Apr 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-802

 

અધ્યાય-૧૪૭-શ્રીકૃષ્ણે કૌરવ સભાનો વૃતાંત કહ્યો


II वैशंपायन उवाच II आगम्य हास्तिन्पुरादुनप्ल्पव्यमरिन्दमः I पांडवानां यथावृतं केशवः सर्वमुक्तवान II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે,હસ્તિનાપુરથી ઉપલવ્યમાં આવીને ત્યાં થયેલો સર્વ વૃતાંત કહ્યો.ને પછી વિશ્રાંતિ 

લઈને સૂર્યાસ્ત સમયે,ફરીથી યુધિષ્ઠિર આદિ પાંડવો સાથે બેસીને ગુપ્ત વિચાર કરવા લાગ્યા.

યુધિષ્ઠિરે કહ્યું-હે પુંડરીકાક્ષ,તમે હસ્તિનાપુરમાં જઈને સભામાં દુર્યોધનને શું કહ્યું,તે અમને કહો.

વાસુદેવે કહ્યું-મેં દુર્યોધનને સત્ય,ન્યાયયુક્ત અને હિતકારક વચનો કહ્યાં પણ તે દુર્બુદ્ધિવાળાએ ગ્રહણ કર્યાં નહિ.(6)


યુધિષ્ઠિરે કહ્યું-'હે કૃષ્ણ,તમારું કહેવું ન માનીને દુર્યોધન આડે માર્ગે જવા લાગ્યો ત્યારે,ભીષ્મપિતામહે,દ્રોણે,ધૃતરાષ્ટ્રે,ગાંધારીએ,

વિદુરે અને સભામાં બેઠેલા સર્વ રાજાઓએ તેને શું કહ્યું? તે યથાર્થ રીતે કહો.તમે જ અમારા નાથ,ગતિ અને ગુરુ છો'


વાસુદેવે કહ્યું-મારા વચનોની અવજ્ઞા કરીને તે દુર્યોધન હસ્યો,ત્યારે ભીષ્મ અતિક્રોધયુક્ત થઈને કહેવા લાગ્યા કે-

'હે દુર્યોધન,કુળના હિત માટે હું જે કહું છું,તે ધ્યાન દઈને સાંભળ,ને કુળનું હિત કર.મારા પિતા શાંતનુનો હું એકનો એક પુત્ર હતો,તો પણ તેટલાથી તે પુત્રવાળાઓમાં શ્રેષ્ઠ મનાતા હતા.પણ બુદ્ધિમાનો એક પુત્રવાળાઓને,પુત્રરહિત જ કહે છે એટલે તેમને વિચાર આવ્યો હતો કે-'મારા કુળનો વિનાશ ન થાય ને કુળનો યશ વિસ્તાર કેવી રીતે પામે?' પિતાની ઈચ્છા જાણીને,કુળને માટે રાજયહીન અને બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરીને માતા સત્યવતીને,મારા પિતાની સાથે લગ્ન કરવા લઇ આવ્યો હતો.

અને સંતુષ્ટ થઈને પ્રતિજ્ઞાનું પાલન કરતો હું અહીં રહું છું તે તું સારી રીતે જાણે છે.


સત્યવતીથી વિચિત્રવીર્ય નામનો મારો નાનો ભાઈ થયો,જેને રાજ્યાસન પર બેસાડીને હું તેનો સેવક થઈને નીચા દરજ્જામાં રહેવા લાગ્યો.સ્ત્રીઓમાં અતિઆસક્ત  એવો તે વિચિત્રવિર્ય ક્ષય રોગથી મરણ પામ્યો.ત્યારે સર્વેએ મને રાજા થવાનું કહ્યું,તો મેં તેમને મારી રાજયત્યાગ અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જણાવી,ને સર્વેને શાંત પાડ્યા.પછી,મેં ભાઈઓની સ્ત્રીઓમાં પુત્ર ઉત્પન્ન કરવા માટે માતા સત્યવતી સાથે વિચાર કરીને,મહામુનિ વ્યાસને પ્રસન્ન કરીને યાચના કરી,તે વખતે તેમણે ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.

તારા પિતા જન્મથી અંધ હોવાથી,રાજા થઇ શક્યા નહિ ને પાંડુને રાજ્ય મળ્યું.તે પાંડુપુત્રો રાજ્યના હક્કદાર છે,માટે તું તેમની સાથે લડાઈ કરીશ નહિ અને તેમને અર્ધું રાજ્ય આપી દે.હું જીવું છું ત્યાં સુધી કયો પુરુષ અહીં રાજ્ય કરવા સમર્થ છે?પરંતુ હું સર્વદા તમારું કલ્યાણ ઈચ્છું છું,માટે તું મારા વચનનું અપમાન કર નહિ.મને તારામાં અને તેઓમાં ભેદ નથી.ને આ વાત,તારા પિતા,ગાંધારી અને વિદુરને માન્ય  છે.તારે વૃદ્ધોનું સાંભળવું જોઈએ,તું મારા વચન પર શંકા ન રાખ અને તારો પોતાનો,પૃથ્વીનો તથા સર્વનો નાશ ન કર.(43)

અધ્યાય-147-સમાપ્ત