Mar 30, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-124



(૪૪) વિદુરથ નું યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વ નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-એ સમયે વિદુરથ ની મહારાણી તે ઘરમાં આવી,તેના વસ્ત્રો વીંખાઈ ગયા હતા,
હારો તૂટી ગયા હતા અને તે વ્યાકુળ થઇ ગઈ હતી,સખીઓ અને દાસીઓથી તે ઘેરાયેલી હતી.

એક સખીએ વિદુરથ રાજાને કહ્યું કે-
મહારાણી અંતઃપુર માંથી નાસીને અહીં આપને શરણે આવી છે,અનેક આયુધો વાળા બળવાન શત્રુઓ,
અંતઃપુર ના રક્ષકો ને મારી નાખીને આપની બીજી રાણીઓને હરી ગયા છે.
આખું નગર શત્રુઓ થી ભરાઈ ગયું છે.ઉગ્ર વિપત્તિ આવી છે,
તેનું નિવારણ કરવા આપ સિવાય કોઈ સમર્થ નથી.

ત્યારે વિદુરથે સરસ્વતી અને લીલા ને કહ્યું કે-ક્ષમા કરજો,હું અહીંથી જાઉં છું,પણ મારી આ સ્ત્રી,
આપના ચરણ ને શરણ રહેશે.આમ કહી,કોપાયમાન થયેલો રાજા,તે ઘરમાંથી બહાર નીકળ્યો.
ત્યારે સરસ્વતી સાથે રહેલી "જ્ઞાન-વાળી" લીલાએ,અરીસામાં દેખતા પ્રતિબિંબ ની જેમ,
પોતાના જ જેવા આકારવાળી "બીજી" લીલાને (વિદુરથ ની મહારાણીને) ત્યાં આવેલી જોઈ.

લીલા સરસ્વતીને પૂછે છે કે-હે દેવી આ શું છે?તે મને કહો.જે હું છું તે આ કેમ છે?
અને જો એ હું જ હોઉં તો આટલો કાળ જતાં પણ તેની અવસ્થા યુવાન ની યુવાન કેમ રહી છે?
આ મંત્રી લોકો,નગરના રહેવાસીઓ,સૈન્યો,વાહનો,યોદ્ધાઓ-જેઓ ત્યાં હતા તેઓ અહીં કેમ છે?
અને જો અહીં છે,તો ત્યાં -તેમ ને તેમ કેમ રહે છે?
હે,દેવી,જેમ લોકો અરીસાની અંદર અને બહાર પણ એના એ જ હોય છે,તેમ આ લોકો -ત્યાં અને અહીં-
પણ એના એ જ કેમ છે? આ લોકો ચેતના વાળા છે કે નહિ?

સરસ્વતી કહે છે કે-જેમ,મન,સ્વપ્નાવસ્થામાં,જાગ્રતમાં અનુભવેલા પદાર્થને પ્રાપ્ત થાય છે,
તેમ,ચૈતન્ય,પણ,પોતાની અંદર કરેલા સંકલ્પના આકારને ક્ષણ-માત્રમાં પ્રાપ્ત થાય છે.
ચિત્તમાં ((મનમાં) અને ચૈતન્યમાં -સંસ્કાર-રૂપે-જેવા આકારનું જગત હોય છે,તેવા આકારનું જ જગત-
ક્ષણ-માત્રમાં બહાર હોય-તેમ પ્રતીત થાય છે.આ સઘળું ચૈતન્ય ના વિવર્ત-રૂપ જ છે.

માટે,તેમાં "પદાર્થો ના સ્વભાવ" ને અનુસરીને,"દેશ-કાળ" ની લંબાઈ કે વિચિત્રતાનો અંત આવે તેમ નથી.
જે અંદર છે તે જ બાહ્ય-રૂપે પ્રતીત થાય છે.અને એ વિષયમાં "સ્વપ્ન ના પદાર્થો" જ દૃષ્ટાંત-રૂપ છે.
જેમ,અંદર ચૈતન્ય નો વિવર્ત જ-સ્વપ્નના તથા સંકલ્પના -નગર-રૂપે બહાર સ્ફૂરે છે,
તેમ,બહાર પણ ચૈતન્ય નો વિવર્ત જ બાહ્ય-રૂપે સ્ફૂરે છે.અને દૃઢ અભ્યાસને લીધે સ્ફુટ આકારવાળો થયો છે.

જે સમયે તારો પતિ,પદ્મરાજા તારા નગરમાં જે વાસનાઓને લઈને મરણ પામ્યો,
તે વાસનાઓ પ્રમાણે,તે સ્થળે (તે નગરમાં) તેવા વિષયોને પ્રાપ્ત થયો છે.
અહીના લોકો એ ત્યાંના (તે નગરના) હોય તેમ પ્રતીત થાય છે,પણ સત્યમાં તેમ નથી.પણ,
તેમના જેવા બીજા જ છે.
જેમ,સંકલ્પનાં અને સ્વપ્ન નાં સૈન્યો,તે-તે અવસ્થામાં સાચા છે,
તેમ,તારા આ પતિ (વિદુરથ) અને અને આ લોકો -પણ સાચા જ છે.

જાગ્રત અવસ્થામાં જાગ્રત ના સર્વે પદાર્થો અને સ્વપ્નાવસ્થામાં સ્વપ્ન ના સર્વે પદાર્થો,વાંધા વિના 
અનુભવમાં આવે છે-તે સાચું,,પણ એમનામાં વાસ્તવિક સત્યતા કેમ અને કેવી હોય તે તું જ કહે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE