Dec 1, 2012

રામાયણ-૯


      PREVIOUS PAGE
     NEXT PAGE

પછી રામચંદ્રજી ૧૬ વર્ષ ની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.

મરણ માટે જીવ નો જન્મ થાય છે,અનાદિ કાળ થી આ જીવ સંસાર માં રખડે છે, આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડી ને જવું છે”

રામજી ની આ દશા જોઈ-દશરથજી ને ચિંતા થઇ, તેઓએ વશિષ્ઠજી ને વાત કરી.
રામજી નો વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજી એ રામજી ને ઉપદેશ કર્યો છે. જે “યોગ-વશિષ્ઠ” માં આપેલો છે. યોગ-વશિષ્ઠ નું પહેલું પ્રકરણ –વૈરાગ્ય- નું છે,તે અતિ ઉત્તમ છે-એક વખત તે વાંચવું જ જોઈએ.
બીજું  બધું ન વંચાય-તો-પહેલું પ્રકરણ વંચાય તો પણ ઘણું.

આજે જે ખીલ્યું છે તે કાલે ખરવાનું છે-આજે જે સુંદર દેખાય છે-તે કાલે કરમાવાનું છે.
સંસારના ખોટાં સુખ પાછળ –માનવ જીવન બગાડે તે અજ્ઞાન છે.
સંસારના વિષયો માં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી-ભક્તિ વધતી નથી.

વશિષ્ઠ રામ ને કહે છે-કે- તમે શું છોડવા માગો છો ? જગતને (સંસાર ને) છોડવાની જરૂર નથી.
છોડી ને ક્યાં જશો ? જ્યાં જાવ ત્યાં જગત છે.
સંસારના વિષયો સુખ આપે છે- તે સમજ છોડો, વૈરાગ્ય અંદર રાખો.
બહિરંગ નો (બહારનો) કરેલો ત્યાગ એ સાચો ત્યાગ નથી, અંતરંગ (અંદર) નો ત્યાગ સાચો છે.
ત્યાગ એ મન થી કરવાનો છે-સંસારમાં સાચું સુખ નથી-એમ માની ને –સંસારમાં રહેવાનું છે.

સંસાર બંધન કરતો નથી,મમતા બંધન કરે છે. મન સંસારનું ચિંતન કરે ત્યાં સુધી જીવે છે.
દીવા માં તેલ ના નાખો તો દીવો શાંત થશે.
સંસાર મનોમય છે.સ્વ-રૂપ નું (આત્માનું) ભાન થયા પછી-મન નો સંસાર સુખ-દુઃખ આપતો નથી.
દુઃખ એ ખોટું છે-અને સુખ પણ ખોટું છે.

રાગ-દ્વેષ થી નવું પ્રારબ્ધ પેદા (ઉભું) થાય છે.
પ્રારબ્ધ ભોગવવું –પણ નવું પ્રારબ્ધ ઉભું ન થાય તે માટે કાળજી રાખવી.
ભગવદ-ઇચ્છાથી, પ્રારબ્ધ થી જે વ્યવહારનું કાર્ય પ્રાપ્ત થયું છે-તે
પરમાત્મા નું અનુસંધાન રાખી ને કરવાનું છે.

વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી,પણ ઘરમાં રહેલી એક એક વસ્તુ ની આસક્તિ થી-બાધક થાય છે. સંસાર દુઃખ આપતો નથી-સંસારની આસક્તિ દુઃખ આપે છે.
પ્રારબ્ધ થી જે પ્રાપ્ત થયું છે –તે પ્રભુની પ્રસાદી માની અનાસક્તપૂર્વક ભોગવો-તો તેમાં વાંધો નથી.
જેના રાગ (આસક્તિ) નિવૃત્ત થઇ ગયા છે-તેને માટે ઘર જ તપોવન છે.

હે,રામ. રાજમહેલ છોડશો –તોપણ ઝૂંપડી ની જરૂર પડશે. સારાં કપડા પહેરવાનું છોડી દો તો પણ લંગોટી ની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળ ની જરૂર પડશે-જ.
જ્યાં સુધી લંગોટી ની જરૂર છે-ત્યાં સુધી સંસાર છૂટતો નથી.
વ્યવહાર તેનો છૂટે જેને ઈશ્વર સિવાય કાંઇ જોઈતું નથી.
માટે રાજ્ય છોડવાની જરૂર નથી,કામ,ક્રોધ,લોભ,આસક્તિ છોડવાનાં છે.

વૈરાગ્ય અંદર હોવો જોઈએ-જગતને બતાવવા માટે નહિ,સાધુ થવાની જરૂર નથી,સરળ થવાની જરૂર છે.
મનોનાશ એ જ મુક્તિ છે.મન વિષયોનું ધ્યાન કરે છે-ત્યારે જીવે છે, મન જયારે પરમાત્માનું ધ્યાન કરે છે-ત્યારે તે પરમાત્મા માં મળી જાય છે. જન્મ મરણ નું કારણ મન છે.મન નથી તો સંસાર નથી.
વશિષ્ઠજી કહે છે-આપ તો પરમાત્મા છો-આપ તો લીલા કરો છો


      PREVIOUS PAGE
     NEXT PAGE