Sep 20, 2021

Gujarati-Ramayan-Rahasya-79-ગુજરાતી-રામાયણ-રહસ્ય-79

જગતમાં સત્સંગની ઘણી તકો છે,પણ તેને છોડીને જે કુસંગમાં પડે છે તે આંબો કાપીને એની જગ્યાએ લીમડો રોપે છે,ને પછી કેરીની આશા રાખે છે.લીમડાના મૂળમાં દૂધ સિંચવામાં આવે તો પણ તે મીઠો થવાનો નથી.એક વાર જીવ કુસંગમાં ફસાયો પછી એ લીમડા જેવો કડવો બની જાય છે.બાળક જન્મે છે ત્યારે આમ્રવૃક્ષ (આંબા) જેવો હોય છે.એને પહેલો સંગ માતાનો અને પછી પિતાનો થાય છે.માતા બાળકને ઉછેરે છે ત્યારે તે જગત-જનની જગદંબા સ્વરૂપ હોય છે.પણ બાળક જયારે માતાનો ખોળો છોડીને શેરીમાં મિત્રો સાથે રમવા જાય ત્યારે,પિતા અને ગુરુજનોની જવાબદારી વધે છે.તેમણે બાળક કોના અને કેવાં સંગમાં ફરે છે તે ધ્યાન રાખવાનું હોય છે.બાળકના નિર્મળ સંસ્કારોના આંબાની જગ્યાએ કુસંગનો લીમડો તો રોપાતો નથી ને?તે જોવાનું છે.

કૈકેયી મૂળે તો સ્વભાવની શાણી અને ઉદાર છે.તે રામ અને ભરતમાં કોઈ ભેદ જોતી નહોતી.કે 
નહોતો એને કૌશલ્યા તરફ કોઈ દ્વેષ. એ પોતે જ કહેતી કે-રામ મને કૌશલ્યા કરતાં પણ વધારે ચાહે છે.
અને મારી સેવા કરે છે.રામને રાજા બનાવવાનું પણ એ પોતે જ વારેવારે રાજાને કહેતી હતી.
પણ થોડી વારના મંથરાના દુષ્ટ સંસર્ગથી તેની બુદ્ધિ બગડી અને મહા અનર્થ ઉભો થયો છે.

ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી પણ સત્સંગ આપે છે.
સાચા સંતનો સત્સંગ ઈશ્વર-કૃપાથી મળે છે,પણ કુસંગથી દૂર રહેવાની વાત આપણા હાથમાં છે.
કુસંગ એટલે નાસ્તિકનો સંગ,કામ,ક્રોધ,લોભ-વગેરે વાસનાઓમાં ચકચૂર રહેનારાઓનો સંગ.
સંગનો રંગ તો લાગે જ છે.માટે મહાત્માઓ કહે છે-કે-પાપીઓના સંગથી દૂર રહેવું.

ભગવાને દૂર્યોધનના ઘરના મેવા આરોગવાની ના પાડી છે ને વિદૂરના ઘરની ભાજી ખાવા જાય છે.
દૂર્યોધન એ દુર્વાસનાનું પ્રતિક છે,અને જ્યાં દુર્વાસના હોય તેની નજીક પણ ભગવાન જતા નથી.
ભગવાન તેનાથી આઘા રહે છે.ભગવાન પણ જેનો સંગ કરતા નથી તેનો સંગ જો મનુષ્ય કરે તો 
તેની શું દશા થાય? સંગ નો રંગ મનુષ્ય ને લાગે જ છે.માણસ કંઈ જન્મથી બગડેલો નથી હોતો,
જન્મથી તે શુદ્ધ જ હોય છે,પણ જેમ જેમ એ મોટો થતો જાય અને 
જેના સંગમાં આવે છે તેના જેવો તે બને છે.કુસંગથી જીવન બગડે છે,સત્સંગથી જીવન સુધરે છે.

સંતો કહે છે કે-બીજું બધું બગડે તો બગડવા દેજો,પણ મન અને બુદ્ધિને બગડવા ન દેશો.
કૈકેયીએ મંથરાને મન આપ્યું ને પરિણામ કેવું ભયંકર આવ્યું?કૈકેયીના નિર્મળ ચરિત્રને જે ડાઘો પાડ્યો 
તે આજે ય ભૂસાયો નથી.બીજા ડાઘ ધોવાશે પણ ચારિત્ર્યના ડાઘ ધોવાશે નહિ.
વિદુરજી ધ્રુતરાષ્ટ્રની સભામાં બેસે છે,પણ ત્યાંના રંગઢંગ જોઈ તેમણે લાગ્યું કે,ધ્રુતરાષ્ટ્રના સંગમાં રહીશ 
તો મારું જીવન બગડશે.તેથી તેઓ ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે ભગવાનની ભક્તિ કરવા ચાલી ગયા.

સંગનો રંગ મનને લાગે જ છે,કાજળની કોટડીમાં રહીએ તો કાજળનો ડાઘ લાગ્યા વગર રહે નહિ.
સંસારમાં રહીએ તો સંસારનો ડાઘ લાગ્યા વગર રહે નહિ.અને મહાપુરુષના આશ્રમમાં રહીએ તો 
તેમના સત્સંગનો રંગ પણ લાગ્યા વગર રહે નહિ.
મહાત્માઓ કહે છે કે-પ્રભુને રોજ એવી પ્રાર્થના કરો કે-મને શંકરાચાર્ય જેવું જ્ઞાન,
મહાપ્રભુજી જેવી ભક્તિ,.શુકદેવજી જેવો વૈરાગ્ય અને હનુમાનજી જેવી સ્વામી-નિષ્ઠા મળે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE