Mar 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૮

જે કંઈ દૃશ્ય સંસાર (આંખથી દેખાય છે–તે સંસાર) છે-તે ઈશ્વરની માયા છે,
અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વરની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે છે(એટલે-કે-ઈશ્વરનો વિસ્તાર,ઈશ્વરની માયા(યોગ શક્તિ) થી થાય છે-એ તત્વને જાણે છે) તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાનને જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)

બ્રહ્મા (બ્રહ્મદેવ)થી શરૂઆત કરી-નાનામાં નાની કીડી સુધી,પરમાત્માના “પરમાત્મ-તત્વ” સિવાય
બીજું કશું નથી, આ “સત્ય” સ્વરૂપને જે જાણે છે-તેને જ “સત્ય”જ્ઞાનની જાગૃતિ થાય છે.
આમ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું કારણ ને સર્વ જગતની પ્રવૃત્તિનું કારણ –માત્ર પરમ-પિતા પરમાત્મા-જ-
છે-એમ જાણીને જ્ઞાની મનુષ્યો તે પરમાત્માને જ નિરંતર ભજે છે.(૮)

ઈશ્વર માટે જ જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે,તેવા ભક્તજનો,તેમના જેવા જ બીજા ભક્તજનોની સાથે એકબીજાને બોધ કરતા,અને સદા ય ઈશ્વરનું કીર્તન કરતા સંતોષમાં અને આનંદમાં રહે છે.

પરમાત્મામાં તદ્રુપ થયેલાઓની સ્થિતિમાં એકબીજા વચ્ચે આપ-લે-નો વ્યવહાર પણ જ્ઞાનનો જ હોય છે.
જે પ્રમાણે પાસ પાસેનાં તળાવો પાણીથી છલકાઈ ગયા પછી,તેમના પાણી એકબીજા સાથે ભળી જાય છે-
અને પછી તરંગો ને તરંગો નો જ આશ્રય મળી જાય છે.

આવા નિત્ય પરમાત્મા સાથે યુક્ત થયેલા અને પરમાત્માને નિરંતર ભજનાર,ને પરમાત્મા બુદ્ધિયોગ
(જ્ઞાનયોગ) આપે છે,કે જેનાથી તે આત્મજ્ઞાન  (બ્રહ્મજ્ઞાન) પ્રાપ્ત કરે છે 

તેમના ઉપર અનુકંપાને કારણે જ તેમના અંતરમાં રહી,(આત્મારૂપે),તેજસ્વી જ્ઞાનના દીવાથી ,
તેમનામાં રહેલા અજ્ઞાન-રૂપી અંધકારનો નાશ કરે છે. ,,(૧૧)

પછી ના ૧૨ થી ૧૮ સુધીના શ્લોકમાં અર્જુન –શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે, અને પછી કહે છે-કે-
મને તમારી અનંત વિભૂતિઓમાંથી જેટલી વ્યાપક,શક્તિમાન અને સતેજ હોય -
તેમાંની મુખ્ય-મુખ્ય અને પ્રસિદ્ધ હોય તેમના વિષે મને કહો.
આપનું સતત ચિંતન કરનારો હું આપને કઈ રીતે જાણી શકું ?
આપ કયા કયા ભાવો માં (વિભૂતિઓમાં) મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? તે મને કહો.
તમારો યોગ અને વિભૂતિઓ મને ફરીથી વિસ્તારપૂર્વક કહો,
કારણકે,તમારું અમૃતમય વક્તવ્ય (ભાષણ) ગમે તેટલી વાર સાંભળવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી.

ત્યારે શ્રીકૃષ્ણ (પરમાત્મા) કહે છે-કે-
તેં પૂછેલી મારી વિભૂતિઓ અગણિત છે,તે અગણિત વિભૂતિઓ જોકે મારી જ છે,
તેમ છતાં તેની ગણત્રી,મારી બુદ્ધિ થી પણ કરી શકાતી નથી.
જેવી રીતે કોઈથી પણ પોતાના અંગ પરના વાળ ગણી શકતા નથી,તે પ્રમાણે મારી વિભૂતિઓ પણ ગણી શકાતી નથી. એટલા માટે મારી જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે-તે તને કહું છું.
આ મુખ્ય મુખ્ય વિભૂતિઓને જાણવાથી,બીજી સર્વ વિભૂતિઓ તારી જાણમાં આવી જશે.
જેમ વૃક્ષનું બીજ હાથમાં આવતાં-આખું વૃક્ષ જ હાથમાં આવ્યા જેવું થાય છે-તેમ-
તે વિભૂતિઓને જોવાથી સર્વ વિશ્વ (જગત) જોવામાં આવ્યા પ્રમાણે થાય છે.
ખરેખર તો મારા વિસ્તારનો અંત જ નથી,આકાશ સમાન મહાન પદાર્થો પણ મારામાં સમાઈ જાય છે.(૧૯)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત