Sep 26, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-12

 

मूकास्वादनवत् ।। ५२ ।। 

ગૂંગા (બોલી ના શકતા હોય તેવા મનુષ્ય) ના સ્વાદના જેવું (તે પ્રેમનું સ્વરૂપ છે) (૫૧)


જીભની એક જ ઇન્દ્રિય બે કામ કરે છે.એક તો સ્વાદ લેવાનો અને બીજો બોલવાનો.

ગુંગો મનુષ્ય સ્વાદ તો લઇ શકે છે પણ તે સ્વાદનું વર્ણન કરી શકતો નથી.

તેમ,પરમાત્માનો (પ્રેમનો) જેણે સ્વાદ લીધો છે તે ગૂંગા જેવો છે ને તેનું વર્ણન કરી શકતો નથી.


प्रकाशते * क्वापि पात्रे ॥ ५३ ॥ 

કોઈ જ વિરલા એવા યોગ્ય પાત્ર (પ્રેમી ભક્ત) માં જ -આવો પ્રેમ પ્રગટ થાય છે (૫૩)


જેમ ગુંગો,પોતે લીધેલ સ્વાદને કહી શકતો નથી,તેમ,આવો પરમપ્રેમ કે જે કહી શકતો નથી,

તેવો પરમપ્રેમ,કોઈ વિરલ પાત્રમાં (ભક્તમાં) જ પ્રગટ થાય છે.

કોઈ ગોપી,કોઈ મીરા,કોઈ ચૈતન્ય કે કોઈ નરસિંહ મહેતામાં જ આવો પ્રેમ પ્રગટ થાય છે,

પરમાત્મા તેમના પાત્રમાં વહેવા લાગે છે,પ્રગટ થાય છે ને ભક્ત નાચી ઉઠે છે.

આ પ્રેમને જોવાની પણ શુદ્ધ દૃષ્ટિ હોવી જોઈએ,નહીંતર તો ભક્ત પાગલ જ દેખાશે.

ભક્ત નાચીને પ્રેમને અભિવ્યક્ત કરતો નથી પણ તેનામાં પ્રવેશેલ પ્રેમ તેને નચાવે છે.

આંખોને જે પક્ષપાત વગરની કરીને જોવામાં આવે તો જ મીરાંમાં પ્રકાશિત પ્રેમને જોઈ શકાય,


गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानमविच्छिन्नं सूक्ष्मतरमनुभवरूपम्। ५४ ।।

આવો પ્રેમ એ-ગુણરહિત છે,કામનારહિત છે અને પ્રતિક્ષણ વધતો જ રહે છે, તે વિચ્છેદરહિત છે,

સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને 'અનુભવ-રૂપ' છે (તેનો માત્ર અનુભવ જ કરી શકાય છે) (૫૪)


આ પરમપ્રેમ કે જેને,જો ભાષાથી વર્ણવી ન શકાય તો પછી,જો તેને ભાષામાં મુકવો જ હોય તો,

તેને ભાષામાં મુકતાં કહે છે કે-આ પ્રેમ નથી રાજસિક,નથી તામસિક કે નથી સાત્વિક.

પ્રેમ તો આ ત્રણે ગુણોથી અતીત (ઊંચે કે ગુણાતીત) છે.જેમ,કમળ કીચડમાંથી ઉગે છે પણ તે કીચડથી,તે સરોવરના પાણીથી ઉપર થઈને ઉઠે છે,તેમ પ્રેમ એ ત્રણ ગુણોથી અતીત છે.


પ્રેમ તો બસ પ્રેમથી જ તૃપ્ત છે,તે એમ નથી કહેતો 'મને કૈંક કે કૈંક વધુ આપો'

તેને કૈંક પણ પામવાની (લેવાની)કામના નથી.જો પ્રેમમાં કૈંક પણ પામવાની કામના છે તો તે પ્રેમ નથી.

આવો પ્રેમ જયારે મળે છે ત્યારે તે પ્રેમમાં ઉત્તરોત્તર (પ્રતિક્ષણે) વધતો જ રહે છે.

પ્રેમ એ પ્રવાહ-રૂપ છે,જે કોઈ જગ્યાએ ઉભો રહી જતો નથી પણ સદાયે ગતિમાન રહે છે.

પ્રેમ જો ઘટવા લાગે તો તે પ્રેમ નથી,પણ કામ છે.કે જે તૃપ્તિ પછી ઘટવા લાગે છે.


અને જો,આવા પરમપ્રેમથી મિલન થયું તો,પછી તે મિલન કદી તૂટી શકતું નથી (તેનો વિચ્છેદ થતો નથી)

મિલન થાય ત્યારે ભક્ત,ભગવાન બને છે ને ભગવાન,ભક્ત બને છે,એક શાશ્વત સંબંધ પેદા થાય છે.


વૈજ્ઞાનિકોએ પરમાણુને સૂક્ષ્મ કહ્યો છે,કે જે આંખોથી દેખી શકાય નહિ,પણ તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ.તો અહીં કહે છે કે આવો પ્રેમ તો સૂક્ષ્મ (પરમાણુ) કરતા પણ સૂક્ષ્મ છે,એટલે તેને જોઈ શકાય કે તેનું વર્ણન કરી શકાય તો નહિ જ,એટલે તેનો તો માત્ર અનુભવ જ કરી શકાય છે.


तत्प्राप्य तदेवाव लोकयति,तदेव श्रृणोति,तदेव भाषयति,तदेव चिन्तयति ।। ५५ ।।

આવા પ્રેમને પામીને તે પ્રેમી,તે પ્રેમને જ જુએ છે,તે પ્રેમને જ સાંભળે છે,

તે પ્રેમનું જ વર્ણન કરે છે,અને તે પ્રેમનું જ ચિંતન કરે છે.(૫૫)


જ્ઞાનીઓ (અહંથી) જે જગતની માયાથી પીઠ ફેરવે છે ને આંખો બંધ કરે છે,

તે માયાને પણ પ્રેમી (ભક્ત) ભગવાનની જ રચના સમજીને તેમાં પણ ભગવાન(પ્રેમ)ને જ જુએ છે.

ફૂલોને પણ તે ભગવાનની રચના સમજી તેમાં તે પરમાત્માના દર્શન કરે છે,

પક્ષીઓનો કંઠ ઉધાર લઈને પરમાત્મા જ ગીત ગાય છે,તેમ સમજી તે પરમાત્માના પ્રેમને સાંભળે છે,

ઇંદ્રધનુષ્યના રંગોમાં તે પરમાત્માના જ અનેક રંગોને જોઈ તેનું તે વર્ણન કરે છે.

અને તે પરમાત્માના જ બનાવેલા,તે રંગોમાં છુપાયેલા પરમ-પ્રેમનું જ,તે ચિંતન જ પણ કરે છે.

પરમપ્રેમમાં પાગલ થયેલ તે પ્રેમી,બધું ભૂલી જાય છે પણ તે પરમાત્માની યાદને ભૂલી શકતો નથી.

Click here to go to Index Page