May 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-826

 

અધ્યાય-૧૭૨-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II रोचमानो महाराज पांडवाना महारथः I योत्स्यते भरव्त्संख्ये परसैन्येषु भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પાંડવોના પક્ષમાં રોચમાન રાજા મહારથી છે.ભીમસેનનો મામો પુરુજિત મહાબળવાન છે ને તેને હું અતિરથી માનું છું.ભીમસેનનો હિડિમ્બામાં ઉત્પન્ન થયેલો માયાવી ઘટોત્કચ અતિરથી છે.બીજા અનેક દેશના રાજાઓ પાંડવોને માટે એકત્રિત થયા છે તેમાં આ મુખ્ય મુખ્ય રથી-અતિરથી ને અર્ધ રથીઓ તને મેં કહ્યા.અર્જુને રક્ષણ કરેલી આ ભયંકર સેના સંગ્રામમાં આવશે તેની સામે રણમાં જયની અથવા મૃત્યુની આકાંક્ષા રાખતો હું તે રાજાઓની સામે યુદ્ધ કરીશ,

હે ભારત,અર્જુન,વાસુદેવ અને પાંડવ પક્ષના સર્વ રાજાઓને હું બનશે ત્યાં સુધી રોકી રાખીશ,પરંતુ મારી સામે બાણ લઈને યુદ્ધ કરવા આવેલા દ્રુપદના પુત્ર શિખંડીને જોયા છતાં હું તેને મારીશ નહિ.કેમ કે હું (મારા બ્રહ્મચર્યના વ્રતને લીધે)કદી પણ સ્ત્રીને અથવા પૂર્વે સ્ત્રી હોઈને પછી પુરુષ થયેલાને મારીશ નહિ.શિખંડી પૂર્વે સ્ત્રી હતો,એ તેં સાંભળ્યું હશે.તે પ્રથમ કન્યા રૂપે અવતરીને પછી પુરુષ થયો છે માટે હું તેની સામે યુદ્ધ કરીશ નહિ,વળી,બીજા જે કોઈ રાજાઓ મારી સામે આવશે તે સર્વને હું મારીશ પરંતુ કુંતીપુત્રોને હું મારીશ નહિ.

અધ્યાય-172-સમાપ્ત 

રથાતિરથ સંખ્યાન પર્વ સમાપ્ત