Dec 10, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-363

આ જીવ (આત્મા) કે જે  શરીર (દેહ) સાથે મિશ્રિત થયેલો જણાય છે-
તેનું,લાંબા કાળના "વિચાર" થી વિવેચન કરીને "મન" માં ખરું સ્વરૂપ સમજવામાં આવે -તો-જે "જીવ" (આત્મા) છે તે જ ચોખ્ખી રીતે "પર-બ્રહ્મ" થઇ રહે છે (આત્મા=પરમાત્મા-એ સમજાઈ જાય છે) અને આમ થાય તો  મનના "મોહ" (મનથી થયેલ શરીરના મોહ) નો અવસર જ ક્યાંથી બાકી રહે?

જ્યાં સુધી,"તત્વ" સમજવામાં આવ્યું ના હોય ત્યાં સુધી,મન મોહ-વાળું રહે છે,પણ જયારે તત્વ સમજવામાં આવે છે ત્યારે મોહ લેશમાત્ર રહેતો નથી.એ વાત નિઃસંશય છે.આમ આત્માને જ્યાં સુધી ના જાણ્યો હોય ત્યાં સુધી જ દુઃખ છે ,પણ આત્માને જાણ્યા પછી,અનંત શાંતિ અને પરમ સુખ છે એમ જ સમજવાનું છે.


જેમ સોનું કાદવમાં પડ્યું હોય તે છતાં પણ તેને કાદવનો કોઈ સંબંધ નથી,
તેમ,નિર્મળ આત્મા દેહમાં રહ્યો હોય તે છતાં,પણ તેને દેહનો જરા પણ સંબંધ નથી,(ભલે તે મિશ્રિત લાગે)
જેમ,'કમળના આધાર-રૂપ જળ' અને 'કમળની ઉપર રહેલું જળ' --
એ બંને ઉપાધિ (અજ્ઞાન) થી જ જુદાં જણાય છે,પણ વાસ્તવિક રીતે જુદાં નથી,
તેમ, બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) એ બંને-
ઉપાધિ (અજ્ઞાન કે અવિદ્યા--કે માયા) થી જ જુદાં જણાય છે,પણ વાસ્તવિક રીતે જુદાં નથી.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, (ખરે-હું,આટલું બધું કહું છું છતાં) મારું કોઈ સાંભળતું નથી,
પણ -છતાં ય હું ઉંચા હાથ કરીને (હંમેશાં) પોકારું છું કે-
'આત્માના વિચાર' ને ભૂલી ગયેલું મૂઢ-મન-
જ્યાં સુધી દુષ્ટ વાસનાઓ-રૂપી કાદવથી ભરેલા ખાડામાં કાચબાની પેઠે પડ્યું રહેશે
અને ઇન્દ્રિયો થી ભોગવવાના વિષયમાં અત્યંત આસક્ત રહેશે,
ત્યાં સુધી -આ "સંસાર-રૂપી-અંધારું" ચંદ્ર-અગ્નિ કે સૂર્યથી પણ ભેદાવાનું નથી.

મન જાગ્રત થઈને "પોતાની ખરી સ્થિતિનું (વિચારથી) વિવેચન" કરવા લાગે -
તો હૃદય નું અંધારું (અજ્ઞાન-અવિદ્યા-માયા) નષ્ટ થાય છે.
માટે-તે-સૂતેલા મન ને ઉત્તમ બોધ માટે નિત્ય જાગ્રત કરવું જોઈએ-કે જેથી સંસારનું ભેદન થઇ જાય.

જેમ,ચોતરફ રહેલી રજ-થી આકાશ લેપાતું નથી,અને ચોતરફ રહેલા જળથી કમળ લેપાતું નથી,
તેમ,ચોતરફ રહેલા દેહથી આત્મા લેપાતો નથી.
જેમ,કાદવ આદિ પદાર્થો સોનાની સાથે સંબંધ પામ્યા છતાં પણ જુદા જ રહે છે,
અને સોના-રૂપે પરિણામ પામતા નથી,
તેમ,જડ દેહ,આત્મા ની સાથે સંબંધ પામ્યા છતાં જુદો જ રહે છે,અને આત્મા-રૂપે પરિણામ પામતો નથી.

"સુખ-દુઃખનો અનુભવ કરનાર આત્મા છે" એમ સમજવું મૂઢ-પણું (અજ્ઞાન) જ છે.
સુખ-દુઃખ તો દેહને પણ નથી કે સર્વથી ન્યારા આત્માને પણ નથી.જો અજ્ઞાન નાશ પામે તો કોઈને ય સુખ-દુઃખ નથી.
હે,રામ,આમ કોઈ સુખ નથી કે દુઃખ પણ નથી,સઘળું આત્મા ના જ વિવર્ત-રૂપ છે,અને તે આત્મા તો અધિષ્ઠાન-રૂપે શાંત અને અનંત છે-એમ તમે જુઓ.
આ જે વિસ્તીર્ણ (વિસ્તરેલી) સૃષ્ટિના દેખાવો જોવામાં આવે છે,તેઓ જેમ પાણીમાં તરંગો રહે છે તેમ આત્મામાં રહેલા છે.એટલે કે તે સૃષ્ટિ આત્મામાં ભ્રાંતિ થી જ પ્રતીત થાય છે.
જેમ,મણિ,પોતે કંઈ પણ વ્યવહાર નહિ કરતાં પોતાની તેજોમય કાંતિ ફેલાવે છે ,
તેમ,આ આત્મા,પોતે કોઈ પણ વ્યવહાર નહિ કરતાં જ સૃષ્ટિઓને ફેલાવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE