Jun 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-520

વીતહવ્ય કહે છે કે-હે ચિત્ત,હે ઇન્દ્રિયોના અધ્યક્ષ,હું સિદ્ધાંતની યુક્તિઓથી મારા સ્વરૂપને જાણીને -સંસારના પારને પામ્યો છું.હવે તારું ભલું થજો.તું પૂર્વે,હમણાં કે હવે પછી પણ થશે નહિ,તારું ભલું થજો.
હું તને છોડી જ દઉં છું,મારા સઘળા સંતાપો ટળી ગયા છે,હું શાંત થયો છું,અને પરમ સુખ પામ્યો છું-તે બહુ સારું થયું.હું સાક્ષી-રૂપે અને પોતાના સ્વરૂપમાં જ રહ્યો છું.
ઉપરનાં કહેલ કારણોને લીધે,હવે સંસારમાં ચિત્તની સ્થિતિ રહી જ નથી.
ચિત્ત મુદ્દલે છે નહિ,આત્મા તો છે,છે,અને છે-કે જે આત્માથી જુદું બીજું કંઈ છે જ નહિ.
એ આત્મા હું જ છું,અને મારા સિવાય બીજું કંઈ છે જ નહિ.

હું ચૈતન્યરૂપ,સ્વયંપ્રકાશ,છું,બોધરૂપ છું,અને સર્વત્ર-સદા રહેલો છું.
શુદ્ધ ચૈતન્ય માં "આ આત્મા છે" એવી કલ્પના પણ દુર્લભ છે-તો પછી તેમાં અનાત્મ પદાર્થો ની કલ્પના-
ના જ હોય,તેમાં કહેવું શું? અખંડ પદાર્થ માં બીજા પદાર્થ ની કલ્પના ક્યાંથી જ હોય?
માટે "એ આત્મા હું છું" એમ પણ નહિ બોલતાં -ચૂપ થઈને મારા સ્વરૂપમાં જ રહું.

હું મારા હૃદયમાં,મારું સ્વરૂપ જ કે જે વિષયોથી રહિત છે,વાસનાઓથી રહિત છે,ચિદાભાસ (જીવ) પણાથી
પણ રહિત છે,પ્રાણના સંચાર વિનાનું છે,ભેદના દોષથી રહિત છે,અને જગતનો બાધ થતા અનુભવ-રૂપે
અવશેષ રહેલું છે,તેને પ્રાપ્ત થઈને શાંત થયો છું,હું મનની ચેષ્ટા અને વાણીના વ્યાપાર ને છોડી દઉં છું.

(૮૪) વીતહવ્ય મુનિની સમાધિ

વસિષ્ઠ કહે છે કે-હે રામ, આ પ્રમાણે નિર્ણય કરીને,વાસનાથી રહિત થયેલા એ વીતહવ્ય મુનિ,વિન્ધ્યાચળની
ગુફાની અંદર સમાધિમાં સ્થિર થયા.ગતિથી રહિત,પૂર્ણ તથા સ્વયંપ્રકાશ-અનુભવ-રૂપ આનંદથી શોભતા,
અને જેમનું મન અસ્ત પામી ગયું હતું એવા તે મુનિ,
પવન વિનાના સમયે નિશ્ચલ થયેલા સમુદ્ર જેવા ગંભીર જણાવા લાગ્યા.

વાસનાઓ બળી જવાને લીધે,અનુક્રમે તેમની મન આદિ ઇન્દ્રિયો,તેમની અંદર શાંત થઇ ગઈ.
પૂરી રીતે નહિ મીંચાયેલાં,પૂરી રીતે નહિ ઉઘડેલાં,
તથા,મીંચાયેલાં ભાગોની અંદર રહેલાં--ગતિ વિનાની પાંપણોવાળાં,
અને જાણે નાસિકાની ટોચ પર બંને બંને પાસેથી સરખી રીતે પડતા થોડાથોડા પ્રકાશ વાળાં હોય--
એવાં જણાતાં તેમનાં નેત્રો,કમળ સરીખાં શોભવા લાગ્યાં.
કાયા,મસ્તક અને ડોકને સમાન રીતે અક્કડ રાખીને બેઠેલા એ મહાબુદ્ધિમાન મુનિ,
જાણે ચિત્રમાં આલેખાયેલી મૂર્તિ હોય એવા સ્થિર દેખાવા લાગ્યા.

ગુફામાં આ રીતે સમાધિ ધારણ કરીને બેઠેલા એ મુનિને ત્રણસો વર્ષ એક ઘડીની પેઠે વીતી ગયાં.
જ્ઞાની અને ધ્યાની - એવા એ વીતહવ્ય મુનિ એટલા કાળ સુધી સમાધિમાંથી જાગ્યા જ નહિ-અને-
જીવનમુક્તપણાને લીધે તેમણે તે દેહને પણ છોડ્યો નહિ.
યોગને જાણનારા તે મહામુનિ,એટલા કાળ સુધી-આસપાસના કોઈ પણ અવાજો થી જાગ્યા નહિ.

અનેક વર્ષાકાળો વીતી જતાં,એ પર્વતની ગુફાની અંદર વરસાદના પાણીએ ઠેલીઠેલીને નાખેલા કાદવની જમાવટથી ધરતી ઉંચી થઇ જવાને કારણે,એ મુનિ,ધરતીના ગર્ભ ની અંદર આવી ગયા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE