Apr 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1118

દેશ-કાળના યોગથી થનારા વિભાગને લીધે,એ ચારેય વિપશ્ચિત રાજાઓ જુદાજુદા પ્રકારે રહ્યા હતા.
એ ચારેમાંથી બે અવિદ્યામાં ખેંચાતા જતા હતા,એક મૃગ થયો હતો.તો એક મુક્ત થઇ ગયો છે.
ભ્રાન્તિને જ સત્ય-રૂપે નિશ્ચળ કરી રહેલા ત્રણે વિપશ્ચિત રાજાઓને હજુ સુધી તે અવિદ્યાનો અંત દેખાતો નથી.
(અવિદ્યા-રૂપી જગતનો અંત ખોળવાનું હજુ તેમનું બંધ થયું નથી) આ અવિદ્યા અનંત છે,પરંતુ તેને વસ્તુતઃ જોવામાં
\આવે તો તે નિર્મૂળ જ છે અને જ્ઞાનનો પ્રકાશ થવાથી તે તરત ગલિત (લય) થઇ જાય છે.

પશ્ચિમ દિશાવાળા (મુક્ત થયેલા) વિપશ્ચિત રાજાને આ દૃશ્ય (ભ્રમ-રૂપ જગત) બ્રહ્મ-રૂપ જોવામાં આવ્યું.
અને તેને માટે તે એકલો શમ-દમ-ભક્તિ-આદિ શુભ ગુણોના સંસર્ગને લીધે જીવનમુક્ત પુરુષો જોડે જઈ પહોંચ્યો કે જ્યાં
તે,દૃશ્યના સ્વરૂપને બરાબર ઓળખી લઇ,પૂર્ણ બ્રહ્મ-ભાવને પ્રાપ્ત થયો.
આ રીતે પરમાત્મા (બ્રહ્મ) નો અનુગ્રહ થાય તો જ કંઈ ખરું લક્ષ્ય (બ્રહ્મ) મળી જાય છે.

તે અધિષ્ઠાન-ચૈતન્ય (બ્રહ્મ)નું ખરું સ્વરૂપ ના ઓળખાય તો તે મિથ્યા અવિદ્યા-રૂપ કહેવાય છે  
અને જો તેનું વાસ્તવ-રૂપ ઓળખાઈ જાય તો તે શાંત પરબ્રહ્મ-રૂપ જ કહેવાય છે.
જે કંઈ અવિદ્યા (જગત)નો તથા બ્રહ્મનો આ ભેદ પ્રતીતિમાં આવે છે તે વસ્તુતઃ જોતાં ભેદ-રૂપ નથી.
એ અવિદ્યા બ્રહ્મ-રૂપ જ છે.ને તે બ્રહ્મ ચિદાભાસ-રૂપ થતાં જ અવિદ્યા-રૂપી ભેદ પ્રતીત થાય છે.
માટે તે ભિન્નતા ચિદ્રુપ જ છે.          

રામ કહે છે કે-હે મહારાજ,ઉત્તર દિશાવાળો વિપશ્ચિત રાજા કેમ બ્રહ્મને પ્રાપ્ત થયો નહિ? તેના વિષે કહો.
વસિષ્ઠ કહે છે કે-ભેદ-બુદ્ધિને લીધે આ બ્રહ્માંડ-મંડળમાં,અવિદ્યા વડે ભ્રમણ કરનાર,તે રાજા આગળ કહ્યું હતું તેમ,
મૃગ-યોનિને પ્રાપ્ત થઈને સંસારની ભવાટવીમાં ભમ્યા કરે છે.જ્યાં સુધી અવિદ્યાનું વાસ્તવ-રૂપ ઓળખવામાં ના આવે
ત્યાં સુધી તેની સત્તા ભાસે છે (જગત દેખાય છે) પણ જો તેના વાસ્તવ-રૂપને ઓળખવામાં આવે,
અવિદ્યા (જગત) નો લય થાય છે.

રામ કહે છે કે-એ વિપશ્ચિત રાજાઓ કેવા જગતમાં ભમતા રહે છે?અને તેઓ એકબીજાથી કેટલા દુર રહેલા છે?
જે જગતની અંદર તે રાજાઓ થયા તેઓ કેટલો પંથ કપાયા પછી આવે છે? તે વિષે કહો.
આપે જે અહીં આ આખ્યાન કહ્યું તે અતિ આશ્ચર્યકારક છે !!

વસિષ્ઠ કહે છે કે-અવિદ્યામાં ભ્રમણ કરી રહેલા બે વિપશ્ચિત રાજાઓ જે જગતની અંદર રહેલા છે,
તે જગત,યત્ન વડે પણ આપણને દૃષ્ટિગોચર થાય તેમ નથી.
પણ ત્રીજો જે મૃગપણાને પ્રાપ્ત થઇ જે જગતમાં રહેલો છે,તે જગત કદાચિત આપણને દૃષ્ટિગોચર થાય ખરું.
રામ કહે છે કે-મૃગપણાને પ્રાપ્ત થયેલો વિપશ્ચિત રાજા જે જગતની અંદર રહેલ છે,તે જગત ક્યાં છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE