Apr 1, 2012

રામદાસ સ્વામી


રાતનો વખત છે. વર લગ્ન મંડપમાં આવી ઊભો છે. ઉંમર માત્ર બાર વર્ષની છે.

બ્રાહ્મણોએ ઉચ્ચ સ્વરે ગર્જના કરી` સુમૂહૂર્ત સાવધાન!'
 બ્રાહ્મણોનો ઘોષ સાંભળી એ ચમક્યો`અરે, મારું વ્રત તો રામની ભક્તિ કરવાનું છે. હું આ શું કરી રહ્યો છું!' એકદમ મૂઠીઓ વાળી એ નાઠો. લોકોએ ઘણી શોધાશોધ કરી, પણ તેનો કંઈ પત્તો લાગ્યો નહિ 

લગ્નમંડપમાં `સાવધાન' તો દરેક જગાએ બોલાય છે, 
પણ તે સાંભળીને સાવધાન થનારો આ એક જણ (નારાયણ કે-સમર્થ રામદાસ સ્વામી) નીકળ્યો. 

એનું નામ નારાયણ.

તેણે ત્રણ ગાયત્રી પુરસ્યરણ કર્યા અને 

`શ્રી રામ જય રામ જય જય રામ' એ તેર અક્ષરી મંત્રનો તેર કરોડ વખત જપ કરી મંત્ર સિદ્ધિ મેળવી. (ઈ.સ.1632)

પગમાં પાદુકા, હાથમાં માળા ને તુંબીપાત્ર, કાખમાં સમાધિની ઘોડી, માથે ટોપી ને શરીરે કફની- આ એમનો વેશ હતો. કઠોર તપસ્યાના બળે તેમનામાં અદ્ભુત શક્તિ આવી હતી, અને 
તેમની ટહેલ હતીજય જય રઘુવીર સમર્થ!' 

તેથી તેઓ `સમર્થ રામદાસ' નામે ઓળખાયા.


નારાયણનો જન્મ મહારાષ્ટ્રના જાંબ નામે ગામમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો. ઈ.સ. 1608. તેમનાં માતાપિતા ધર્મનિષ્ઠ ભાવનાવાળાં હતાં. તેઓ એકનાથ મહારાજનાં ભક્ત હતાં અને ઘણીવાર તેમનાં દર્શન કરવા જતાં. બાળક નારાયણને ય એકનાથ મહારાજે આશીર્વાદ આપ્યા હતા.

બાળપણથી જ નારાયણનું ચિત્ત રામ અને રામભક્ત હનુમાનમાં લાગેલું હતું. એના મોટા ભાઈ ગંગાધર પણ રામભક્ત હતા અને રામમંત્ર જપતા હતા. 
નારાયણ આઠ વર્ષનો થયો ત્યારે તેણે ગદાઘર પાસે રામમંત્ર માગ્યો. ગદાઘરે કહ્યું` હજી તું નાનો છે.' નારાયણને ખોટું લાગ્યું. તે ઘર છોડીને ભાગી ગયો અને ગોદાવરી તીરે જંગલમાં એક મંદિરમાં જઈ સૂતો. 

મોટા થઈને તેણે પોતે એક કાવ્યમાં આ વિષે લખ્યું છે`મોટાભાઈએ ઉપદેશ દેવાની ના પાડી, એટલે મંદિરમાં જઈને હું ઊંઘી ગયો. ઊંઘમાંથી શ્રી રામે મને જગાડયો અને કાનોકાન મંત્ર સંભળાવ્યો!'રામના ભક્ત હોઈ નારાયણે `રામદાસ' નામ ધારણ કર્યું અને ટાકળી નામે ગામ પાસે ગોદાવરી અને નંદિનીના સંગમ આગળ એક ગુફામાં રહી બાર વરસ ઉગ્ર તપશ્ચર્યા કરી. બાર વર્ષની  તપશ્ચર્યા પૂરી થતાં રામદાસ તીર્થયાત્રાએ નીકળ્યા.

તેમણે બાર વર્ષ તીર્થયાત્રામાં કાઢયા; દ્વારકાથી જગન્નાથપુરી, ને હિમાલયથી કન્યાકુમારી સુધીનો બધો પ્રદેશ તેમણે પગ તળે કાઢયો! `પગે તીર્થયાત્રા અને મુખે રામનામ' આ એમનું સૂત્ર હતું. દરેક તીર્થમાં જે દેવ હોય તેની પૂજા કરતા. કહેતાઃ` બધાયે દેવો મારા રામ ચંદ્રની જ મૂતિઓ છે!'

 આ પ્રવાસમાં તેમણે દેશની ભયાનક દુર્દશા જોઈ. એનું વર્ણન કરતાં તેમણે કહ્યું છે`-એમને એટલી બધી નિરાશા થઈ કે તેઓ દેહ પાડી નાખવા જતા હતા. ત્યાં સ્વયં શ્રી રામે આવીને એમને પકડી લીધા ને આજ્ઞા કરી` સ્વધર્મની સ્થાપના કર ને જગતનો ઉદ્ધાર કર!'તીર્થયાત્રા પૂરી કરી તેઓ પાછા જાંબ આવ્યા ને `જય જય રઘુવીર સમર્થ!' ની ગર્જના કરી પોતાને જ ઘેર ભિક્ષા માગવા ગયા. વૃદ્ધ માતા ભિક્ષા આપવા આવી ત્યારે `મા, હું તારો નારાયણ' કહી તેઓ એના પગમાં પડયા. ચોવીસ વર્ષે માતાપુત્ર મળ્યાં.

માએ રામદાસને ઘરમાં જ રાખ્યા. રામદાસ રહ્યા. તેમણે માને ભાગવતકથા સંભળાવી. મા પ્રસન્ન થયાં. રામદાસે હવે જવાની રજા માગી. માએ કહ્યું` ભલે જા, પણ મારો અંતકાળ સાચવજે!' રામદાસે કહ્યું` સાચવીશ!' બસ, પછી એ ચાલી નીકળ્યા.

હવે સમર્થનું જીવનકાર્ય શરૂ થયું. સમર્થ કાયમ ફરતા જ રહેતા હતા. એમનો શિષ્ય સમુદાય વધતો જતો હતો. ઠેરઠેર મંદિરો ને મઠો સ્થપાયા હતા. શિષ્યોને તેઓ કહેતાઃ-સમર્થના શિષ્યોનો એક નવો સંપ્રદાય ઊભો થઈ ગયો. તેને `રામદાસી સંપ્રદાય' કે `સમર્થ સંપ્રદાય' કહે છે. રામની ઉપાસના દ્વારા તેમણે લોકો આગળ `રામરાજ્યનું ધ્યેય' રજૂ કર્યું. તે માટે એમનો ખાસ ઉપદેશ હતો`સમુદાય કરાવા! - સંગઠન કરો, એક થાઓ!' 

`પહેલું હરિકથા-નિરુપણ અને બીજું દેવ, ધર્મ અને ગોબ્રાહ્મણના હિતાર્થે રામરાજ્યની સ્થાપના'- 
આ સમર્થનું લક્ષ્ય હતું. 
હરિકથા-નિરુપણ એ એમની હાથની વાત હતી. પણ બીજા વગર પહેલાનો પ્રભાવ નહોતો 
એ એમણે દેશમાં બધે ફરીને જોઈ લીધું હતું. તેથી એમણે `સમુદાય કરાવા' ની હાકલ કરી.
તેમની કલ્પનાનું સ્વરાજ્ય શિવાજી દ્વારા સ્થપાશે એવો એમને વિશ્વાસ હતો.એકવાર શિવાજીએ સમર્થના પગમાં માથું મૂકી કહ્યું` પ્રભુ, મને મંત્રદીક્ષા આપો!'સમર્થે એમને `શ્રીરામ જયરામ જયજયરામ' નો મંત્ર આપ્યો. ઈ.સ.1649. 

હવે શિવાજીએ કહ્યું`પ્રભુ, બીજા શિષ્યોની પેઠે મને પણ તમારી સેવામાં રાખો!'હસીને સમર્થે કહ્યું`તારો ધર્મ ક્ષાત્રધર્મ છે. પ્રજાનું પાલન કર, વિધર્મીના હાથમાંથી દેશને મુક્ત કરી સ્વધર્મની સ્થાપના કર! રામની તને આ આજ્ઞા છે.'આમ કહી તેમણે એને એક શ્રીફળ, એક મૂઠી માટી, બે મૂઠી ઘોડાની લાદ, અને ચાર મૂઠી કાંકરા પ્રસાદમાં આપ્યા ને આશીર્વાદ આપ્યાઃ` શિવબા, તું ધન્ય છે. તારી ચિંતા શ્રી હરિને માથે છે.'

શિવાજી ચતુર હતા. તેઓ આ પ્રસાદનો અર્થ સમજી ગયા. ઘેર જઈ માતા જિજાબાઈને તેમણે એ અર્થ કહ્યો`નાળિયેર મારા કલ્યાણને માટે છે. માટી એટલે પૃથ્વી, કાંકરા એટલે કિલ્લા, લાદ એટલે ઘોડેસવારો! હું પૃથ્વીપતિ બનીશ, ઘણા કિલ્લા મારા હાથમાં આવશે અને અસંખ્ય ઘોડેસવારો મારા સૈન્યમાં હશે.'

શિવાજીનું રાજ્ય જેમ વધતું હતું તેમ સમર્થ પરની તેમની ગુરુભક્તિ પણ વધતી જતી હતી. 
એકવાર રામદાસને ઘેર ઘેર ભિક્ષા માગતા જોઈ તેમણે એમની ઝોળીમાં એક ચિઠ્ઠી લખીને નાખી. 
ચિઠ્ઠીમાં લખ્યું હતું` મારું સમસ્ત રાજ્ય હું આપના ચરણમાં સમર્પ઼ું છું. તમે માલિક, હું દાસ!' 

એ ભિક્ષાન્નનો પ્રસાદ લીધા પછી સમર્થે શિવાજીને કહ્યું`હવે આ રાજ્ય મારું છે, પણ મારી વતી એનો ભાર ઉપાડવા હું તને આજ્ઞા કરું છું. લે આ મારું ઉત્તરીય! એનો તું ધ્વજ બનાવજે! શ્રી રામની કૃપાથી તું જે મન પર લેશે તે સિદ્ધ થશે.'



શિવાજીએ આજ્ઞા માથે ચડાવી. ત્યારથી એના રાજ્યમાં ભગવો ઝંડો ફરકવા લાગ્યો. શિવાજીના સહી સિક્કા સાથેનો શકે 1600 

આસો સુદ દશમ (તા. 15-10-1678)નો સમર્થ ઉપર લખેલો પત્ર મળી આવ્યો છે શિવાજી સાત્વિક પ્રકૃતિના હતા. ત્રણ વાર એમણે સંસાર-ત્યાગ કરવાની તૈયારી કરેલી. 
બે વાર સમર્થે અને એકવાર તુકારામે તેમને તેમ કરતાં વાર્યા હતા.

સમર્થ મહાન સંત છે, સિદ્ધ છે, પણ પોતાની અતિ ઉચ્ચ ભૂમિકાએથી નીચે ઊતરી તેઓ લોકોનાં સુખ દુખમાં ભાગ લે છે ને કહે છે`જ્યાં જગત છે ત્યાં જ જગન્નાયક છે. જે જગતના અંતર સાથે એક થશે તે પોતે જ જગતનું અંતર બની જશે.'

અચાનક એક દિવસ સમર્થને થયું કે મા યાદ કરે છે. 
માનો અંતકાળ સાચવવાનું પોતે વચન આપ્યું હતું તે યાદ આવ્યું. (ઈ.સ.1655). તેઓ પોતાની ઓરડીમાં પેઠા અને શિષ્યોને આજ્ઞા કરી` ઓરડીનું બારણું બંધ કરી બહાર તાળુ મારી દો! સોળ દિવસે ઉધાડજો!'

શિષ્યો સમજ્યા કે ગુરુ સમાધિમાં બેસવાના છે.તે વખતે જાંબમાં માતા રાણુબાઈ છેલ્લો શ્વાસ લેતા હતાં
અચાનક `મા, હું તારો નારાયણ!' કહેતા સમર્થ ત્યાં પ્રગટ થયાં. માતાએ રામ નામના ઉચ્ચાર સાથે શાંતિથી પુત્રના ખોળામાં દેહ-ત્યાગ કર્યો. 

સોળ દિવસ પૂરા થતાં શિષ્યોએ બારણું ઉધાડી જોયું તો ગુરુજી ક્ષૌરકર્મ કરી બેઠેલા હતા! તેમણે કહ્યું`મારાં માતાજીનાં છેલ્લાં દર્શન કરવા જાંબ ગયો હતો. ત્યાં શ્રાદ્ધવિધિ થઈ ગયા પછી અહીં આવ્યો છું.'


એકવાર શિષ્યો સાથે સમર્થ જતા હતા. રસ્તામાં ભૂખ લાગવાથી શિષ્યોએ જુવારના ખેતરોમાંથી ડૂંડા તોડી પોંક પાડયો. ખેતરવાળાઆએને ખબર પડતાં એમણે સમર્થને લાકડીએ લાકડીએ  ઝૂડી નાખ્યા.શિવાજીને આ વાતની ખબર પડી એટલે એ ખેડૂતો પર ગુસ્સે થયા. 
તેમણે સમર્થને કહ્યું` કહો, આ લોકને શી સજા કરું?' 

સમર્થે કહ્યું` એમને પાઘડી શેલુ પહેરાવી ઈનામ આપો! વાંક એમનો નથી અમારો છે' 



એકવાર મઠમાં ચોરી કરવા ચોર પેઠા. બધા જાગી ગયા. શિષ્યો કહે`મહારાજ, મઠમાં ચોર ભરાયા છે.'સમર્થ કહે` કંઈ લઈ જશે તો રામનું જશે! આપણું અહીં શું છે?'શિષ્યો કહે` એટલે ચોરી થવા દેવી?'`શા સારુ ન થવા દેવી?'`પણ ભગવાનના ઘરમાં ચોરી?'`તો શું ભગવાનનું ઘર તમારું છે ને ચોરનું નથી? ધન અહીં હોય કે ચોરને ઘેર હોય, એ ઉદરનિર્વાહમાં જ વપરાવાનું છે ને!'ચોર આ સાંભળતા હતા. તેમને હ્રદય પલટો થઈ ગયો. સમર્થના પગમાં પડી તેમણે માફી માંગી. સમર્થે તેમને જમાડીને વિદાય કર્યા.

સમર્થ મરાઠી ભાષાના એક મોટા કવિ ગણાય છે. તેમની કવિતામાં નસીબવાદ કે નિરાશાને સ્થાન નથી. એમણે શક્તિ અને પરાક્રમનું જ ગાન ગાયું છે. સમર્થનું બીજું આવું સુંદર સ્તોત્ર `કરુણાષ્ટક' છે. શિવજીના ઉદયથી મહારાષ્ટ્ર ખરેખરું મહા રાષ્ટ્ર બન્યું હતું. 

અંતકાળ પાસે આવ્યો ત્યારે સમર્થે અન્નજળનો ત્યાગ કર્યો. નવમે દિવસે પરોઢિયે તેઓ રામની મૂર્તિ સામે ભોંય પર બેઠા. ગુરુના થનાર વિયોગથી શિષ્યો રડવા લાગ્યા. તે પછી એમણે એકવીસ વાર `હર હર' કહી `શ્રી રામ' શબ્દ ઉચ્ચાર્યો. તે જ પળે તેમણે દેહ છોડી દીધો. તે વખતે તેમની ઉંમર 78 વર્ષની હતી. ઈ.સ.1681 શકે 1603 મહા વદ નવમી, શનિવાર.


એમનો મુખ્ય ગ્રંથ `દાસબોધ' છે. 
એમણે `મનાચે શ્લોક' નામે 205 કડીનું એક ભાવવાહી સ્તોત્ર લખ્યું છે જે ખૂબ જ જાણીતું છે. 
એકવાર મઘરાતે તેમણે એક શિષ્યને કહ્યું` લખ!' એ બોલતા ગયા ને શિષ્ય લખતો ગયો. 
આમ મનાચે શ્લોકનું આખું સ્તોત્ર લખાયું. 
શિષ્યો ભિક્ષા માગવા જાય ત્યારે એક ઘર આગળ એક શ્લોક બોલે, ને ત્યાંથી ભિક્ષા લઈ બીજે ઘેર એટલે બીજો શ્લોક બોલે! 
આ શ્લોકની લોકો પર ખૂબજ અસર થઈ. આજે પણ એની એટલી જ અસર છે. 
સમર્થ એમાં કહે છે`હે મન, તું પરમ સમર્થ અને ભક્તવત્સલ રામને શરણે જા! રામનું ભજન કર! રામનો મહિમા ગા! રામ એ જ બ્રહ્મ છે; રામ એ જ આદિ અને અંત છે.'

તેમાં કહે છે` અરે મારા ભીરુ મન, ભવસાગરથી શાને આટલું ડરે છે? માથા ઉપર રઘુપતિ રામ બેઠો છે. જમરાજા પોતે આવે તોય એનું અહીં શું ચાલવાનું છે? કોની માએ શેર સૂંઠ ખાધી છે જે રામના દાસની ઉપર વક્રદૃષ્ટિ કરે?'

સમર્થે તેને `આનંદવન  ભુવન' કહ્યું છે ને તેનું સુંદર સ્તોત્ર રચ્યું છે. જાણે મહારાષ્ટ્રનું રાષ્ટ્રગીત! 
તેમાં તેઓ કહે છે`ભલા, એકવાર મારું આનંદભુવન તો જો! અહીં કેવો આનંદ ઊછળી રહ્યો છે એ જો! એ જોઈને `અહીં જ ફરી મારો જન્મ થાઓ!' એવું તું ઈશ્વરને પ્રાર્થના કર્યા વિના રહેવાનો નથી! મેં સ્વપ્નમાં જે જોયેલું તે આજે પ્રત્યક્ષ જોઉં છું.'