Dec 1, 2012

રામાયણ-૪૫

      PREVIOUS PAGE
     NEXT PAGE


શ્રીકૃષ્ણ ને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –
એવું કઈ પોથી માં લખ્યું છે-કે પાપી ને તમારાં દર્શન થાય છે ? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-
“મુનિજનો જન્મ-જન્મો માં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના મુખ માંથી
રામ-નામ નીકળતું નથી, કે પ્રભુ ના દર્શન થતા નથી.
હું તો પાપી નથી પણ પુણ્યશાળી છું કે –અંતકાળ માં આપનાં દર્શન કરું છું.
તમારાં દર્શન માત્ર થી પાપો નો નાશ થાય છે,હવે હું પાપી રહ્યો નથી.
તમારાં દર્શન દેવો ને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.
એકનાથ મહારાજે લખ્યું છે-કે-
ભગવાન વાલી ને કહે છે-કે-મારા દર્શન તને થયાં તે તારા પ્રતાપે નહિ,પણ સુગ્રીવ મારા શરણે આવ્યો છે,
અને સુગ્રીવ નો તુ ભાઈ છે, તેથી તારો ઉદ્ધાર કરવા હું આવ્યો છું, શરણાગત ના કુટુંબ નો પણ ઉદ્ધાર કરવો
એ મારી ફરજ છે.

વાલી આ સાંભળી સુગ્રીવ ને પ્રણામ કરવા ગયો-કે તારે લીધે મને રામજી ના દર્શન થયાં.
સુગ્રીવ જવાબ આપે છે-કે-મોટાભાઈ,તમારે લીધે મને રામજી ના દર્શન થયાં છે,જો તમે મને ઘરમાંથી કાઢી
મુક્યો ના હોત , તો મને રામજી નાં દર્શન ક્યાં થવાનાં હતાં ?

પછી રામ-રામ બોલતા વાલી એ શરીર નો ત્યાગ કર્યો છે.રામજી એ સુગ્રીવ ને કિષ્કિંધા નું રાજ્ય આપ્યું છે.

રામજી ની અનાસક્તિ કેવી છે !! રાવણ ને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું પણ એક પૈસો લીધો નથી,
વિભીષણ ને રાજ્ય આપી દીધું છે.
શ્રીકૃષ્ણ ને પણ મથુરાનું રાજ્ય મળ્યું હતું તે તેમણે ઉગ્રસેન ને આપી દીધું.
ભગવાન જેવું બોલે છે-તેવું જીવન માં ઉતારી ને-કરી ને બતાવે છે.
જ્ઞાન ની શોભા વ્યાખ્યાન (ભાષણ) થી નથી પણ-ક્રિયાત્મક ભક્તિયોગ થી છે.

ભગવાન શ્રીરામ પ્રયર્ષણ પર્વત પર વિરાજ્યા છે.
રાજ્યગાદી મળ્યા પછી,સુગ્રીવ રાજ-વૈભવ ના સુખો માં ભગવાન ને ભૂલી ગયો.
વધુ પડતાં સુખો મનુષ્ય ને ભગવાન થી દૂર લઇ જાય છે. સુગ્રીવ ને વધુ પડતું સુખ ,મળ્યું એટલે તે
ભગવાન ના ઉપકાર ને પણ ભૂલી ગયો છે.
સુગ્રીવ ના આવા  વર્તન થી લક્ષ્મણજી નારાજ થયા છે,અને સુગ્રીવ ને ઠપકો આપે છે.

સુગ્રીવ આવી ક્ષમા માગે છે-કહે છે-કે- મારી ભૂલ થઇ છે,રામજી ની માયા એવી છે કે ,મોટા મોટા તેમાં
ભુલા પડે છે,મોટા મોટા બુદ્ધિશાળીઓને પણ તે નચાવે છે-તો હું તો પશુ (વાનર) છું. કામાંધ અને મદાંધ થઇ હું અતિ સુખ માં આપને ભૂલી ગયો,પ્રભુ મને ક્ષમા કરો.

પરમાત્મા જીવના અપરાધ ને ક્ષમા કરે છે. પ્રભુએ સુગ્રીવ ને પાસે બેસાડી તેના કુશળ પૂછે છે.

સુગ્રીવ અને હનુમાનજી સીતાજી ને શોધવાના કામ માં લાગી જાય છે. વાનરસેના ભેગી કરી છે.
હનુમાનજી રામજી ને પૂછે છે-કે-મેં માતાજી ને જોયાં નથી તો હું તેમને કેવી રીતે ઓળખી શકીશ ?
મને કોઈ ઓળખ આપો. ત્યારે રામજી કહે છે-કે-તેઓ ગોરા છે,વાળ અતિ સુંદર છે.
હનુમાનજી કહે છે-કે હું બ્રહ્મચારી છું,હું સ્ત્રીના સામે જોતો નથી કે સ્ત્રીના શરીર નું સ્મરણ પણ કરતો નથી.
બીજું કોઈ લક્ષણ મને કહો.

ત્યારે રામજી કહે છે-કે- સીતાજી જો જંગલ માં વિરાજેલા હશે તો જે ઝાડ ના નીચે તે વિરાજેલા હશે –
તે ઝાડના પાંદડાં માંથી રામ--રામ નો ધ્વનિ આવતો હશે.અને તે જો કોઈ ઘરમાં હશે તો તે મકાન ની
દીવાલો માંથી રામ-રામ નો ધ્વનિ આવતો હશે. આવું જોવામાં આવે તો માનજે કે ત્યાં સીતાજી હશે.

હનુમાનજી ને રામજી એ પોતાના હાથ ની મુદ્રિકા (વીંટી) આપી કહ્યું કે-
સીતાજી ને મારા બળ અને વિરહ ની વાત કહી –સમજાવી તરત પાછો ફરજે.

      PREVIOUS PAGE
     NEXT PAGE