Dec 4, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૪

આમ ઘણા વખત સુધી શિવજીની સમાધિ તૂટી નહિ એટલે કામદેવે શંકરના હૃદય પર ચોટ મારવા માંડી.મહાદેવજીને અત્યંત ક્રોધ થયો અને તેમણે ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને તે નેત્રમાંથી નીકળેલી જ્વાળામાં કામદેવ બળીને ભસ્મ થઇ ગયો.ત્યારે કામદેવની પત્ની રતિ,રોતી રોતી શિવજી પાસે ગઈ અને દયાની યાચના કરી બંને હાથ જોડી ઉભી.
ભોળા શંભુને તો પ્રસન્ન થતાં પણ કેટલી વાર?તેમણે રતિને આશીર્વાદ આપ્યા કે-
તારો પતિ શરીર વિના સર્વત્ર વિચરશે,ને હવેથી તે “અનંગ” નામે ઓળખાશે.

વળી પાછા સપ્તર્ષિઓ પાર્વતીજી પાસે આવ્યા અને કહે છે કે-મહાદેવજીએ તો કામદેવને બાળી નાખ્યો છે,આવાને પરણીને તમે શું કરશો?
પાર્વતીજી કહે છે કે-શિવજી તો પહેલેથીજ નિષ્કામ છે,સૌનું શ્રેય કરનારના ચિત્તમાં કામ કેવી રીતે હોઈ શકે? નિષ્કામ શિવને જ મેં મારા પતિ માન્યા છે અને તે મારો અડગ નિશ્ચય છે.

પછી તો –શિવ-પાર્વતીનાં લગ્ન થયાં.શિવજી, શિવજીની જાનનું અને લગ્નનું વર્ણન કરવામાં તુલસીદાસની 
કવિ-પ્રતિભા સોળે કળાએ ખીલી છે.સર્પની કલગી,સર્પનાં કુંડળ,સર્પનાં કંકણ,સર્પનું ઉપવિત (જનોઈ),જટાનો મુગટ,હાથમાં ડમરુ ને ત્રિશુળ,ડોકમાં મુંડની માળા ને આખલા પર સવારી. આવો હતો વરરાજા શિવજી નો વેશ.અને એમના જાનૈયા પણ કેવા? કોઈ મોં વિનાના તો કોઈ અનેક મોંવાળા,કોઈ હાથ-પગ વિનાનાં તો 
કોઈ અનેક હાથ-પગવાળા, કોઈ આંધળા તો કોઈ અનેક આંખોવાળા,કોઈ જાડા તો કોઈ સળેકડી જેવા,
કોઈનું મોં ગધેડા જેવું,કોઈનું કૂતરા જેવું,કોઈનું સુવર જેવું.તો કોઇંનું શિયાળ જેવું.
ભૂત-પ્રેત,પિશાચ,ડાકિની,શાકિની-વગેરેની પણ લાંબી લંગાર લાગી છે.

રસ્તામાં જો છોકરાં ને સ્ત્રીઓ જુએ તો જોઈને બી ને ભાગી જાય છે.સૌ કહે છે કે-
બળદિયા પર બેસીને પરણવા આવનાર મુરતિયામાં અક્કલ બળી નથી લાગતી,કે પછી 
તેના ચિત્ત નું ઠેકાણું લાગતું નથી,આ તો નવાઈ નો વરરાજા!!!!

પાર્વતીની માતા, પાર્વતીને ગોદમાં લઈને શોક કરે છે,ને કહે છે કે-પેલા નારદે,મારા વસતા ઘરને ઉજ્જડ કર્યું,
પણ ભલે મારી દુનિયામાં નિંદા થાય પણ હું જીવતી છું ત્યાં સુધી આવા ગાંડા.વર જોડે તને નહિ પરણાવું. 
પાર્વતી કહે છે કે-મા,તું શોક ના કર,આ વર જ મને ઇષ્ટ છે,આ વર માટે મેં તપ કર્યું હતું.
અને ધામ-ધૂમ પૂર્વક શિવજી-પાર્વતીનાં લગ્ન થઇ ગયાં.
(આમ શિવજીનું પાર્વતી સાથે બીજું લગ્ન છે-ને પાર્વતી સતીનો બીજો અવતાર છે)

વિદાય વેળાએ માતાએ પુત્રીને શિખામણ દીધી,”તું સદા શિવચરણ (પતિચરણ) ની સેવા કરજે,
સ્ત્રીઓનો એજ ધર્મ છે,પતિ એ જ સ્ત્રીઓનો દેવ છે બીજો કોઈ નથી.”
બોલતાં બોલતાં માતાની આંખોમાંથી આંસુ આવ્યાં છે,લાડથી ઉછરેલી દીકરીને છાતીએથી અળગી કરવાનું મન થતું નથી,પણ શું થાય ? સ્ત્રીને પતિ-ગૃહે જવું જ પડે છે.
તુલસીદાસજી કહે છે કે-સ્ત્રી સદા પરાધીન છે,અને પરાધીનને સ્વપ્નમાં પણ સુખ હોતું નથી.
ઈશ્વરે જગતમાં સ્ત્રીને શું કામ સર્જી હશે? 'કત બિધિ સૃર્જી નારિ જગ માંહી,પરાધીન સપને હું સુખુ નાહીં'

સુંદર અને અસુંદર,શુભ અને અશુભ,રુદ્ર અને કોમળ-આ બધાં એક જ પદાર્થનાં બે પાસાં છે,
જે શિવ છે-તે જ રુદ્ર છે,જે આસુતોષ (જલ્દી પ્રસન્ન થનારા) છે તે જ પ્રલયકારી પણ છે.
જે મનુષ્ય આ વિષમતામાં સમતા જાણી શકે છે તે જ ખરું જાણે છે.જે એ દેખે છે તે જ સાચું દેખે છે.
એટલે તો ગીતાજી માં કહ્યું છે કે-સમતા એ જ યોગ છે.

શિવ-પાર્વતીની આ આ કથા પુરી કરતાં તુલસીદાસ કહે છે કે-
શિવજી સમાન રામ-ભક્ત કોણ છે?અને રામજીને શિવજી સમાન બીજો પ્રિય કોણ છે?
'શિવ સમ કો રઘઉપતિ બ્રતધારી? કો શિવસમ રામહિ પ્રિય ભાઈ?'

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE