Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૯


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ,સાપ ઘરમાં રહેતો હોય તો માણસના ચિત્ત ને કદી શાંતિ નથી રહેતી,
તેમ,ધન ઘરમાં રાખી મુક્યું હોય અને ભલે તે ખર્ચાતું ના હોય તો પણ તે ધન ની ચિંતા રહ્યા કરે છે,
એટલે આમ ધન ને લીધે મનુષ્ય ના ચિત્ત ને શાંતિ ક્યાંથી હોય? (૮૧)

નિર્ધન મનુષ્ય જંગલમાં,વેરાનમાં,ઉપદ્રવ વાળા કે ઉપદ્રવ વગરના સ્થાનમાં,ચોરો સાથે,શાહુકાર સાથે,
રાજા સાથે,કે એકલો હોય તો પણ સ્વસ્થ અને આનંદ-પૂર્વક રીતે રહી શકે છે,
પરંતુ ધનવાન મનુષ્ય લોકો થી આદર પામતો હોય તો પણ સદા દુઃખી રહે છે,
તેની બુદ્ધિ વ્યાકુળ રહે છે,અરે! પુત્રથી પણ તે ભયભીત રહે છે. (૮૨)
માટે,આ રીતે ,સર્વ અનર્થ નું મૂળ કારણ ધન છે,અને તેનાથી કોઈ પુરુષાર્થ ની સિદ્ધિ થતી નથી,તેથી જ સત્પુરુષો એ પ્રતિકૂળ ધનનો ત્યાગ કરીને વનમાં નિરાંતે રહે છે. (૮૩)

“શ્રદ્ધા,ભક્તિ અને ગુણોવાળી સતી સ્ત્રી, સારા પુત્રો,તેમ જ પૃથ્વી ના અખૂટ ભોગ-વૈભવો થી શોભાયમાન સુંદર ઘર-એ બધું નાશવંત છે” –
એમ વેદોક્ત યુક્તિઓ થી જાણી ને વિદ્વાનો એ બધા નો ત્યાગ કરી ને સંન્યાસ લે છે.
પણ બીજા અજ્ઞાનીઓ “આ બધું સુખ છે” એમ માની તે દુઃખ ના સમુદ્રમાં ભમ્યા કરે છે. (૮૪)

“આ ઘરમાં સુખ છે” એમ માનીને સ્ત્રી,પુત્ર અને સંબંધીઓના સમુદાય સાથે મનુષ્ય,મેલા ના કીડાની પેઠે,
મેલા ના એ ઢગલા માં જ રમે છે.તેવા મનુષ્ય ને પણ દેવોના સ્થાન સ્વર્ગ ની પેઠે મોક્ષ નો પ્રસંગ મળતો જ નથી,અને નિરંતર જન્મ લઇ ને ગર્ભવાસ ની પેઠે દુઃખો નો પ્રવાહ જ પ્રાપ્ત થાય છે. (૮૫)

જેમની સ્ત્રી,સંતાન,ધન વગેરેની આશા, નિરાશારૂપ બની જાય છે,તેમને જ,
મોક્ષની આશા તરફ જવાનું સિદ્ધ થાય છે,બીજાઓ ને નહિ. (૮૬)

--જેઓ શાસ્ત્રોના અભ્યાસ કરતા હોય—જેમનાં પાપ સત્કર્મો થી નાશ પામ્યાં હોય—
--જેમનો આત્મા સિદ્ધ થયો હોય—જેઓ બુદ્ધિમાન હોય અને યુક્તિથી નિત્યાનિત્ય પદાર્થ ની શોધ કરતા હોય
   તેમને જ તે દ્વારા,ઉત્પન્ન થયેલી વૈરાગ્ય-રૂપ તલવાર પ્રાપ્ત થાય છે,
અને પછી મોક્ષ ની આકાંક્ષા વાળા એ ધન્ય પુરુષો,
સ્ત્રી-આદિ વિષયો સંબંધી આશારૂપ વેલા ને સહેલાઈ થી (વૈરાગ્ય-તલવારથી) કાપી નાખે છે. (૮૭)

સંસાર એ બળવાન મૃત્યુ  છે.તેના આ લોકમાં પ્રવેશ કરવાના- સ્ત્રી,જીભ અને સોનું-એ ત્રણ દરવાજા છે.
આ ત્રણ પર જે કાબુ મેળવે છે તેને મૃત્યુ નો ભય રહેતો નથી. (૮૮)

મુક્તિ-રૂપી શોભાયમાન નગરનો જે પ્રથમ દરવાજો છે,તેને જીતવો ઘણો મુશ્કેલ છે,કારણકે,
ધન અને સ્ત્રી-એ બંને તેનાં મજબૂત કમાડ હોઈ ને તે મજબૂત રીતે બંધ કરેલો છે.અને
વળી તેમાં કામદેવ નામનો મજબૂત અને ભયંકર આગળિયો પણ છે.
જે ધીર-પુરુષ એ ત્રણે ને તોડે છે,તે જ મોક્ષ નું સુખ ભોગવવાને લાયક બને છે. (૮૯)

જે પુરુષ વિવેક-રૂપી ઘોડા પર સવાર થયો હોય,જેણે તીવ્ર વૈરાગ્ય-રૂપી તલવાર લીધી હોય,અને ક્ષમા રૂપી બખ્તર પહેર્યું હોય,તેની સામે યુદ્ધમાં ઉતરનાર કોઈ દેખાતો જ નથી.(કોઈ છે જ નહિ) (૯૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE