May 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1147

(૧૪૪) પદાર્થ વિચાર
મુનિ કહે છે કે-સર્વ પદાર્થો નિરંતર અભાવ-વાળા છે,સ્વપ્ન કે સંકલ્પ-સૃષ્ટિના જેવા છે,અને અધિષ્ઠાન-રૂપે,
નિત્ય અને નિર્બાધ છે.અજ્ઞાનને લીધે,આ ભ્રાંતિમય જગતનું વિદ્યમાન-પણું જણાયાથી,તેમાં થતા ફેરફારો
નજરમાં આવે છે અને કદીક સ્થિર પણ જણાય છે.વસ્તુતઃ એ સર્વ-વ્યાપી ચિદાકાશ જ સર્વ-રૂપે દેખાય છે.
જેવું આપણું આ જગત છે,તેવાં જ બીજાં મનુષ્યોના સેંકડો જગતો આ ચિદાકાશમાં રહેલાં છે.
પરંતુ તેમને પરસ્પર એકબીજાને અનુભવ થતો નથી.

જેમ,એક મંદિરની અંદર સૂતેલાં સેંકડો મનુષ્યોનાં અનેક સ્વપ્નનગરો તે એક જ મંદિરની અંદર રહેલાં હોય છે,
તેમ,ચિદાકાશની અંદર અનેક જગતોની પ્રતીતિ થાય છે.એ મનોમય જગતો,સ્વપ્ન-નગરની જેમ,એક અનુભવમાં આવે છે,
તેથી તે સત્ય કહી શકાતાં નથી,તેમ જ બીજાઓને તેનો અનુભવ થતો નથી,એટલે અસત્ય પણ કહી શકાતાં નથી.
એટલે કે,તે જગતો અનિર્વચનીય છે.ને ચિદાકાશનો એક વિવર્ત (વિલાસ) છે.

આ જગત તે બ્રહ્મની સાથે એકતાને પ્રાપ્ત થઇ ગયેલું છે,તેથી તે પણ અનાદિ-બ્રહ્મરૂપ છે.
પરમાત્મા જ કારણ અને કાર્ય-એ બંનેરૂપ કહેવાય છે.કેમ કે તે જ સર્વના આદિરૂપ છે.
પ્રથમ તે કારણરૂપ અને પછી તે કાર્યરૂપ થઇ જાય છે.'સંસ્કાર' પણ તેને જ કહેવામાં આવે છે.
અને તે પરમાત્મા જ 'કાર્યને સાધી આપનાર યત્ન-રૂપ'પણ કહેવાય છે.

સ્વપ્નમાં અનુભવમાં આવતા અપૂર્વ પદાર્થો અને જાગ્રતમાં જે પદાર્થો દૃષ્ટાંત-રૂપ છે-તે આત્માથી અભિન્ન છે,
અને તેને જ 'સંસ્કાર'-આદિ નામો વડે કહેવામાં આવે છે,પરંતુ તેનાથી બીજો કોઈ પદાર્થ ચિત્તમાં હોતો નથી.
તે જ સંસ્કાર-રૂપ-વસ્તુને,વેદાંતમાં પ્રતિપાદિત કરેલા 'પરબ્રહ્મ'-રૂપ સમજવામાં આવે તો તે રૂપે તે સત્ય છે.
બ્રહ્મ-તત્વ દ્વૈતથી રહિત અને પોતાના યથાસ્થિત સ્વભાવમાં જ રહે છે.પંડિતોએ આનો નિશ્ચય કરેલો છે.
શિષ્યોમાં પણ પરમ-મોક્ષ-રૂપ પુરુષાર્થ સિદ્ધ થાય તે માટે શાસ્ત્રોની અંદર આવી વ્યવસ્થા બતાવી છે.

તે ચિદાકાશ જ્ઞાનરુપ છે,પરમાણુ જેવું સૂક્ષ્મ છે,વિસ્તીર્ણ છે અને આદિ,મધ્ય,અંતથી રહિત છે.
વળી તે જ જગતરૂપ કહેવાય છે,માટે જ્યાં તે ચિદાકાશ પોતાના સ્વરૂપમાં નિરંતર સ્થિર થઈને રહેલું છે,
ત્યાં આ જગત છે એવું ભાન થાય છે,પણ તે ચિદાકાશ ના 'એક અવયવ'ની જેમ ચિદાકાશથી જુદું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE