Apr 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૨

ત્યાર પછી-જે પદ (બ્રહ્મ)ને પ્રાપ્ત થાય પછી,તે મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી,તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે શોધવું?તો કહે છે-કે)
જે-બ્રહ્મમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે
-તે જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” –
એવી ભાવના મનમાં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ સ્થાનની) શોધ કરવી (૪)

નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ –ઉપાધિ (માયા) ને લીધે પ્રવૃત્તિ કરતુ ભાસે છે.અને માયાને લઈને- જ -
તેને આકારવાળો (અસ્તિત્વવાળો) બનાવીને પુરાણો લાંબી લાંબી જીભો કાઢીને –
તેના નામ-રૂપનો ખોટો ખોટો (મિથ્યા) પ્રલાપ (બૂમો) મચાવી મૂકે છે.
એટલે કે જુદા જુદા દેવોના નામ બનાવે છે-કે જેને લોકો ભગવાન (બ્રહ્મ) માનવા માંડે છે.

પણ સ્વર્ગ અને સંસાર –એ બંનેથી કંટાળેલા –મુમુક્ષુ જનો (મોક્ષને ઇચ્છનાર) જુદા જુદા યોગનો –
આશ્રય લઇ અને સત્યને (બ્રહ્મ ને) પામે છે-કે જ્યાંથી પછી પાછા આવવાનું નથી.(પુનર્જન્મ નથી)
પોતાનું “હું પણું” (અહમ) ને છોડીને –તે પરમાત્માને (બ્રહ્મને) શરણે જવાથી,(ભક્તિયોગ)-અને-
એથી ઉલટું-શરણે જવાથી અહમ છૂટે છે-અને એ અહમનો-પડદો (અજ્ઞાનનો –માયાનો પડદો)
તૂટી જવાથી-“એ બ્રહ્મ” નું સ્થાન દેખાય છે.અને જીવ –બ્રહ્મનું ઐક્ય થાય છે.

--જેમનામાં માન (અભિમાન) અને મોહનો નાશ થયો છે,
--જેમણે વિષયો (સ્વાદ-વગેરે) સાથે ની આસક્તિ–ના દોષો  (સંગદોષ)ને જીતી લીધેલા છે,
--જેઓ આત્મચિંતનમાં સદા મગ્ન છે,
--જેમની વાસનાઓ (કામ-વગેરે) નો ક્ષય (નાશ) થયો છે,અને
--જેઓ દ્વંદો (સુખ-દુઃખ,હર્ષ-શોક –વગેરે) થી મુક્ત થયા છે-
તેવા જ્ઞાતાઓ (જ્ઞાનીઓ) જ તે શાશ્વત પદ ને (બ્રહ્મ-પદ ને) પ્રાપ્ત કરે છે(૫)

જેમ મીઠાની બનાવેલી પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા જાય તો તે પછી આવતી જ નથી-
એટલે કે તે સમુદ્રમાં જ ઓગળી જાય છે,
તેમ- જે- શાશ્વત –બ્રહ્મ પદને પામ્યા પછી તે જીવને પુનર્જન્મ નથી (મુક્તિ છે) –તે-
પરમાત્માનું પરમ ધામ (ઉત્તમ પદ) છે –કે જે –પરમ ધામને –પ્રકાશિત કરવાને –
સૂર્ય,ચંદ્ર કે અગ્નિ –કોઈ પણ સમર્થ નથી.(બ્રહ્મ-પોતે જ તો સૂર્યને પ્રકાશ દેનાર છે).(૬)

જેમ પવનને લીધે-તળાવ માં તરંગો ઉત્પન્ન થાય છે-તે તળાવનો જ નાનો અંશ હોય તેમ ભાસે છે-
તેમ જીવલોક (મનુષ્યલોક કે મૃત્યુલોક) માં પરમાત્માનો અંશ જીવ-(આત્મા)-છે-
અને આ પરમ વિશુદ્ધ જીવ (આત્મા) –પ્રકૃતિની સાથે ઐક્ય પામી –પ્રકૃતિની ઉપાધિ (માયા) થી-જ-
તે પ્રકૃતિના (માયાના) ધર્મોના અધિકાર ને સ્વીકારે છે.
પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો (સ્વાદ-વગેરે) અને છઠ્ઠા “મન” ને –“એ” મારાં છે-એમ કહી ને તે
કર્મ માં પ્રવૃત્ત થાય છે.(૭)

જેવી રીતે હિમાલયમાં વસેલો સંન્યાસી –સ્વપ્નામાં પોતે જ પોતાનું ઘર (સ્ત્રી-પુત્રો વગેરે) માંડે અને
પછી તે ઘર ચલાવવા –આમતેમ દોડે.(નોકરીઓ-ધંધાઓ કરે)- તેવી રીતે-
પોતાની (પોતાના આત્મતત્વની) વિસ્મૃતિ થવાથી-તે આત્મા પોતાનું સ્વ-રૂપ પ્રકૃતિમય માનીને -
તે પ્રકૃતિ (માયા)ના અનુરોધથી (બતાવ્યા મુજબથી) તેનાં જ (પ્રકૃતિનાં જ) કાર્યો કરે છે.

કઠોપનિષદમાં તૃતીયવલ્લી –મંત્ર-૩-૪ માં કહ્યું છે-કે-
--આત્માને–શરીરરૂપી –રથ (કાર)-નો –માલિક –સમજવો,
--બુદ્ધિ –ને-સારથી (ડ્રાઈવર) જાણવી અને મન-ને –લગામ (સ્ટીયરીંગ વ્હીલ) જાણવી,
--ઇન્દ્રિયો-ને-ઘોડાઓ (એંજીન)કહે છે.આ આત્માની (કોઈ) એક અદભુત એવી અનંત (જીવન) યાત્રા છે,
કે જેમાં ભક્તિ(શક્તિ)-કર્મ (ધર્મ) જ્ઞાન(મુક્તિ)-વગેરેના અનેક  જુદા જુદા  પથ (રસ્તા) છે.
(પથ -અનેક છે,રથ (શરીર) અનેક છે-પણ ધ્યેય માત્ર 'એક' (બ્રહ્મ કે પરમાત્મા) જ છે)

વાયુ જેમ પુષ્પમાંથી સુગંધ લઇ જાય છે-તેવી જ રીતે-શરીરનો સ્વામી-આત્મા-પણ એક શરીરનો 
જયારે ત્યાગ કરે છે-ત્યારે તે શરીરમાંથી માત્ર-મન –ઇન્દ્રિયને લઇ જઈ બીજું શરીર ધારણ કરે છે. (૮)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE