Apr 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1119

વશિષ્ઠ કહે છે કે-પોતાના પૂર્વજન્મની જન્મભૂમિથી અતિદૂર પ્રદેશમાં જઈ,પરબ્રહ્મ-રૂપી-મહાકાશની અંદર,
એ વિપશ્ચિત રાજા જે જગતમાં મૃગભાવને પ્રાપ્ત થઇ રહેલો છે તે વિષે હું કહું છું તે તમે સાંભળો.
જે જગતની અંદર તે રાજા મૃગભાવને પ્રાપ્ત થઇ રહેલો છે તે આ ત્રિલોકી (ત્રિભુવન) જ છે એમ તમે સમજો.
વળી આ ત્રિલોકી જેમાં રહી છે તે પરમાકાશ જ છે.
તથા,આ ત્રિલોકી,તે વિપશ્ચિત રાજાના પૂર્વજન્મના પ્રદેશથી અતિદૂર આવેલી છે.

વસિષ્ઠ કહે છે કે-જેવી રીતે અવયવી (અવયવ વાળો મનુષ્ય) પોતાના અવયવોને નિરંતર બરાબર રીતે જાણે છે,
તેવી રીતે,હું મારા બ્રહ્મ-રૂપ-આત્માની અંદર રહેલાં સર્વ બ્રહ્માંડોને જાણું છું.એ બ્રહ્માંડો અનિત્ય સ્થિતિવાળાં છે,
પ્રલયને પ્તાપ્ત થનારાં છે,અને અનેક પ્રકારે પ્રતીતિમાં આવે છે,તે અનેક છે,પરસ્પર અદૃશ્ય છે,અને એક જ ચિદાકાશમાં
કલ્પાયેલાં હોવાથી પરસ્પર ઓતપ્રોત (મળી ગયેલા) જેવાં છે.
છતાં,પૃથ્વીના વિકાર-રૂપ,પટ-તંતુ-આદિના સ્વરૂપે તેઓ બ્રહ્મની અંદર પ્રતીતિમાં આવે છે.

હે રામચંદ્રજી,એ અનેક બ્રહ્માંડોની અંદર કોઈ એક બ્રહ્માંડની પદ્ધતિ અહીંની (પૃથ્વીની) પદ્ધતિ જેવી જ છે.
તેની અંદર આ વૃતાંત બનેલું છે અને તે જાણે અહીં જ બન્યું હોય,તેમ મેં તમને કહી બતાવ્યું છે.
એ વિપશ્ચિત રાજાઓ,પોતપોતાની વાસના વડે કલ્પિત,એવાં જુદાંજુદાં,અનેક જગતોની અંદર
જુદાજુદા દેહો વડે અનંત આકાશમાં પ્રથમ વર્ણવેલાં,દિશાઓનાં જુદાંજુદાં અંતરોમાં ભમતા હતા.

તેમાં પૂર્વ દિશાવાળો વિપશ્ચિત રાજા,પોતાના ધારેલાં કાર્યો કરવામાં અતિ ઉત્સાહયુક્ત બુદ્ધિવાળો હતો અને
તે અનેક જગત-રૂપી-ભ્રમમાં ભ્રમણ કરી,કાકતાલીય-યોગથી આ બ્રહ્માંડમાં (અહી પૃથ્વીમાં) જ કોઈ એક
ગુફામાં મૃગ-રૂપ થઇ રહેલો છે.જે સૃષ્ટિની અંદર તે મૃગ-રૂપ થયો છે તે આ જ સૃષ્ટિ (પૃથ્વી) છે.
અને આ વાત પણ ચિદાકાશની અંદર કાકતાલીય ન્યાયની પેઠે કલ્પાયેલી છે.

રામ કહે છે કે-હે મહારાજ,આપ જેમ કહો છો તેમ હોય તો તે કઈ દિશામાં,કયા દેશમાં,કયા પર્વતમાં અને કયા વનમાં
મૃગ-રૂપ થઇ રહ્યો છે? સર્વ ધાન્ય વડે ભરપૂર રસમય ભૂમિમાં નિવાસ કરનાર અને વૃદ્ધાવસ્થાને કારણે જાણે
શિથિલ જ્ઞાનવાળો થઇ ગયો હોય તેવો થઇ રહેલો મૃગ પોતાના પૂર્વજન્મનું ક્યારે સ્મરણ કરશે?

વસિષ્ઠ કહે છે કે-ત્રિગર્ત દેશના રાજાએ મને જે ક્રીડામૃગ ભેટ તરીકે આપેલો છે અને જે હમણાં આપણા ક્રીડામૃગોના
સમૂહમાં રહેલો છે,તે જ વિપશ્ચિત રાજા છે,તેમ તમે સમજો.

વસિષ્ઠની આવી વાત સાંભળી સભા વિસ્મયને પ્રાપ્ત થઇ.અને એ મૃગને બોલાવી લાવવા માણસોને મોકલ્યા.
અતિસુંદર એવો મૃગ સભામાં આવ્યો ત્યારે સભા વિસ્મિત થઇ ગઈ
અને "અહો આ માયા અનંત છે" એમ ઉચ્ચારો કરવા લાગ્યા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE