Jul 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1212

પ્રથમ સૃષ્ટિથી માંડીને (શબલ)બ્રહ્મમાં જગતનો જે ભાવ 'કલ્પાયેલો' છે તે ભ્રાંતિ વડે જ થયેલો છે
અને સાવ મિથ્યા છે-એટલે સ્વપ્નમાં દીઠેલા વાધની જેમ તેને જોતાં તે નિઃશેષ (મિથ્યા) થઇ જાય છે.
જેમ સ્વપ્નની અંદર એક જ જીવ ચૈતન્યનું ભાન અનેક પ્રકારે થાય છે,તેમ બ્રહ્મમાં પણ સૃષ્ટિના
આદિકાળમાં તેના એક જ તત્વનું ભાન અનેક જુદાજુદા પદાર્થોની રૂપે થઇ જાય છે.
જેમ,અનેક દીવાવાળા ઘરની અંદર રહેલ અનેક કાંતિઓ પણ એક જ જેવી ભાસે છે,
તેમ સર્વ-શક્તિમાન-પરમાત્માથી એક 'માયા-શક્તિ' અનેક રૂપે ભાસે છે.

(૧૮૦) કુંદદંતનું આખ્યાન

રામ કહે છે કે-હે મહારાજ,જેમ સૂર્યનું તેજ અંધકારનો નાશ કરે છે તેમ તમે મારા એક સંશયની નિવૃત્તિ કરો.
કોઈ એક સમયે હું વિદ્યાલયમાં વિદ્વાનોની સભામાં બેઠો હતો ત્યારે ત્યાં એક વિદ્વાન તપસ્વી ત્યાં આવ્યો,
અને સભામાં સર્વેને પ્રણામ કરીને આસન પર બેઠો.અમે પણ તેને પ્રણામ કરીને પૂછ્યું કે-હે બ્રાહ્મણ,
તમે લાંબો પંથ કાપીને થાકી ગયા હોય તેવા અને કંઈ મેળવવાની કે જાણવાની ઇચ્છાથી આવ્યા હોવ તેવા
દેખાઓ છો,તો તમે કહો કે તમારા આવવાનો હેતુ શું છે?

તપસ્વી બ્રાહ્મણે કહ્યું કે-હે મહાભાગ,આપ કહો છો તેમ જ છે.હું કાંઇક હેતુથી  જ આવ્યો છું,અને તે તમે સાંભળો.
સર્વ સૌભાગ્ય વડે સુશોભિત એવા વિદેહ નામના દેશમાં હું બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન થયો છું અને વિદ્યા મેળવી મેં
ત્યાં જ સ્થિતિ કરેલી છે.મારા દંત (દાંત) કુંદ(ડોલરના ફૂલ)ના જેવા ધોળા છે તેથી હું 'કુંદદંત' નામથી વિખ્યાત છું.
કેટલોક સમય જતાં મને વૈરાગ્ય થયો,તેથી સંભ્રમને લીધે શ્રમની શાંતિ માટે દેવતાઓ,મહર્ષિનાં સ્થાનોમાં ફરવાની
પ્રવૃત્તિ કરી.કોઈ એક દિવસે હું ઈચ્છાના બળથી શ્રીપર્વતમાં  ગયો,ને તપ કરતાં ત્યાં લાંબા સમય સુધી રહ્યો.

તે શ્રીપર્વતના મહા પ્રસિદ્ધ અરણ્યના મધ્યમાં એક બહુ શાખાઓવાળું વૃક્ષ છે.એક સમયે હું એ પ્રદેશમાં ગયો ત્યારે
તે વૃક્ષની એક શાખામાં (મુંજ નામના ઘાસમાંથી બનેલા)રજ્જુથી બંધાયેલા પગવાળો ને ઉંધે માથે લટકીને તપ કરતો
હોય એક પુરુષ મેં જોયો.મેં તેની પાસે જઈ વિચાર કર્યો કે-આ પુરુષ જીવતો હોય તેમ લાગે છે.કેમ કે
તેની આકૃતિમાં કશો ફેરફાર જણાતો નહોતો છતાં તે નિશ્વાસ લે છે અને કાળયોગથી થનાર ટાઢ,તડકો-વાયુ આદિના
સ્પર્શને પણ તે જાણતો હોય તેમ લાગે છે.પછી મેં ઘણા દિવસો સુધી તેની સેવા કરી.

ધીરે ધીરે તેના મારા પર વિશ્વાસ બેઠો ત્યારે મેં તેને પૂછ્યું કે-હે ભગવન,આપ કોણ છો? અને શા માટે આવું દારુણ તપ
કરો છો? ત્યારે તેણે મને કહ્યું કે-'તારે આ પૂછવાનું શું કામ છે? કોઈ પ્રયોજનને લીધે મનુષ્યોની ઈચ્છા અતિ વિચિત્ર હોય છે'
તેણે મને આમ કહ્યું છતાં મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે મને કહ્યું કે-
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE