Jun 7, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-184


એ પ્રમાણે તે રાક્ષસી એક વખત ઘણા કાળ સુધી આવી નહિ ત્યારે ભીલ-દેશના મનુષ્યોએ,સર્વ દોષની
શાંતિ માટે,ઉંચા મહેલમાં તે દેવીની મૂર્તિની સ્થાપના કરી.અને તેનું નામ –કંદરા દેવી કે મંગલાદેવી પાડ્યું.
ત્યાર પછી તે દેશમાં જે જે રાજાઓ થયા,તે બધા રાજાઓ  કંદરાદેવી ની પ્રતિષ્ઠા-પૂજા કરવા લાગ્યા.
જો કોઈ અધમ રાજા કંદરાદેવીની પ્રતિષ્ઠા નહોતો કરતો,તો તેના દેશમાં કેટલાક ઉત્પાત થતા અને
પ્રજાનો નાશ થતો. તે દેવીની પૂજા કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.અને પૂજન નહિ કરવાથી
અનર્થ ની ઉત્પત્તિ થાય છે.આમ વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોના બલિદાનથી તેની પૂજા થાય છે.
સમસ્ત ફળ આપનારી,તે દેવીની પ્રતિમા આજ સુધી ચિત્રમાં ચીતરેલી હોય તો પણ ફળ-પ્રદ થાય છે.
વધ કરવા યોગ્ય દુષ્ટ લોકો નો આહાર કરનારી, તથા મનુષ્યોના બાળકો,ધન-ધાન્ય વગેરેની-રક્ષા કરી
મંગળ સંપત્તિ કરનારી,પરમ બોધ વાળી તે દેવી ભીલના દેશમાં સર્વોત્કૃષ્ટ-પણે રહેલી છે.

(૮૪) કર્કટી-નામ થવાનું કારણ અને આ દ્રષ્ટાંત ની ઉપયોગિતા
વશિષ્ઠ કહે છે કે-હે,રામ એ પ્રમાણે પર્વત પર રહેનારી કર્કટી નું આખ્યાન –યથાક્રમે મેં કહી સંભળાવ્યું.
રામ પૂછે છે કે-હે,પ્રભુ,કાળા વર્ણ ની તે રાક્ષસીના કર્કટી નામનું કારણ શું? તે તમે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,શુક્લ (સફેદ),કૃષ્ણ (કાળો) હરિત (ઝાંખો) અને ઉજ્જવળ-એ પ્રમાણે રાક્ષસોનાં અનેક
કુળો પૃથ્વીમાં રહ્યા છે.તેમાંના કૃષ્ણ(કાળા) રાક્ષસ કુળમાં કર્કટ (કરચલા)જેવો કર્કટ નામનો
રાક્ષસ હતો,તેની તે દીકરી હતી,માટે તેનું નામ કર્કટી હતું. કૃષ્ણ(કાળા) કુળમાં તે જન્મી હતી એટલે તેનો રંગ કાળો હતો.એ પ્રમાણે જગતના તત્વ નું નિરૂપણ કરતાં અધ્યાત્મ-યોગના પ્રસંગમાં મેં તમને કર્કટી નું આખ્યાન કહ્યું.(જે ઘણા પ્રશ્નો થી યુક્ત છે!!)
પરમ કારણ-ભૂત,આદિ,મધ્ય અને અંત રહિત,એ “પરમ-પદ” માંથી જગત ઉત્પન્ન થયું નથી,તો પણ,
ઉત્પન્ન થયું હોય તેમ જણાય છે.જળમાં થતા તરંગો જેમ જળથી જુદા નથી તેમ છતાં જુદા જણાય છે,
તેમ,પરમાત્મા માં આ જગત ની સ્થિતિ રહેલી છે.

જેમ,લાકડાના થાંભલામાં પૂતળી ના હોય,પણ તેમાં પૂતળીનું ભાન થવાથી તે પૂતળી-રૂપે જણાય છે,
તેમ,જગત ઉત્પન્ન થયું નથી,તો પણ ઉત્પન્ન થયું છે એવું ભાન થવાથી,આ જગત જોવામાં આવે છે.
તેમાં વસ્તુતઃ કંઈ પણ ભેદ નથી,પણ વિચાર ના કરવાથી તેમાં ભેદ જોવામાં આવે છે,અને વિચાર કરવાથી,
ભેદ-બુદ્ધિ નો નાશ થાય છે.
હે,રઘુવીર,કારણ વિના જેમ આભ્રાંતિ આવી છે તેનો ત્યાગ કરો.
જયારે મારા વચનનું વારંવાર શ્રવણ કરવાથી,ભ્રાંતિ -રૂપ ગ્રંથી ભેદાઈ જશે,
ત્યારે જ્ઞાન,શબ્દ અને અર્થભેદથી વસ્તુ નું પોતાની મેળે જ્ઞાન થશે.
બ્રહ્મ માંથી જ સર્વની ઉત્પત્તિ છે,બ્રહ્મ માં જ સર્વનો લય છે,અને બ્રહ્મ તથા જગતમાં કોઈ ભેદ નથી,
એ વિષે મારાં વચનો થી બોધ થાય પછી તમને સંપૂર્ણ જ્ઞાન થશે.
રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,તમે કહો છો,કે -બ્રહ્મથી ઉતપન્ન થયેલું જગત બ્રહ્મ થી અભિન્ન છે,પણ-
શ્રુતિમાં લખ્યું છે કે-તે પરમાત્મા થી આકાશ વગેરેની ઉત્પત્તિ થયેલી છે,વાળી તે શ્રુતિમાં “તસ્માત” એ
“પંચમી” (માં) લખી છે,તે ભેદ જણાવે છે,તેનું કારણ મને કહો.
વશિષ્ઠ કહે છે કે-શાસ્ત્રમાં જે જે શબ્દો કહેલા છે તે બધા અજ્ઞાનીને ઉપદેશ દેવા માટે  તથા વ્યવહાર માટે જ લખાયા છે.માટે તે ભેદ-બોધક છે તેમ સમજવું નહિ.
બાળક ના કાર્ય માટે (ડર માટે) જેમ ભૂતની કલ્પના કરવામાં આવે છે,તેમ એ ભેદ ની કલ્પના કરેલી છે.
માટે તે વ્યવહારથી જો કે ભેદ દેખાય છે,તો પણ ખરું જોતાં તે ભેદ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE