Jun 2, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-179



આત્મા ને જો કે વસ્તુતઃ એક પણ અવયવ નથી,છતાં પણ જગતમાં જેટલા અવયવવાળા પદાર્થો દેખાય છે,
તે સર્વમાં વ્યાપકપણા ને લીધે,”તે આત્મા હજારો અવયવવાળો છે” એમ કહેવામાં આવે છે.(૪૭)
જેમ,સ્વપ્નમાં એક જ પુરુષને પોતાના શરીરમાં બાળપણ થી વૃદ્ધ-પણા નો આભાસ થાય છે,
તેમ,તે અણુ-ચૈતન્ય ને એક નિમેષ (પલકારા) માં હજારો કલ્પો સ્ફૂરે છે. (૪૮)
આ જગત ચૈતન્ય-રૂપી પરમાણુમાં રહ્યું છે,અને તેથી જ જગતના પ્રતિભાસ પ્રવર્તે છે,
જેમ,પૂતળી વગેરે આકાર સ્તંભમાં રહેલા છે,તો તે તેમાંથી જ ઉત્પન્ન થાય છે,નિર્મળ આકાશમાંથી નહિ,
તેમ, જે પદાર્થ જેમાં હોય -તે પદાર્થ તેમાંથી જ ઉત્પન્ન થાય.
બીજમાં જેમ વૃક્ષ રહેલું છે,તેમ ભુત-ભવિષ્ય-વર્તમાનમાં થતાં પ્રાણીમાત્ર ચૈતન્યમાં રહેલાં છે.(૪૯-૫૦)

જેમ અન્ન નો કણ ફોતરાં થી વીંટળાયેલો છે,તેમ નિમેષ અને કલ્પ-એ ચૈતન્ય થી વીંટળાયેલા છે.
એ પ્રમાણે,”અંશ ની કલ્પનાવાળો- આ આત્મા-રૂપી-અણુ” નિમેષ અને કલ્પ થી વીંટાયો છે. (૫૧)
આત્મા સર્વ જગતનો કર્તા અને ભોક્તા છે,તો પણ સ્વરૂપથી ઉદાસીનપણે રહેલો છે.
શુદ્ધ ચિત્ત-પરમાણુથી જ જગતની ઉત્પત્તિ થાય છે,માટે તેનામાં કર્તા અને ભોક્તા-પણાનો આરોપ થયેલ છે,
પણ ખરું જોતાં જગત ની ઉત્પત્તિ અને લય નથી માત્ર વ્યવહારથી જ તેની પ્રતીતિ થાય છે.
“જગત” શબ્દ થી આપને જેણે ઓળખીએ છીએ તે સંસાર પણ અનાદિ અને બ્રહ્મ-સ્વ-રૂપ જ છે.(૫૨)
જે પ્રમાણે,“ચિત્ત-અણુ-ચૈતન્ય” રૂપી-“દૃશ્ય-પદાર્થ” ની સિદ્ધિ માટે-
તે આત્મા-પોતાના અંતરમાં રહેલી “ચિત્ત-ચમત્કૃતિ”ને “બાહ્ય-પણા” થી ધારણ કરે છે,
અને તે પ્રમાણે-તે “ચિત્ત” એ સત્તાની અંદર અને બહાર રહેલું છે-
આમ, જે કહેવામાં આવે છે તે-માત્ર ત્રિલોકના પ્રાણીને ઉપદેશ કરવા માટે જ કહેવામાં આવે છે,
પણ તે વસ્તુતા (હકીકત) થી “સત્ય” નથી.
“આત્મા” તે અંતઃકરણ ની “ઉપાધિ” ને લીધે,દ્રષ્ટા-પણા ને પામે છે.અને પછી-
ઘટ (ઘડો) વગેરે જેવા વિષય ની ઉપાધિ થી,વિષય-પણાને પ્રાપ્ત થાય છે.અને,
તે (ઘટ-વગેરે) વિષયો,વગેરે આંખ થી દેખાવા (દૃશ્ય) ને લીધે,
તે “આત્મા” પોતાનામાં આવા દૃશ્ય-પદાર્થોના જેવા - સ્વરૂપ ને જોવા લાગે છે.
આમ,ખરું જોતાં તો દ્રષ્ટા-પણું તેમ જ દૃશ્ય-પણું –એ બંને નથી.
દૃશ્ય પદાર્થ (જગત) એ વસ્તુતઃ અસત્ અને અવાસ્તવ છે.અને દ્રષ્ટા (આત્મા) તેં દૃશ્યને પામતો નથી.
કારણ કે દ્રષ્ટા (આત્મા) માં દૃશ્ય-પણું (જગત) નથી.
જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેવી રીતે પામી શકે?
જેમ પુત્ર વિના પિતાપણું સંભવી શકે નહિ,કે "એક"  વિના દ્વૈત(બે) પણું સંભવી શકે નહિ,
તેમ,દૃશ્ય (જગત) વિના દ્રષ્ટા(ઈશ્વર)ની સતા સંભવી શકતી નથી.
જેમ,કુંડળ વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં “શક્તિ” રહેલી છે,પણ કુંડળમાં સોનું ઉત્પન્ન કરવાની
‘શક્તિ”નથી,તેમ,દ્રષ્ટા (પરમાત્મા) એ દૃશ્ય પદાર્થ (જગત)ને ઉત્પન્ન કરે છે,પણ દૃશ્ય પદાર્થ એ જડ હોવાથી,તે દ્રષ્ટાને ઉત્પન્ન કરી શકતો નથી.
જેમ,સોનું એ તેના ઘરેણાં બનીને તે ઘરેણાં માં ઘરેણાંના મોહ ને ઉત્પન્ન કરે છે,
તેમ,ચૈતન્ય એ દૃશ્ય (જગત) નું નિર્માણ કરી ને તે દ્રશ્યમાં મોહ ના હેતુ-રૂપ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE