Aug 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1241

રામ : જો તત્વજ્ઞ પુરુષ જગતની સ્થિતિને સ્વપ્નના જેવી સમજે છે,તો તેની વાસના પાતળી પડી જાય છે
અને સંસારના સાકાર-પણાની ભ્રાંતિ ટળી જાય છે તો તેનું એ પછી શું થાય છે?

વસિષ્ઠ : તત્વજ્ઞ પુરુષ જેમ જ્ઞાનની ઉત્તરોત્તર ભૂમિકામાં જાય છે,ત્યારે સંકલ્પથી ઉભી થયેલી
વાસના સંપૂર્ણ-પણે શમી જાય છે અને વાસનાથી રહિત થઇ નિર્વિક્ષેપ દશામાં રહે છે.

રામ : અનેક જન્મથી રૂઢ થઇ રહેલી,શાખા-પ્રશાખા વડે વિસ્તારવાળી
અને સંસારના ઘોર બંધનમાં રાખનારી આ વાસના શી રીતે શમી જાય છે?

વસિષ્ઠ : આ દૃશ્ય-ચક્ર ભ્રાંતિ-માત્ર સ્વરૂપવાળું છે.તત્વનું યથાર્થ જ્ઞાન થયાથી તે નિરાકાર-રૂપ જણાય છે
અને બળેલા વસ્ત્રની જેમ આભાસ-માત્ર દેખાય છે.છેવટે તેના આભાસનો પણ ક્રમથી ક્ષય  થઇ જાય છે.

રામ : હે મહારાજ,આ દૃશ્ય-ચક્ર ક્રમથી નિરાકાર રૂપ થઇ જાય છે,
એ પછી જીવનમુક્ત પુરુષને કઈ નિર્વિક્ષેપ સ્થિતિ પ્રાપ્ત થાય છે ? અને તેને શાંતિ શી રીતે મળે છે?

વસિષ્ઠ : જયારે જગતના સાકાર-પણાનો ભ્રમ શાંત થઇ જાય છે અને જયારે તે ચિત્ત-રૂપ ભાસી જઈ,
ચિત્ત-નિરોધ અને સમાધિ વડે તે હલકા રૂપે જણાય છે ત્યારે પરમ વૈરાગ્ય-રૂપી શાંતિનો લાભ થાય છે.

રામ : આ જગત બાળકના સંકલ્પ જેવું છે,છતાં તે જ્યાં સુધી પ્રગટ-રૂપે દેખાય છે,ત્યાં સુધી ભોગો સંબંધી
આસ્થાની શી રીતે શાંતિ થાય? અને તેવા મિથ્યા સંકલ્પ વડે મનુષ્ય દુઃખને કેમ અનુભવે?

વસિષ્ઠ : જે માત્ર સંકલ્પ-રૂપ જ ખડું થઇ ગયેલું સમજાય તેના નાશમાં દુઃખ શા માટે થાય?
હવે સંકલ્પ-માત્ર અને ચિત્ત-માત્ર એ શું છે? તે વિષે વિચારવાનું છે.

રામ : હે મહારાજ,ચિત્ત કેવું છે? તેનો વિચાર કરવાથી શું થાય?
અને સારી રીતે વિચાર કાર્ય પછી શી સિદ્ધિ મળે? તે વિષે આપ કહો.

વસિષ્ઠ : ચિદ-રૂપ આત્મા દૃશ્ય તરફ વલણ કરે છે અથવા તો બહિર્મુખ થાય છે ત્યારે 'ચિત્ત' કહેવાય છે.
આ મહારામાયણ (યોગ-વાસિષ્ઠ) નું શ્રવણ એ જ વિચાર છે કે તેમ કરવાથી વાસના શમી જાય છે.

રામ : ચિત્તનો ક્ષય થયા વિના આત્માનું અંતર્મુખપણું કેટલા વખત સુધી નભી શકે?
વૈરાગ્યને ઉત્પન્ન કરનારો વિચાર કરી ચિત્તનો ક્ષય શી રીતે થાય?

વસિષ્ઠ :દૃશ્ય સંભવતું જ નથી તો પછી ચિદ-રૂપ આત્મા કોનો અનુભવ કરે?
દૃશ્ય અસંભવ ઠરતાં ઘણા લાંબા કાળે,તેવા સંસ્કારો રૂઢ થતાં ચિત્તની સત્તા રહેતી નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE