Aug 10, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-09

હવે પાછા મૂળ વિષય પર જઈએ-તો-યોગના અંગોમાં યમ-નિયમ અને આસન પછી,નાડીશુદ્ધિ વિષે આપણે વિચાર્યું. હવે આવે છે "પ્રાણાયામ"

જેવી રીતે કોઈ મોટા એન્જીન (યન્ત્ર) માં મુખ્ય ચક્ર (ગતિસાધક-ચક્ર)પ્રથમ ફરે છે અને તેની સાથે જોડાયેલાં અસંખ્ય ચક્રો વાટે,તે ગતિસાધક ચક્રની ગતિ નાનામાં નાની યંત્ર-રચના સુધી પહોંચે છે.અને આમ નાજુક-માં નાજુક  ભાગોમાં પણ ગતિ આવી જાય છે,
તેવી જ રીતે,આ શરીરમાં શ્વાસ એ "ગતિ-સાધક-મુખ્ય" ચક્રની સમાન છે.અને તે શરીરના દરેક ભાગને
"ચાલક-શક્તિ" પૂરી પાડે છે અને તેમને નિયમિત રાખે છે.

એકવાર એક રાજાએ તેના પ્રધાનને કોઈ કારણોસર -શિક્ષા-રૂપે,એક ખૂબ ઉંચા મિનારા પર પૂરી દેવાની
સજા કરી.અને રાજાની આજ્ઞા પ્રમાણે  તે પ્રધાનને પૂરી દેવામાં આવ્યો.
પ્રધાનની પત્ની પતિવ્રતા હતી,તે રાત્રે મિનારા પાસે ગઈ અને નીચેથી ઉભા રહી અને પ્રધાનને પૂછ્યું કે-
મારાથી કંઈ બની શકે તેમ છે? હું કોઈ મદદ કરી શકું?
ત્યારે પ્રધાને કહ્યું કે-એક લાંબુ દોરડું,તેટલી જ લાંબી પાકી મજબૂત દોરી,તેટલી જ લાંબી રેશમની દોરી,
એક જીવડું અને થોડું મધ -આટલું આવતી કાલે રાતે લઇ આવજે.

પ્રધાનના કહેવા મુજબ તેની પત્ની બધી વસ્તુઓ લઇને આવી,ત્યારે પ્રધાને ઉપરથી જ કહ્યું કે-
પેલી રેશમની (વજન માં એકદન હલકી) દોરી જીવડા સાથે બરોબર બાંધી દે,
પછી તે જીવડાના શિંગડા પર મધનું ટીપું લગાવી દે,અને પછી તે જીવડાનું મોઢું -
ઉપરની બાજુએ કરીને મિનારાની દિવાલ પર છુટું મૂકી દે,
પત્નીએ જેવું પ્રધાને કહ્યું -તેમ કર્યું અને જોયું તો જીવડું,શિંગડા પર લગાડેલી મધની ગંધે-ગંધે
ધીરે ધીરે મિનારાની ઉપર જવા માંડ્યું,ને છેવટે પ્રધાન જ્યાં મિનારાની ટોચ પર હતો ત્યાં પહોંચી ગયું,
ત્યારે પ્રધાને તેને પકડી લીધું,અને તે જીવડાની સાથે બંધાયેલ રેશમનો દોરો હાથમાં લઇ લીધો.
પછી તેણે પત્નીને -તે રેશમના દોરા જોડે-પાકી દોરીને બાંધવા કહ્યું અને જયારે પાકો દોરો
તેના હાથમાં આવી ગયો એટલે તે પાકા દોરાની સાથે દોરડું બાંધવાનું કહ્યું,અને પ્રધાન પાસે દોરડું
આવી ગયું પછી બાકીનું કામ તો સહેલું હતું,દોરડાથી પ્રધાન નીચે ઉતરીને ભાગી ગયો.(મુક્ત થયો)

ઉપરના દ્રષ્ટાંત પ્રમાણે -આપણા આ શરીરમાં "શ્વાસ-ગતિ" એ રેશમી દોરા જેવી છે,
તેને  પકડીને તેના પર કાબૂ મેળવવાથી,"જ્ઞાનતંતુઓ ના પ્રવાહ-રૂપી" પાકો દોરો આપણા હાથમાં આવે છે,
કે જેના વડે છેલ્લે "પ્રાણ-શક્તિ રૂપી" દોરડું આપણા હાથમાં આવે છે,તેના પર કાબૂ મેળવી ને
આપણે છેવટે મુક્ત થઈએ છીએ.

આપણાં પોતાનાં શરીર વિશે આપણે કંઈ પણ જાણતા નથી,અને જાણી શકતા પણ નથી..
વધુમાં વધુ તો આપણે એક મડદું લઈને તેણે ચીરીને અંદર શું છે તે જોઈ શકીએ,અથવા તો,
કોઈ જીવતું પ્રાણી લઇને તેને ચીરીને તેના શરીરમાં શું છે તે જાણી શકીએ,
પણ તેમ છતાં યે -આપણે આપણા -"પોતાના-શરીર" વિશે તો જાણી શકીએ જ નહિ.

આમ,આપણે આપણા શરીર વિશે બહુ ઓછું જાણીએ છીએ કારણકે-
આપણું ધ્યાન -એ શરીરમાં ચાલી રહેલી સૂક્ષ્મ પ્રક્રિયાઓ ને પકડી શકે તેટલું એકાગ્ર નથી.
મન જયારે વધુમાં વધુ સૂક્ષ્મ બને અને શરીરમાં ઊંડે ઉતરે-અનુભવે- ત્યારે જ શરીર વિશે જાણી શકાય.

મનના સૂક્ષ્મ અનુભવોને પકડવા આપણે સૌ પ્રથમ સ્થૂળ અનુભવોથી શરૂઆત કરવી પડે.
આ શરીર-રૂપી યંત્રને જે "ગતિ" આપનાર છે તેને પકડવાનો છે.
અને તે છે "પ્રાણ" કે જેનું સૌથી પ્રગટ સ્વરૂપ છે-"શ્વાસ"

આ શ્વાસ સાથે ધીમે ધીમે શરીરમાં પ્રવેશ કરી,સમગ્ર શરીરમાં ચાલી રહેલા-જ્ઞાનતંતુના પ્રવાહો વિશે
(એટલે કે સૂક્ષ્મ બળો વિશે ) જાણી શકાય છે,અને જેવા તેમને પારખીને તેમનો અનુભવ થવા લાગે,
કે તરત જ તેમના (સૂક્ષ્મ બળો) ઉપર અને શરીર પર કાબૂ મળવા લાગે છે.
મન,પણ આ સૂક્ષ્મ બળ (જુદા જુદા નાડીપ્રવાહો) વડે ગતિમાં મુકાતું હોવાથી,મન પર પણ કાબૂ મળે છે.

પ્રાણ-એ શક્તિ છે.અને યોગીએ તે શક્તિ મેળવવાની છે,અને તેનો પ્રારંભ થાય છે-
પ્રાણાયામથી એટલે કે પ્રાણ-શક્તિના કાબૂથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE