Oct 26, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-323



જેમ,એક દીવામાંથી થયેલા (કરેલા) બીજા દીવાઓની જે જુદાઈ છે,તે વાટ (દિવેટ) વગેરે ઉપાધિઓના
દેશ-કાળ-અવયવ ની જુદાઈને લીધે છે,પણ અગ્નિ-સ્વ-રૂપ ની જુદાઈ નથી,
(એટલે કે જુદા જુદા દીવાઓ ભલે ને ગમે તેટલા હોય પણ તેમાં  અગ્નિ-સ્વરૂપ એક જ છે.)
તેમ,જીવમાં બ્રહ્મની જે જુદાઈ છે તે,ઉપાધિઓના(માયાના) 'સ્વ-ભાવ' ને લીધે જ છે,સ્વ-રૂપ ની જુદાઈથી નથી.'દેશ શક્તિ,કાળ શક્તિ,ચલન શક્તિ' થી (ઉપાધિઓથી કે માયાથી) ઘેરાયેલી
તે 'જીવ શક્તિ' (જીવ) સંકલ્પો ને અનુસરતાં-અનુસરતાં,બહુ જ હાંસી ને પાત્ર  (હાસ્ય-પાત્ર) થઇ જાય છે.

શરીર ને 'ક્ષેત્ર' (ખેતર) કહે છે અને તે શરીરને તેની અંદરના તથા બહારના પદાર્થો સહિત જે જાણે છે -
તે ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ને 'ક્ષેત્રજ્ઞ' (ખેતર ને જાણનાર કે માલિક) કહે છે.

એ  ચૈતન્ય-જયારે  "હું " એવી 'દૃઢ કલ્પના'થી કલંકિત થઈને 'અહંકાર-પણા' ને પ્રાપ્ત થાય છે.ત્યારે
એ અહંકાર 'નિશ્ચયાત્મક કલ્પનાઓ થી કલંકિત' થઈને નિર્ણય કરવા લાગે છે અને 'બુદ્ધિ-પણા' ને પ્રાપ્ત થાય છે.બુદ્ધિ 'સંકલ્પ-વિકલ્પો થી કલંકિત' થઈને 'મન-પણા' ને પ્રાપ્ત થાય છે.
મન 'ગાઢ વિષયો-વાળું' થઈને  ધીરે ધીરે 'ઇન્દ્રિય-પણા'ને પ્રાપ્ત થાય છે.અને
ઇન્દ્રિયો-'વિષયોની દ્રઢ લાલચોથી કલંકિત' થઈને 'હાથ-પગ-વાળા-સ્થૂળ-દેહ'  (ક્ષેત્ર) ને પ્રાપ્ત થાય છે.
આમ સ્થૂળ-દેહ જગતમાં જન્મે છે,જીવે છે અને જોવામાં આવે છે.

આવી રીતે વાસનાઓ-રૂપી દોરડાથી બંધાયેલો (વીંટળાયેલો) જીવ,દુઃખો ના સમુહો થી ઘેરાઈને
(ઉપર બતાવેલ) અનુક્રમથી સ્થૂળ-દેહ-પણા ને પ્રાપ્ત થાય છે.
જેમ,ફળો,અનુક્રમ થી પાકતાં પાકતાં તેમની અવસ્થાઓ બદલે છે,પણ તેમની 'જાતિ' બદલાતી નથી,
તેમ,વાસનાઓ ને લીધે આવી હલકી (કે જુદી) સ્થિતિઓ પ્રાપ્ત થવા છતાં-પણ તે જીવની (અહીં આત્માની)
માત્ર દશા બદલાઈ જાય છે,પરંતુ તેનું નિર્વિકાર-ચૈતન્ય-પણું બદલાઈ જતું નથી...

ઈચ્છા -વગેરે શક્તિઓ (ઉપાધિઓ),મન ને ખરાબ કરવા માટે જ મન ની પાછળ પાછળ દોડે છે.
અને એ રીતે રાગ-દ્વેષ-વગેરે અનેક શક્તિઓ થી વ્યાપ્ત થયેલું મન,પોતાની મેળે જ સંકલ્પ થી -
ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ શરીરપણાને ધારણ કરે છે,
એટલે કે- કોશેટા ના કીડાની જેમ હાથે કરીને (પોતે જ-પોતાથી) બંધન ને પ્રાપ્ત થાય છે.
જેમ,ખાવાની લાલચ ને લીધે માછલી હાથે કરીને જાળમાં ફસાય છે,તે જ પ્રમાણે,પોતાના સંકલ્પો નું વારંવાર સ્મરણ કરવાને લીધે મન ભૂંડે-હાલ થઇ આ સંસારમાં બંધાઈ ને પરિતાપ (દુઃખ) ને પામે છે.

"હું ખરેખર બંધાઉં છું" એમ માની,એ મિથ્યા બંધનને સાચું માની અને ધીરે ધીરે પોતાના બ્રહ્મ-પણા ને છોડી દેતું,એ મન પોતાની અંદરના જગત-રૂપી-જંગલમાં,અનેક પ્રકારની ભ્રાંતિ-રૂપ-રાક્ષસી ને ઉત્પન્ન કરે છે.
વિષયો (શબ્દ-સ્પર્શ વગેરે) રૂપી અગ્નિ ની રાગ-દ્વેષ-રૂપી જ્વાળાઓની અંદર પડીને,
એ સાંકળની અંદર બંધાયેલા સિંહ ની પેઠે પરવશ થાય છે.
વાસનાઓને લીધે તે (મન) પોતામાં વિચિત્ર કાર્યોના કર્તા-પણાનું સંપાદન કરે છે,
અને પોતાની જ ઈચ્છા માત્રથી  રચાયેલી અનેક દુઃખ ની દશાઓમાં પડ્યા કરે છે.

શાસ્ત્રો માં કોઈ સ્થળે આને "મન" કહે છે,કોઈ સ્થળમાં તે 'બુદ્ધિ' કહેવાય છે,કોઈ સ્થળ માં તે 'જ્ઞાન' કહેવાય છે,કોઈ સ્થળમાં તે 'ક્રિયા' કહેવાય છે,કોઈ સ્થળમાં તે 'અહંકાર' કહેવાય છે,અને કોઈ સ્થળમાં 'લિંગ શરીર' કહેવાય છે.કોઈ સ્થળે તે 'પ્રકૃતિ' કહેવાય છે,કોઈ સ્થળે 'માયા' કહેવાય છે,કોઈ સ્થળે 'કર્મ' કહેવાય છે,કોઈ સ્થળમાં 'બંધ' કહેવાય છે,કોઈ સ્થળે 'ચિત્ત' કહેવાય છે,કોઈ સ્થળે 'અવિદ્યા' કહેવાય છે,તો કોઈ સ્થળે 'ઈચ્છા' કહેવાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE