Jul 24, 2021

Gujarati-Ramayan-Rahasya-23-ગુજરાતી-રામાયણ-રહસ્ય-23

સેવાનું ફળ એ સેવા છે મેવા નહિ.માટે ભક્તે મુક્તિની પણ આશા કરવી જોઈએ નહિ.નરસિંહ મહેતા એ ગાયું છે કે-હરિના જન તો મુક્તિ ના માગે,માગે જન્મોજન્મ અવતાર રે....એનું નામ નિષ્કામ ભક્તિ. ભક્તને ગોલોક ધામ કે વૈકુંઠધામ જોઈતું નથી,એને તો પ્રભુની સેવા જોઈએ છે.ભોગ માટે કે સુખ માટે તેની ભક્તિ નથી.પણ ભગવાન માટે ભક્તની ભક્તિ છે.ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી પણ ભોગ વહાલા છે.તેને સંસાર વહાલો છે.

ઘણા ભક્તિ કરતાં કરતાં -ભગવાન પાસે પુત્ર માગે છે,ધન માગે છે.
ભગવાન બધું સમજે છે,તે મનમાં વિચારશે કે-આ ચાલાક તો એનું કામ મારી પાસે કરાવવા માગે છે.
મારી સેવા કરવાને બદલે મારી પાસે સેવા કરાવવા માગે છે.
ભગવાનની આગળ આવી કોઈ ચાલાકી ચાલતી નથી.

સાચો ભક્ત તો પ્રભુને કહેશે કે-
હે પ્રભુ,હું મારી આંખ,મારું મન,મારું સર્વસ્વ જે કઈ છે તે તારું જ છે અને તને જ અર્પણ કરું છું.
સાચો ભક્ત મુક્તિ માગતો નથી. “મને દર્શન આપો” એમ પણ કહેતો (માગતો) નથી.
માગવાથી પ્રેમનો ભાગ થાય છે,પ્રેમ ઓછો થાય છે.માટે પ્રભુ જોડે કંઈ માગવું જોઈએ નહિ.

શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક જણ ને ભેટસોગાદ આપી નવાજે છે.પરંતુ
હનુમાનજી ને કંઈ આપતા નથી.સીતાજી પાસે બેઠાં હતાં તેમણે કહ્યું કે –આ હનુમાનને પણ કંઈ આપો ને !
ત્યારે રામજી કહે છે કે-હનુમાનને હું શું આપું?હનુમાનના ઉપકારનો બદલો હું વાળી શકું તેમ નથી.
હું સદાયનો તેનો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું.

ભક્તનો પ્રેમ ભગવાનને ય સદાના ઋણી બનાવી રાખે છે.
શુદ્ધ પ્રેમમાં લેવાની નહિ પણ આપવાની ભાવના થાય છે.મોહ ભોગ માગે છે જયારે પ્રેમ ભોગ આપે છે.
પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો –એમ સમજવું.ભક્તિમાં માગો તો માગેલી વસ્તુ મળશે ખરી,
પણ ભગવાન જશે. આપવા વાળો પ્રભુ જશે. ભગવાન ગીતામાં કહે છે કે-દેવના ભક્તો દેવની પૂજા કરે છે,
અને તેનું આકાંક્ષિત ફળ પામે છે,જયારે મારા (બ્રહ્મના) ભક્તો મને (બ્રહ્મને) પામે છે.

મનુષ્યે એમ માનવું જોઈએ કે “પ્રભુ એ મને ઘણું આપ્યું છે” કદાચ પ્રભુએ ઓછું આપ્યું હોય તો પણ
એમ માનવું કે-“મારા પ્રભુજી તો પરિપૂર્ણ છે,પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે,તે મારું
હિત બરાબર સમજે છે.તેથી જેટલું જોઈએ તેટલું જ આપ્યું છે”

મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ છે,ભક્તો માને છે કે-મુક્તિ એ તો ભગવાનની દાસી છે,
મારે દાસીનું કામ નથી,ભગવાનનું કામ છે.
રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું.અસહ્ય પીડા થતી હતી.ત્યારે શિષ્યોએ કહ્યું કે –માતાજીને કહો તો તે
તમારો રોગ સારો કરે.ત્યારે રામકૃષ્ણે કહ્યું કે-મારી માતાને હું મારા માટે તકલીફ નહિ આપું.

સ્વામી વિવેકાનંદ સન્યાસી થયા નહોતા તે વખતની વાત છે,તેઓ એકવાર ખૂબ જ મુશ્કેલીમાં હતા.
તેમણે રામકૃષ્ણને તેમનું દુઃખ દૂર કરવા કહ્યું.
રામકૃષ્ણ કહે છે કે-જા, માતાજી આગળ અને તેની પાસેથી માગી લે.
વિવેકાનંદ પ્રાર્થના કરવા ગયા,પણ માતાજી સમક્ષ ધન-માલ માંગવાની કે દુઃખ દૂર કરવાની વાત તેમના
મુખમાંથી નીકળી નહિ,પણ માગી તો માત્ર માની કૃપા જ માગી.અને બહાર આવ્યા.
રામકૃષ્ણે પૂછ્યું કે- તેં મા પાસે તારું દુઃખ દૂર કરવાની વાત કરી? ત્યારે વિવેકાનંદે કહ્યું કે-ના.
રામકૃષ્ણે તેમણે ફરીથી બીજી વાર મા પાસે મોકલ્યા. પણ બીજી વાર પણ તેમણે એ જ માગ્યું.
ત્રીજી વાર મોકલ્યા તો પણ તેમણે –મા ની કૃપા જ માગી.
આ છે,સાચા ભગવદભક્તની ભાવના.એના મનમાં ભૌતિક સુખ-દુઃખનો વિચાર ઉગતો જ નથી.
દુઃખની પણ પરવા નહિ અને સુખની પણ પરવા નહિ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE