May 22, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-168


ત્યાર પછી રાક્ષસીએ વિચાર કર્યો કે-“બ્રહ્મા ના કહેવા પ્રમાણે થવામાં મારે કોઈ વિરોધ નથી તો પછી,
શા માટે તેમના વરદાન મુજબ ના થવું”
એટલે તે રાક્ષસી પૂર્વના શરીરના આકાર જેવી થવા માંડી.તેનું સૂચી (સોય) જેવડું સ્વરૂપ હતું તેમાંથી
તે પ્રથમ પ્રાદેશ (અંગુઠો અને તર્જની વચ્ચે નું અંતર) જેવડી થઇ,પછી હાથ જેવડી થઇ,પછી વૃક્ષ ની શાખા
જેવડી થઇ,અને પછી તો તે “અભ્ર-માળા” (આકાશનાં વાદળો) જેવી ખૂબ મોટી થઇ ગઈ.
પૂર્વે બીજ-રૂપે અદ્રશ્ય રહેલાં તેનાં અવિકળ શક્તિ-વાળાં ગાત્રો પાછાં દેહમાંથી ઉત્પન્ન થયાં.
તેમ જ તેની ઇન્દ્રિયો અને તેનાં સ્થાનકો પણ ઉત્પન્ન થયાં.
(૭૬) કર્કટી નું તપમાંથી નિવૃત્ત થવું અને ભીલના દેશમાં જવું.

વર્ષા-ઋતુની મેઘલેખા જેમ સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે તેમ તે સૂચી રાક્ષસી (કર્કટી) સૂક્ષ્મમાંથી સ્થૂળ થઇ.
ત્યાર પછી “આત્મ-ભૂત-બ્રહ્માકાશ”નું ધ્યાન ધરવાથી તેને આનંદ થયો અને બોધ (જ્ઞાન) થવાથી,
જેમ સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ તેણે રાક્ષસ ભાવનો ત્યાગ કર્યો.પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી,
દેહનો “ભાવ” શાંત થતો નથી,એટલે જયારે તે સમાધિમાંથી જાગી ત્યારે તેણે ક્ષુધા ઉત્પન્ન થઇ.
ભૂખ લાગવાથી તેણે વિચાર કર્યો કે-હવે મારે શેનો આહાર કરવો?કોઈ પણ પ્રાણીને અન્યાયથી મારીને,
મારે તેનો આહાર કરવો જોઈએ નહિ.તેવા આહાર કરતાં તો મરવું વધારે સારૂ છે.ન્યાય થી મેળવેલો આહાર
કર્યા વિના કદાપિ મારા દેહ નો ત્યાગ થાય તો તેમાં કોઈ અન્યાય નથી.
ભોજન કરીને જીવવામાં મારે કંઈ ઇષ્ટ નથી અને મરણ થવામાં કંઈ અનિષ્ટ નથી.
હું તો માત્ર “મનો-માત્ર” છું,દેહ-વગેરે તો ભ્રમથી ભૂષણ-રૂપ છે.અને તે ભ્રમ પણ જ્ઞાનથી નાશ પામે છે.
માટે મારે,જીવન-મરણ જેવું કશું છે જ નહિ.
વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે વિચાર કરીને તે કર્કટી રાક્ષસી મૌન રહી.પોતે રાક્ષસી હોવા છતાં તેણે રાક્ષસી સ્વભાવનો ત્યાગ કર્યો-એટલે વાયુદેવે પ્રસન્ન થઈને કહ્યું કે-હે કર્કટી,તું જા. અને અજ્ઞાની-લોકો ને જ્ઞાનનો
ઉપદેશ કર,કારણકે અજ્ઞાની ને બોધ આપવો તે જ મહાત્મા નો સ્વભાવ છે.તારો ઉપદેશ સાંભળવા
છતાં જેનામાં જ્ઞાનનો ઉદય ના થાય તેનો તારે નાશ કરવો,એથી તારી ક્ષુધા શાંતિ થશે.અને
તે અન્યાય પણ  ગણાશે નહિ.કારણકે બોધ આપવા છતાં જેને  બોધ થાય નહિ
તેઓ આમેય પોતાની મેળે જ નષ્ટ થતા હોય છે.
એ પ્રમાણે વાયુદેવ ના વચન સાંભળીને તેમનો આભાર માનીને તે રાક્ષસી પર્વત પરથી નીચે ઉતરી,
અને રાતે ઘોર અંધારા-વાળા માર્ગે હિમાલયની સમીપ રહેલા (ભીલ ના) દેશ તરફ પ્રયાણ કર્યું.
(૭૭) રાત્રિ નું તથા ભીલના રાજા અને તેના પ્રધાન નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,રાત્રિના સમયે તે રાક્ષસી ભીલોના પ્રદેશમાં આવી.
તે વખતે આકાશ ચન્દ્ર-રહિત હતું,કાળા તમાલ (ના વૃક્ષથી) બનેલા વનથી તે રાત્રિ અતિ-પુષ્ટ અને ઘાટી
લાગતી હતી,લતાની ઘટાઓને લીધે નક્ષત્રો નો પ્રકાશ દેખાતો નહોતો અને અંધારામાં લોકોની ગતિ મંદ
થઇ ગઈ હતી.ચૌટા પરના દીવા વાયુથી વાંકા થયેલા હતા,તેથી અંધકારની વૃદ્ધિ જણાતી હતી.
નગરનાં માણસો સૂઈ રહેલા હતા અને વનમાં પવન ફૂંકાતો હતો.માળામાં પક્ષી સૂઈ રહ્યા હતા,ગુફામાં સિંહ સૂઈ રહ્યા હતા,કાળિયાર મૃગોએ વિશ્રાંતિ લીધી હતી.આકાશમાં ઝાકળના કણ ચમકતા હતા.
બળી ગયેલા લાકડાંના પોલાણ જેવી તે રાત્રિ અત્યંત ઘાટી અને કાળી હતી.
ભીલ ના તે દેશમાં,તે ભયંકર રાત્રિમાં જયારે સર્વ સૂઈ રહ્યાં હતાં,તે સમયે ધીરજ-વાળો તે દેશનો “વિક્રમ”
નામનો રાજા તથા તેનો કારભારી એ બંને જણા –રાત્રિચર્યાથી ચોર લોકો નો વધ કરવા માટે શહેરમાંથી
બહાર નીકળ્યા-તેમને તે કર્કટી રાક્ષસીએ જોયા.એ બંને ને જોઈ રાક્ષસીએ વિચાર કર્યો કે-
અહો,મને ભક્ષ્ય મળ્યું.આ રાતના સમયે પ્રાણીઓ ની હિંસા કરીને ભોજન કરનારા મૂઢ આત્માઓ લાગે છે,
પણ કદાપિ આ બંને માણસો ગુણવાન અને મોટા મન વાળા હોય તો મારાથી તેમનો નાશ થઇ શકે નહિ,
તેથી તેમની પરીક્ષા કરવી યોગ્ય છે.અને જો તે લોકો ગુણવાન હશે તો હું તેમનું ભોજન કરીશ નહિ.
અને જો ગુણવાન નહિ હોય તો તેઓ મારા ભોજન ને લાયક છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE