનાર હે મુસાફર,તું પહેલાં મનુષ્ય-વાળા દેશમાં ગયો હોઈશ અને ત્યાં તને ખાનપાન મળવાથી આરામ મળ્યો હશે,પરંતુ હવે આ આગળ માર્ગે ક્ષુદ્ર ગામો આવે છે,તેમાં અતિથી-સત્કાર કરે એવા સજ્જનો નથી.અને ત્યાં તને કોઈ આરામ મળશે નહિ.
(નોંધ-અહીં શ્લેષથી એવું કહે છે કે-જીવના આશ્રય-રૂપ દેહ,કે જે કામ-દ્વેષ-આદિ વિકારોના નિવાસ-રૂપ છે-ત્યાં
કદી પણ વિવેકી-પુરુષોને આરામ મળતો નથી.ભોગો વડે કામ-વાસના શાંત ના થતાં વધુ બળવાન બને છે
આમ,અહીં ભીલોની સરખામણી ભોગ-વાસનાવાળા દેહ જોડે કરી છે)

આ ભીલ લોકો માત્ર પોતાના ગામમાં પડ્યા રહે છે અને પોતે જંગલી હોવાથી,મનુષ્યોના અવરજવરથી ભડક્નારા છે,તેમ જ અશાસ્ત્રીય માર્ગે ચાલનારા છે.તેઓ વિચારમાં કશી ચાલાકી-વાળા નથી.પોતાના અનુભવમાં જ મગરૂર રહે છે,ને પોતે દુરાચરણ-વાળા હોવાથી,પથ્થરની પુતળી જેવા છે અને કશાથી બીતા નથી.કામ,અર્થ,દ્વેષ અને વિષય-વાસના-વગેરેથી જ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે પુરુષાર્થનો આશ્રય કરી રહેલી,એ લોકોની બુધ્ધિઓ,
ઉપર-ઉપરથી મધુર દેખાતા કર્મમાં જ આનંદ માની લે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE