May 21, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-167


આકાશમાર્ગ નું ઉલ્લંઘન કરી,વાત-સ્કંધ નું અતિક્રમણ કરી ને સિદ્ધ ના સમૂહને પોતાની પાછળ રાખીને,
તે વાયુ-દેવ,સૂર્ય-માર્ગ માં થઈને,નક્ષત્ર લોક ની ઉપર થઈને ઇન્દ્ર-લોકમાં ગયા.અને ઇન્દ્ર -આગળ
પોતે જે જોયું હતું તેનું વર્ણન કર્યું.
વાયુ-દેવ (પવન) કહે છે કે-જંબુદ્વીપમાં હિમાલય નામનો મોટો પર્વત છે,મહાદેવજી જેના જમાઈ છે,
તે પર્વતના ઉત્તર ભાગમાં પરમ-રૂપ ધારણ કરનાર તાપસી-સૂચી દારુણ તપશ્ચર્યા કરે છે.
તેના તપનું શું વર્ણન કરું?અરે,વાયુ વગેરે નું પણ ભક્ષણ ના કરવા માટે તે રાક્ષસીએ પોતાનું  પેટ,
લોઢા જેવું કરીને વાસી દીધું છે.

મુખના છિદ્ર દ્વારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે તેટલાં માટે એ રાક્ષસીએ પોતાનું મોં ખુલ્લું કરીને માટીથી ભરી દીધું છે.તે રાક્ષસીના તીવ્ર તાપથી હિમાલય પર્વત પણ પોતાનું હિમ-પણું છોડીને અગ્નિમય સ્વરૂપ ધારણ કર્યું છે,અને તેથી દેવો પણ ત્યાં વાસ કરી શકતા નથી.
માટે હે,ઇન્દ્ર,બ્રહ્મા તેને વરદાન આપે તે માટે (તેમ કહેવા) આપણે બ્રહ્મા ની પાસે જઈએ,
કેમ કે તેના તપની ઉપેક્ષા થશે તો મહા અનર્થ થશે.
વાયુદેવ ના કહેવાથી ઇન્દ્ર બીજા દેવતાઓ સાથે બ્રહ્મા પાસે ગયો અને બધાએ બ્રહ્માને પ્રાર્થના કરી.
ત્યારે બ્રહ્માએ કહ્યું કે-હું તે રાક્ષસીને વરદાન આપવા હિમાલય પર્વત પર જાઉં છું.
બ્રહ્મા ના એ વચન સાંભળી ઇન્દ્ર અને બીજા દેવતાઓ તેમના સ્થાન પર પાછા ગયા.
(૭૫) કર્કટી રાક્ષસીને પૂર્વ દેહની પ્રાપ્તિ
વશિષ્ઠ કહે છે કે-બ્રહ્મા તે કર્કટી રાક્ષસી પાસે આવ્યા અને આકાશમાંથી બોલ્યા કે-હે,પુત્રી તું વરદાન માગ.
પણ તે સૂચી (કર્કટી) રાક્ષસી ને કર્મેન્દ્રિયો નહિ હોવાથી,માત્ર “જીવ-માત્રે” તે રહેલી હતી.
વળી, તેને પરમ જ્ઞાન પણ પ્રાપ્તથયું હતું,તેથી બ્રહ્માને કંઈ પણ ઉત્તર આપ્યા વિના તે વિચારવા લાગી કે-
“(પરમ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી) હું પૂર્ણ છું તથા સંદેહ-રહિત છું,માટે વરદાન ને શું કરું?
હવે શાંત-પણાથી હું સુખી રહેલી છું,મેં જાણવાની વસ્તુ-માત્રને જાણી લીધી છે.ને મારા વિવેક નો વિકાસ
થયો છે,એટલે હવે બીજું શું પ્રયોજન રહ્યું? જે પ્રમાણે હમણાંની મારી પરિસ્થિતિ છે તે જ પ્રમાણે રહે તો
સારું જ છે.પરમાર્થ રૂપ સત્ય નો ત્યાગ કરીને બીજા મિથ્યા અર્થ સંપાદન કરવામાં શું ફળ છે?”
કર્મેન્દ્રિયો થી રહિત અને મૌન રહેલી તે તાપસી અને પ્રસન્ન બુદ્ધિવાળી રાક્ષસીને બ્રહ્માએ ફરીથી કહ્યું કે-
હે પુત્રી તું વરદાન માગ.તું ભૂતળમાં કેટલાક કાળ સુધી ભોગ ભોગવ્યા પછી,પરમ-પદ ને પામીશ એવો
પરમ-નિયંતા નો નિશ્ચય છે,તે નિયતિને મટાડવા અમે પણ સમર્થ નથી.
આવા મહા-તપને લીધે તારા મનનો મનોરથ પૂર્ણ થાઓ.તારા શરીરની પાછી અભિવૃદ્ધિ થાઓ.અને તું
હિમાલય ના વનમાં રાક્ષસી નું તારું મૂળ સ્વરૂપ ને પ્રાપ્ત થા.
હે,પુત્રી,બીજ ની અંદર રહેલા વૃક્ષ-પણાને જેમ બહારના મોટા વૃક્ષોનો વિયોગ થાય છે,તેમ હાલ,
સૂક્ષ્મ રહેલી એવી તેને તારા પૂર્વ શરીરનો વિયોગ થયો છે,તે શરીરનો તને પાછો સંયોગ થશે.
જાણવાની વસ્તુનું તને જ્ઞાન થયું છે,અને તારું અંતઃકરણ શુદ્ધ છે,તેથી તું હવે લોકો ને પીડા કરીશ નહિ,
ને નિરંતર “ધ્યાન અને ધારણા” માં તારી પ્રીતિ રહેશે.અને સર્વત્ર “આત્મ-સ્વ-રૂપ” ની દૃષ્ટિ રહેશે.
તું વ્યવહારની દ્રષ્ટિથી “ધ્યાન અને ધારણા”ના આધારભૂત રહીશ અને
વાયુના સ્વભાવથી તું તારા શરીર ને ચેષ્ટાયુક્ત (ક્રિયાશીલ) કરીશ.
હે,પુત્રી,તે સમયમાં તું પોતાના જાતિ-સ્વભાવ (રાક્ષસી) ને ઉચિત અશાસ્ત્રીય હિંસાની વિરોધીની થઈશ અને
ક્ષુધાની શાંતિ કરવા સારૂ ન્યાયથી (ન્યાય કરવા માટે) લોકોની હિંસા કરીશ.લોકોમાં તું ન્યાય-વૃત્તિ થી
અન્યાય નો બાધ કરીશ.અને જીવન- મુક્તપણા નું વિવેકથી પાલન કરીશ.
આ પ્રમાણે આકાશમાંથી વરદાન આપીને બ્રહ્મા ત્યાંથી ચાલ્યા ગયા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE