Mar 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1109

જ્યાં સુધી પરમ-બોધની પ્રાપ્તિ ના થઇ હોય,ત્યાં સુધી જીવાત્માનું પદાર્થોમાં (દૃશ્યમાં) આકુળ થઈને રહેવાપણું ઘટિત જ છે
વળી તેનામાં બોધનો કંઇક પ્રવેશ પણ થાય છે,એટલે યોગબળથી તેનું સિદ્ધ-પણું પણ ઉચિત છે.
આવી રીતે સર્વ દિશાઓમાં રહેલા સર્વ વિપશ્ચિત રાજાઓ પરસ્પર એકબીજાના સંકટને દેખતા હતા,અનુભવતા હતા
અને તેનો ઉપાય પણ કરતા હતા.આમ,ચિદાકાશ પોતાના સ્વરૂપમાંથી-મનોભાવને પ્રાપ્ત થતાં,જરા પણ ભ્રષ્ટ થાય છે,
તો તે વસ્તુતઃ તો તે શુદ્ધ સ્વરૂપમાં હોવા છતાં બીજા જગતને આકારે થઇ રહેલ જણાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,એ વિપશ્ચિત રાજાઓ જો પ્રબુદ્ધ (જ્ઞાનવાન) હોય તો,
તેઓ,જુદાજુદા ભાવને શી રીતે પ્રાપ્ત થયા હતા? તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-આગળ મેં જે વર્ણન કર્યું તે પ્રબુદ્ધ યોગીઓનું છે.પણ વિપશ્ચિત રાજાઓ એ પ્રબુદ્ધ યોગીઓ નહોતા.
તેઓમાં સંપૂર્ણપણે જ્ઞાનનો ઉદય થયો નહોતો.તેઓ જ્ઞાન-દૃષ્ટિ અને અજ્ઞાન-દૃષ્ટિ-એ બંનેની વચમાં હીંડોળાની જેમ
લટકતા હતા,કેમ કે તેમની અંદર (મોક્ષને ભાવી-રૂપે સૂચવનાર ) વિવેક-આદિનાં (મોક્ષનાં) ચિહ્નો પણ દેખાતાં હતાં
તો ચોતરફ રાગ-આદિ-બંધનનાં ચિહ્નો પણ જોવામાં આવતાં હતાં.

હે રામચંદ્રજી,નિરંતર ધર્મમાં જાગ્રત રહેનાર છતાં,જ્ઞાનની પરિપક્વ અવસ્થાને ન પામેલ પુરુષોની સ્થિતિ આવી અધકચરી
હોય છે.આમ તે વિપશ્ચિત રાજાઓ ધારણાથી યોગી હતાં,પણ પરમતત્વને પ્રાપ્ત થયેલા નહોતા.
તેઓ,અગ્નિ-દેવતામાં ચિત્તનો નિરોધ કરવાથી અને અગ્નિ-દેવતાના પ્રસાદથી સિદ્ધિ પામ્યા હતા તેથી,
તેઓ "ધારણા-યોગી" હતા,અને માત્ર ધારણા વડે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.
તેઓ, જેની અંદર અવિદ્યા (અજ્ઞાન કે માયા) નો સંપૂર્ણ લય થઇ જાય છે,તેવા "જ્ઞાન-યોગી" નહોતા.

જ્ઞાન-યોગીના ચિત્તમાં કોઈ વાસના રહેતી જ નથી.તેથી તેઓ અવિદ્યા (માયા) તરફ જુએ પણ શા માટે?
વિપશ્ચિત રાજાઓને અગ્નિદેવના આપેલા વરદાનના પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત થઇ પણ તેમની અંદર અવિદ્યા
હજી વિદ્યમાન જ હતી,તેથી તેઓ આત્મ-વિચારથી શૂન્ય હતા.જીવનમુક્તિના (મોક્ષના) અધિકારી થયા નહોતા.

જીવનમુક્ત પુરુષોને વ્યવહારકાળમાં જ દેહ-આદિનું ભાન હોય છે પણ સમાધિ-કાળમાં તેમને કોઈ પણ પદાર્થનું ભાન
હોતું નથી.બંધનની જેમ જ મોક્ષ પણ "ચિત્ત (મન)નો જ એક ધર્મ" છે,તેથી તે (મોક્ષ) સમાધિ-કાળમાં ચિત્તમાં રહે છે
પણ દેહની અંદર રહેતો નથી.બાકી "દેહનો ધર્મ" (જન્મ-મરણ-આદિ) દેહથી નિવૃત્ત થતો નથી.અને
મુક્ત થયેલું ચિત્ત,પાછું ફરીવાર કોઈ દિવસ બંધાઈ જતું નથી.વૃક્ષ પરથી નીચે ખરી પડેલા (વૃક્ષથી છુટા થયેલા)
ફળને કયો માણસયત્ન વડે પ્રથમની જેમ જ પાછું જોડી શકે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE