Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ-(અષ્ટાંગ-યોગ)
આ આઠ ને જ વિદ્વાનો “યોગનાં અંગો” કહે છે.
--તેમાં ‘બધું બ્રહ્મ છે’ આવું જ્ઞાન થવાથી ઇન્દ્રિયો નો સંયમ થાય છે.એટલે એ જ “યમ” કહેવાય છે.
  માટે તેનો વારંવાર અભ્યાસ કરવો,
--આત્મચિંતન (સજાતીય) નો પ્રવાહ ચાલુ રાખવો અને દેહાદિ (વિજાતીય) નો તિરસ્કાર કરવો-
  એટલે કે આત્મસ્વરૂપ માં લય કરી દેવો-એ જ પરમાનંદ-સ્વરૂપ “નિયમ” છે.
--જે સ્થિતિમાં નિરંતર-સુખપૂર્વક-બ્રહ્મ-ચિંતન થઇ શકે –એણે જ “આસન” સમજવું.
--ચિત્ત આદિ સર્વ પદાર્થોમાં બ્રહ્મ-પણાની ભાવના કરવાથી,સર્વ વૃત્તિઓનો નિરોધ(કાબુ) થઇ જાય છે,
  એટલે એ જ “પ્રાણાયામ” કહેવાય છે.
  --તે પ્રાણાયામમાં પ્રપંચ (માયા) નો બ્રહ્મ-સ્વરૂપ માંથી નિષેધ કરવો-તે “રેચક પ્રાણાયામ” છે.
  --“હું બ્રહ્મ જ છું” આવી વૃત્તિ તે “પૂરક-પ્રાણાયામ” છે.
  --એ વૃત્તિ ની નિશ્ચળતા થવી તે “કુંભક-પ્રાણાયામ” છે.
  --બાકી શ્વાસોશ્વાસને પૂરવા,રોકવા ને કાઢવા –એ અજ્ઞાનીઓ નો પ્રાણાયામ છે.
--વિષયો ઉપરની આત્મ-ભાવના ત્યજીને મન ને ચૈતન્ય-આત્મ-સ્વરૂપમાં મગ્ન કરવું-તે “પ્રત્યાહાર” છે.
--મન જ્યાં-જ્યાં જતું રહે ત્યાં-ત્યાં ,કેવળ બ્રહ્મ નું જ દર્શન કરવાથી,તે મન ને વશ કરી શકાય છે,
  અને તે જ ઉત્તમ પ્રકારની “ધારણા” છે.
--“હું બ્રહ્મ જ છું” આવી સદવૃત્તિ થી નિરાલંબ (કોઈ પણ વસ્તુ ના આશ્રય વિના) સ્થિતિ કરવી
  તેને “ધ્યાન” કહેવામાં આવે છે.અને એ જ પરમાનંદ આપનાર છે.
--એમ નિર્વિકાર અને બ્રહ્માકાર –વૃત્તિ થયા પછી,એ વૃત્તિ ને પણ ભૂલી જવી,એ ઉત્તમ “સમાધિ” છે.


આ સમાધિ કરવામાં આવે છે –ત્યારે-વિઘ્નો પણ બળથી (શક્તિથી) જરૂર આવે જ છે.
જેવાં કે-
બરાબર એકાગ્રતા ના થાય,આળસ થાય,ભોગો ની લાલસા થાય,ભય થાય,
અજ્ઞાન,અંધકાર કે તમોગુણ ફેલાય, વ્યગ્રતા કે વ્યાકુળતા થાય,મન આડું અવળું જતું રહે,
તેજ ના ઝબકારા જણાય અને શૂન્ય જેવી સ્થિતિ પણ થાય.

આવાં ઘણી જાતનાં વિઘ્નો આવે,પણ બ્રહ્મને જાણનારા,મનુષ્યો એ તેઓ ને ત્યજી દેવાં,અને
એ વિઘ્નોનો સંપૂર્ણ ત્યાગ કરીને પ્રમાદ-રહિત થવું,અને મન ને વશ કરવું.

એમ સમાધિ-નિષ્ઠ થઇ,સાક્ષાત “બ્રહ્મ” થવાને તું યોગ્ય છે. (૯૧૦-૯૨૩)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE