Mar 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય--સંપૂર્ણ-૨૨૮

ગરુડજીએ કાકભુશુંડી ને પ્રણામ કરીને ભક્તિ-ભાવ-પૂર્વક પૂછ્યું કે-
પ્રભુ,હજી મારે થોડું જાણવું છે,આપની આજ્ઞા હોય તો પુછું? 
કાક કહે છે કે-ખુશીથી પૂછો,તમારા જેવા જિજ્ઞાસુ શ્રોતા તો મહાપુણ્યે મળે છે.
ત્યારે ગરુડજી એ કાક ને સાત પ્રશ્નો પૂછ્યા. (૧) સૌથી દુર્લભ શરીર કયું? (૨) સૌથી મોટું દુઃખ કયું? (૩) સૌથી મોટું સુખ કયું? (૪) સંત-અસંત નો સહજ સ્વભાવ કેવો હોય છે? (૫) સૌથી મોટું પુણ્ય કયું? (૬) સૌથી ભયાનક પાપ કયું? (૭) મનના રોગો કયા? 

પ્રશ્નોના જવાબ આપતાં કાક કહે છે કે-મનુષ્ય-શરીર સૌથી દુર્લભ છે.એ સ્વર્ગ-નર્ક કે મોક્ષની નિસરણી છે.જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિનું સાધન છે.આવું દુર્લભ શરીર ધરીને પણ જે લોકો શ્રીહરિને ભજતા નથી,
તેઓ હાથમાં આવેલા પારસમણિને ફેંકી દઈને કાચનો ટુકડો સંઘરે છે.
જગતમાં દરિદ્રતા સમાન દુઃખ નથી ને સંત-મિલન (સત્સંગ) સમાન કોઈ સુખ નથી.
સંતો મન,વચન અને કર્મથી,પોતે બીજાનું દુઃખ ભોગવી તેને સુખી કરે છે,
જયારે અસંતો બીજાઓને દુઃખી કરી ને પોતે સુખી થાય છે તેવું માને છે.

સંસારમાં મોટામાં મોટું પાપ પરનિંદા છે,અને મોટામાં મોટું પુણ્ય –તે-પરનિંદા ના કરવી તે છે.
હવે મનના રોગો કયા છે તે સાંભળો.શરીરના રોગો કરતાં પણ મનુષ્ય આ મનના રોગોથી વધારે દુઃખી થાય છે.
સર્વ રોગો નું મૂળ એ “મોહ” છે.કામ એ વાત.લોભ એ કફ અને ક્રોધ એ પિત્ત છે. 
(વાત-પિત્ત-કફ-એ આયુર્વેદ પ્રમાણે શરીરના મૂળ રોગો છે) 
આ ત્રણે રોગ –કામ,લોભ,ક્રોધ (વાત,પિત્ત,કફ) ભેગા થઇ જાય તો સનેપાત (ભાન ભૂલાઈ જવું) થાય છે.

મમતા એ દાદરનો રોગ છે,ઈર્ષા –ખુજલી છે,પારકાનું સુખ જોઈ બળવું તે ક્ષય-રોગ છે,
મનની કુટિલતા એ કોઢ છે,અહંકાર એ ગાંઠનો રોગ છે,દંભ,કપટ,મદ,મન-એ નસોના રોગો છે.
તૃષ્ણા એ જ્લોધરનો રોગ છે,અને લોકેષણા ધનેષણા,પુત્રેષણા.એ એકાંતરિયો તાવ છે.
આ બધા અસાધ્ય રોગ જીવને પીડે છે.આમાંનો એકએક રોગ મનુષ્યને મારવા સમર્થ છે 
તો જેનામાં બધા ભેગા થઇ જાય તો તેની દુર્દશાનું શું કહેવું?

જગતના સર્વ જીવોને આ રોગનો ભય છે.કોઈ જ આ રોગના ભયથી મુક્ત નથી.
એટલા માટે આ રોગોને ઓળખી લેવાની જરૂર છે,રોગોને ઓળખવાથી તેનું જોર ઓછું થાય છે પણ 
તે નાશ પામતા નથી.આમાંના કોઈ કોઈ રોગ તો ઋષિ-મુનિઓમાં પણ ફૂટી નીકળે છે.
તો સાધારણ મનુષ્યની તો શી વિસાત?

આ રોગો મટાડવાનો માત્ર એક જ ઉપાય છે અને તે –કોઈ સદગુરૂ (વૈદ્ય) મળી જાય તો,
એના શરણે જઈ,તેમના વચનમાં વિશ્વાસ રાખી,ને તેમણે બતાવેલી પરેજી પાળવામાં આવે.
પણ આવા સદગુરૂ (વૈદ્ય) મળવા સહેલા નથી,અને મળે તો દર્દીનું ભાગ્ય ખુલી જાય છે.
સદગુરુઓએ બતાવેલી આ રોગો સામે વાપરવાની સંજીવની (દવા) એ શ્રીરામની ભક્તિ છે.
શ્રદ્ધા એ તેનું અનુપાન છે.જેનાથી રોગ જડમૂળથી નાશ થાય છે.બીજા કોઈ ઉપાયથી નહિ.

ટૂંકમાં,સર્વ નો સાર એ છે કે-શ્રીરામની ભક્તિ વિના આરોગ્ય નથી,સુખ નથી,જીવન નથી.
કદાચ,ઝાંઝવાના જળથી તરસ બુઝાય,કદાચ સસલાના માથા પર શિંગડાં ઉગે,
કદાચ અંધકાર સૂરજનો નાશ કરે-પણ શ્રીરામથી વિમુખ (દૂર) થયેલો કદી સુખી થતો નથી.
કદાચ બરફમાંથી અગ્નિ પ્રગટે,કદાચ રેતીને પીસવાથી તેલ નીકળે,અને 
કદાચ પાણી વલોવવાથી માખણ નીકળે-પણ શ્રીરામની ભક્તિ વિના કોઈ શાંતિ પામતું નથી.,

છેલ્લે,કાકભુશુંડીએ પોતાનું તમામ  શ્રદ્ધા-બળ શબ્દોમાં પુરીને કહ્યું કે-હું નિશ્ચય-પૂર્વક કહું છું,ને મારું વચન કદાપિ ખોટું નહી પડે કે-જે મનુષ્ય શ્રીહરિને ભજે છે તે જ આ દુસ્તર સંસારને તરી જાય છે,મારો જ દાખલો જુઓ-પક્ષીઓમાં નીચમાં નીચ અને અપવિત્ર એવો હું કાગડો,શ્રીરામની કૃપાથી પાવન બની ગયો છું.હું સર્વ પ્રકારે હીન હોવાં છતાં આજે અતિ-ધન્ય બની ગયો છું.શું શ્રીરામની કૃપાનો આ જેવોતેવો ચમત્કાર છે?

ગરુડ અને કાકભુશુંડીનો સંવાદ અહીં પુરો થયો.
શિવજી, પાર્વતીજી ને આ રામ-કથા સંભળાવી કહે છે કે-હે પાર્વતી,શ્રીરામની કૃપા અને શ્રીરામની ભક્તિ અને શ્રીરામના નામ સિવાય આ જગતમાં બીજો કોઈ લાભ નથી.ધન્ય છે એ કુળને જેમાં ભક્તનો જન્મ થાય છે.
તુલસીદાજી કહે છે કે-કળિયુગમાં યોગ,યજ્ઞ,જપ,વ્રત અને બીજું કોઈ પણ સાધન નથી,સાધન માત્ર એક જ છે-કે-બસ,કેવળ શ્રીરામનું જ સ્મરણ કરવું,શ્રીરામના નામના ગુણ ગાવા,ને શ્રીરામના જ ગુણ સાંભળવા.
હે,રઘુવીર,મારા સમાન કોઈ દીન નથી,અને આપના સમાન કોઈ દીનનું હિત કરનાર નથી,
એમ વિચારી,હે,રઘુવંશમણિ,મારી ભયંકર,સંસાર-પીડા હરો.સિયાવર રામચંદ્રકી જય.

રામાયણ-રહસ્ય-સમાપ્ત.


PREVIOUS PAGE         INDEX PAGE             .....END.......