Sep 29, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-296



તે જ સમયમાં -સ્વર્ગ જેવા તે નગરમાં "શ્રીયશસ્કરદેવ" નામનો રાજા થશે,તે રાજાના ઘરની અંદર,સ્તંભ
પાછળના છિદ્રમાં "દામ" નામનો દાનવ ગણગણાટ કરનારો "મચ્છર" થશે.
"અધિષ્ઠાન" નામના એ નગરની અંદર "રત્નાવલીવિહાર" નામનું ક્રીડા કરવાનું ઘર થશે,ને તે વિહાર-ગૃહમાં,રાજાનો "નૃસિંહ" નામનો અમાત્ય (મંત્રી) હશે કે જેને "બંધ-મોક્ષ" હાથમાં રહેલા આમળાની જેમ(પ્રત્યક્ષ)  હશે. તેની બેઠક ના ઓરડામાં "કટ" નામનો દાનવ "કલકલિયો" નામનો પક્ષી થશે.અને તે રૂપાના પાંજરામાં મંત્રી ને વિનોદ કરવાનું સાધન થઇ રહેશે.

હે,રામ,તે નૃસિંહ નામનો મંત્રી,દામ-વ્યાલ-કટ એ ત્રણ દૈત્યો ની શ્લોકબદ્ધ રચેલી કથાને લોકની પાસે વાંચશે,ત્યારે તે કલકલિયો,મચ્છર અને ચકલો એ કથા સાંભળશે,એટલે તેમને જૂની સ્થિતિનું સ્મરણ થશે.
અને આમ તેમણે પોતાના જીવ-રૂપ નો બોધ થશે એટલે તે પરમ-મોક્ષ-પદને પામશે.
આમ દામ-વ્યાલ-કટ નું સંપૂર્ણ આખ્યાન તમને કહી સંભળાવ્યું.

હે,રામ,આ જ રીતે-જે- આ સંસાર છે તે શૂન્ય છતાં "અત્યંત પ્રકાશિત દેખાતી માયા" છે.
તે માયા,ઝાંઝવાના પાણીની જેમ અજ્ઞાનથી લોકોને ભમાવે છે.
વાસનાઓથી મોહ પામેલા મૂર્ખ લોકો,દામ-વ્યાલ-કટ ની પેઠે,અનેક પ્રકારનાં અજ્ઞાન ને લીધે,
ઉત્તમ સ્થિતિમાં થી નીચી સ્થિતિમાં આવી પડે છે.

હે,રામ,જેમ,જે નિરંજન ચૈતન્ય છે-તે જ-પોતાના "સ્વયં-પ્રકાશરૂપ-પણા" નો ત્યાગ કરતું નથી,પણ,
"રાજસ અહંકાર" (રાજસ ગુણ ના અહંકાર) થી રંગાઈ જઈને દેહાધિક ખોટા રૂપને  "હું છું" એમ સમજે છે.
તેમ,જીવ પોતાની જ વાસના-રૂપ ભ્રાન્તિને લીધે,
પોતે જાણે ચૈતન્ય-સ્વરૂપ થી ભિન્નપણું પામ્યો હોય તેવો થાય છે.
જેઓ શાસ્ત્ર ની રીતિ પ્રમાણે,"આ જે દૃશ્ય છે-તે સઘળું મિથ્યા જ છે" એવો નિશ્ચય કરીને પોતાની અખંડાકાર
બુદ્ધિથી પોતાનામાં જ શાંત રહે છે,તેઓ પરમાત્મા માં રહેલી તે નિરંતર બુદ્ધિ વડે,સંસાર-સમુદ્ર ને તરી જાય છે.

જેમ,જળ નીચાણ-વાળા ભાગમાં જ વહી જાય છે,તેમ,જે પુરુષો જુદા જુદા પ્રકારના અસંખ્ય દુઃખો ના વિકારોને આપનારા શુષ્ક "તર્ક-વાળા મતો"નો આશ્રય કરે છે તેઓ પોતાના લાભ નો જ નાશ કરે છે.
પણ જેઓ,પોતાના અનુભવ થી સિદ્ધ થતા,શ્રુતિને અનુસરનારા માર્ગ થી,પરમ-પદમાં પહોંચવા માટે ચાલે છે -તે પુરુષોનો નાશ થતો નથી.

જે પુરુષ "મને અમુક વિષય-સુખ મળે તો સારું,મને અમુક પરલોક(સ્વર્ગ) મળે તો સારું" એવી તૃષ્ણાઓ રાખ્યા કરે છે,તેને પોતાના દુર્ભાગ્ય થી થયેલી દીનતા ને લીધે,"નાશ પામેલી પુરુષાર્થ ની રાખ" પણ હાથ આવતી નથી.(એટલે કે તૃષ્ણા ને લીધે તેણે કરેલા તેના પુરુષાર્થો નકામા થઇ જાય છે)
જયારે ઉદાર મનવાળો પુરુષ સર્વદા નિસ્પૃહ-પણાથી (અનાસક્તિથી) ત્રૈલોક્ય ને પણ તરણા જેવું સમજે છે,
તે પુરુષને -જેમ સર્પો જૂની કાંચળી ને ત્યજી દે છે તેમ સર્વ મુશ્કેલીઓ (વિપત્તિઓને) ત્યજી દે છે.

ગમે તેવી અપાર વિપત્તિ આવી પડી હોય તો પણ કુમાર્ગે -તો ના જ ચાલવું જોઈએ.
ઉત્તમ શાસ્ત્ર,અને સજ્જનો નો સમાગમ,એ બંને આત્માના પ્રકાશ-રૂપ -પ્રબળ પ્રકાશ આપનાર સૂર્ય છે.
જે પુરુષો તેનો આશ્રય કરે છે તે પુરુષો ફરીથી મોહ-રૂપ અંધકાર ને વશ થતા નથી.
જેમને સદગુણો મેળવવામાં અસંતોષ હોય છે અને સદા વેદાંત-શાસ્ત્ર સાંભળવામાં રાગ (રસ) હોય છે,અને,જેમને સત્ય બોલવાનું તથા બ્રહ્મ નું અનુસંધાન કરવાનું વ્યસન હોય છે,તેઓ જ મનુષ્ય છે,બીજા બધા તો પશુ-સમાન જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE