Dec 14, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-કિષ્કિન્ધા કાંડ-૧૫૩

કિષ્કિંધાકાંડ
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
દૂરથી તેમણે રામ-લક્ષ્મણને જોયા.જટાધારી તપસ્વી વેશમાં પણ તેમની વીર-પ્રતિભા,
સુગ્રીવથી છાની રહી નહિ.એને બીક લાગી કે –મારા દુશ્મન બનેલા મારા ભાઈ વાલીએ,મારો નાશ કરવા તો આમને મોકલ્યા નહી હોયને? કદાચ મારો વિશ્વાસ સંપાદન કરવા આવો સાધુવેશ તો ધારણ નહી કર્યો હોયને? સુગ્રીવે પોતાના મનની આ શંકા પોતાના સાથીદારોને કહી.અને તે ભયનો માર્યો ધ્રુજી ઉઠયો.

સુગ્રીવ અને વાલીની કથા એવી છે- કે-તે બંને ભાઈઓ હતા.વાલી મોટો અને સુગ્રીવ નાનો.
બંને ભાઈઓ શુરવીર હતા,પણ વાલીની શુરવીરતાને કોઈ ના પહોંચે.એનું નામ પડતાં શત્રુઓ કાંપતા.
પિતાનું મરણ થતાં મોટાભાઈ તરીકે વાલી ગાદીએ બેઠો.ને સુગ્રીવ તેનો સેવક બનીને રહ્યો.
વાલીમાં શરીર-બળનું તો અભિમાન હતું જ અને તેમાં હવે સત્તાનો મદ ઉમેરાયો.
હવે તે જેની ને તેની સાથે લડવા લાગ્યો, લડવા સિવાય તેને ચેન પડતું અહીં.કોઈ લડનાર ના મળે તો
ઝાડને બાથમાં લઇને તેને મૂળમાંથી હલાવી નાખતો,લાત મારીને પર્વતની મોટો મોટી શિલાઓને
ઉછાળીને-તેને દડાની જેમ હાથમાં ઝીલતો.

મદ(અહમ) એવી જ ચીજ છે,પછી ભલે તે શરીરનો હોય,ધનનો હોય કે રાજ્યનો હોય.
મદથી મનુષ્ય આંધળો બને છે,પાગલ બને છે અને મનુષ્ય,એ મનુષ્ય મટી જાય છે.
જયારે આ તો વાનર હતો,મૂળે સ્વભાવે ચંચળ અને તે ચંચળતામાં મદનું ઉછાંછળા-પણું ઉમેરાયું.
વાલી કોઈનો જરા સરખો પણ વિરોધ સહન કરી શકતો નહિ,પોતાની આજ્ઞાનો ભંગ તેને ખમાતો નહિ,
કોઈની દલીલ તે સાંભળતો નહિ,કે કોઈના સુખ-દુઃખનો વિચાર કરતો નહિ.માત્ર પોતાના શરીરના લાડ 
લડાવવા પાછળ જ એનું બધું ધ્યાન હતું,રાત ને દિવસ તે ભોગ-વિલાસમાં ડૂબેલો રહેતો.
યુદ્ધ અને ભોગવિલાસ સિવાય તેને બીજી કોઈ ચીજની દરકાર નહોતી.

એકવાર એને એના જેવો જ લડનારો મળી ગયો.અને એ હતો દુંદુભિ નામનો રાક્ષસ.
વાલીની પેઠે એના બળનો એને પણ બહુ ગર્વ હતો.અને ચારેકોર ત્રાસ વર્તાવતો હતો.
એક વાર એણે સમુદ્રને પોતાની સામે લડવાની હાકલ કરી,ત્યારે સમુદ્રે કહ્યું-તારી સામે લડવાનું મારું ગજું નહિ,
તું હિમાલય પાસે જા.હિમાલયે કહ્યું-કે હું તપસ્વીઓનું ઘર કહેવાઉં, મને લડતાં ના આવડે ,તું વાલી પાસે જા.
દુંદુભિએ વાલીના નગરના દરવાજ ખટખટાવ્યા,ને ગર્જનાઓ કરવા માંડી.

એ સાંભળી વાલી ઊંઘમાંથી ઉઠીને તેની સામે લડવા આવ્યો.બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું,છેવટે વાલીએ દુંદુભિને ઉઠાવી પથ્થર પર પછાડ્યો ને મારી નાખ્યો,પછી તેના શબને ઘા કરી ફેંક્યું તે,મતંગઋષિના આશ્રમમાં જઈ પડ્યું.અને લોહીના છાંટા ધ્યાનમાં બેઠેલા મતંગઋષિ પર પડ્યા.ઋષિએ બહાર આવીને જોયું તો રાક્ષસનું શબ.
વાલીનું જ આ કર્મ છે,એમ જાણી લઈને એમણે શાપ દીધો કે-મારા આશ્રમ ફરતી એક જોજનની હદમાં જો વાલી  આવતી કાલની સવાર પછી પગ દેશે તો તેના મસ્તકના સો ટુકડા થઇ જશે.

આવો શાપ મળવા છતાં વાલીનો દર્પ હેઠો બેઠો નહિ,એનો ઉધમાત ચાલુ જ રહ્યો.
એવામાં એકવાર માયાવી-રાક્ષસ જોડે સ્ત્રીની બાબતમાં તેને કજીયો થયો.
થોડા દિવસ પછી,તે માયાવી રાક્ષસ ઓચિંતાનો રાતે એની સામે ચડી આવ્યો અને હાકોટા પાડવા લાગ્યો.
હાકોટા સાંભળી વાલી દોડ્યો,મોટાભાઈને યુધ્ધે ચડતા જોઈ સુગ્રીવ પણ એની સાથે થયો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE