Feb 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1074



રામ કહે છે કે-વિશાળ ચિદાકાશની અંદર,પ્રાણીઓના ભોગ-રૂપી-તૃષ્ણા,એ લતાની જેમ,
હજારો 'જગત-રૂપી વેલાઓ'ને પ્રસારીને (તે તૃષ્ણા) પોતે પણ પ્રસરી રહેલ છે.
તો તેમાં સારાસારનો વિચાર કરીને,પરમાર્થ તરફ લક્ષ્ય રાખનારા પંડિતો તો વિરલ જ હશે?

વસિષ્ઠ કહે છે કે-પ્રત્યેક જાતિમાં એવા નામાંકિત પુરુષો થોડા જ હોય છે,કે જે પ્રકાશવંતા થાય છે.
બાકી સર્વ મૂઢ પુરુષો,મહામોહમય સંસાર-સાગરની અંદર ભોગની તૃષ્ણાઓ-રૂપી-વંટોળ-વાયુના જેવી
પ્રબળ ચકરીઓના ઝપાટામાં તણાયા કરે છે અને ઉંચે નીચે ભટકતા રહી વહ્યે જાય છે.
સ્વર્ગમાં દેવતાઓ આત્મ-નિષ્ઠામાંથી ભ્રષ્ટ થાય છે અને તેઓ ભોગો-રૂપી-અગ્નિમાં બળીને ભસ્મ થઇ જાય છે.
દૈત્યોને દેવો મારે છે,ગંધર્વો ગીત-રૂપી મદિરાનું પાન કરી કામ-ક્રોધના કબજામાં આવી મૃત્યુ પામે છે.

મનુષ્યો થોડાક કણને માટે પણ કીડીઓની જેમ રાત્રિ-દિવસ પૃથ્વી પર ફર્યા કરે છે.પોતાને ગમતું સંપાદન કરવામાં
મદોન્મત થયેલા પુરુષો,પોતાની દુષ્ટ વાસનામાં ડૂબીને,વિવેકહીન થઇ વૃથા જ મૃત્યુને આધીન થઇ જાય છે.
દેહ-આદિમાં અભિમાન બંધાવા-રૂપી-પવન,મનુષ્યોને ચલિત કરી,હિંસા,અસત્ય,ક્રોધ-આદિ તરફ ખેંચી જાય છે.
કેવળ યમ,સૂર્ય,ચંદ્ર,ઇન્દ્ર,બ્રહ્મા,વિષ્ણુ,રુદ્ર,વરુણ,પવન,બૃહસ્પતિ,શુક્ર અને અગ્નિ જીવનમુક્ત થઇ રહેલા છે.
પ્રજાપતિઓમાં સપ્તઋષિ,,દક્ષ,કશ્યપ-આદિ જીવન મુક્ત છે.
તો દેવ-પુત્રો નારદ,કાર્તિક,સનક-આદિ જીવનમુક્ત છે.

દૈત્યોમાં હિરણ્યાક્ષ,બલિ,પ્રહલાદ,-આદિ જીવનમુક્ત છે.રાક્ષસોમાં વિભીષણ,ઇન્દ્રજીત-આદિ જીવનમુક્ત છે.
નાગોમાં શેષ,તક્ષક-આદિ જીવનમુક્ત છે.બ્રહ્મલોક,ઇન્દ્રલોક અને વિષ્ણુલોકમાં રહેનારા જીવનમુક્ત છે.
પરંતુ હે રામચંદ્રજી,મનુષ્યોમાં તો રાજાઓ,ઋષિઓ અને ઉત્તમ બ્રાહ્મણો,અને કોઈ પણ જાતિમાં,કોઈ વિરલ
જ જીવનમુક્ત સંભવે છે.દિશાઓમાં અનેક પ્રકારનાં પ્રાણીઓમાં બોધ-વાળાં તો વિરલ જ હોય છે.

(૯૮) તત્વવેત્તા પુરુષોના લક્ષણો

વસિષ્ઠ કહે છે કે-જે પુરુષો વિવેકી,વિરક્ત અને પરમપદમાં વિશ્રાંતહોય છે,તેમનામાં લોભ,મોહ-આદિ શત્રુઓ ઓછા થઇ
જાય છે,તેઓ હર્ષ-ક્રોધ કરતા નથી,વિષયોમાં તેમનો વધુ આગ્રહ હોતો નથી,લોકોનાથી તેઓ ઉદ્વેગ પામતા નથી,
કે લોકોને પોતે ઉદ્વેગ આપતા નથી.નાસ્તિકપણા કે આસ્તિકપણાના અભિમાનથી તેઓ શુષ્ક
વૈદિક-વિધિઓ કરનારાની જેમ તેઓ અતિશય કલેશ આપનારાં કષ્ટકારી કર્મો કરતા નથી.

તેમનું આચરણ મનોહર અને મધુર હોય છે,ને તેમનું ભાષણ પણ લોકપ્રિય અને કોમળ હોય છે.
તેમનો સંગ-માત્ર આનંદ ઉત્પન્ન કરે છે,તેઓ ક્ષણવારમાં કાર્યોનો વિવેક તથા નિર્ણય કરી શકે છે.
તેમનો આચાર (કાર્યો) કોઈને ઉદ્વેગકારી હોતો નથી.અને સર્વ સાથે તેઓ બંધુ-ભાવ રાખે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE