અંબોપાખ્યાન પર્વ
અધ્યાય-૧૭૩-કાશીરાજની કન્યાઓનું અપહરણ
II दुर्योधन उवाच II किमर्थ भरतश्रेष्ठ नैव हन्याः शिखण्डिनं I उद्यतेशुमथो द्रष्टा समरेष्वाततायिनम् II १ II
દુર્યોધને પૂછ્યું-હે ભરતશ્રેષ્ઠ,તમે શસ્ત્રથી સજ્જ થયેલા શિખંડીને,સંગ્રામમાં બાણ ઉગામી સામે આવેલો જોયા છતાં શા માટે તેને મારશો નહિ?તમે તો પ્રથમ કહ્યું હતું કે સોમકો સાથે પાંચાલોને મારીશ,તો આ પાંચાલ શિખંડીને કેમ નહિ મારો?
ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મારા પિતા શાંતનુ મરણ પામ્યા ત્યારે મેં મારી પ્રતિજ્ઞા પાળીને ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો.
જયારે ચિત્રાંગદ મરણ પામ્યો ત્યારે વિચિત્રવીર્ય નાનો હતો છતાં મેં તેનો રાજ્યાભિષેક કર્યો.પછી યોગ્ય કુળની કન્યા સાથે તેનાં લગ્ન કરવાની વાત મેં મન પર લીધી.એટલામાં મેં સાંભળ્યું કે-કાશીરાજની ત્રણ કન્યાઓ અંબા,અંબિકા ને અંબાલિકા નો સ્વયંવર થાય છે.ત્યારે હું માત્ર એક રથ લઈને કાશીરાજની નગરીમાં ગયો.
તે કન્યાઓ પરાક્રમરૂપી મૂલ્યથી જ મળે તેવી છે,તેમ જાણી મેં તે કન્યાઓને હરણ કર્યું.અને બાકી સર્વ રાજાઓને પડકાર કર્યો.
ત્યારે સર્વ રાજાઓ હથિયારો ઉગામીને મારા પર તૂટી પડ્યા.મેં તે સર્વ રાજાઓને બાણની વૃષ્ટિ વડે ઢાંકી દીધા.તે વખતે મારી બાણ ફેંકવાની ઝડપ જોઈને તે સર્વ રાજાઓ ત્યાંથી નાસી ગયા.ને આમ રાજાઓને જીત્યા પછી હું ભાઈને માટે આણેલી તે કન્યાઓને હસ્તિનાપુરમાં લાવ્યો ને માતા સત્યવતીને મારુ પરાક્રમ કહ્યું.
અધ્યાય-173-સમાપ્ત
અધ્યાય-૧૭૪-અંબાનો વાંધો
II भीष्म उवाच II ततोऽहं भरतश्रेष्ठ मातरं वीरमातरम् I अभिगम्योपसंगुह्य दाशेयीमिदमब्रुवम् II १ II
ભીષ્મે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,તે પછી,હું વીર પુત્રોને જન્મ આપનારી મારી માતા દાશ(માછીમાર)ની પુત્રી સત્યવતીની પાસે જઈને તેના ચરણમાં પ્રણામ કરીને તેમને કહ્યું કે-'હું રાજાઓને હરાવી,પરાક્રમરૂપી મૂલ્યથી મળનારી આ કાશીરાજની કન્યાઓ,વિચિત્રવીર્ય માટે હરી લાવ્યો છું' પછી સત્યવતીની સંમતિથી વિવાહની સર્વ તૈયારી થઇ
ત્યારે કાશીરાજની મોટી પુત્રી અંબાએ શરમાઈને કહ્યું કે-
'હે ભીષ્મ,તમે ધર્મવેત્તા તથા સર્વ શાસ્ત્રમાં કુશળ છો,માટે મારુ વચન સાંભળીને તમારે તે પ્રમાણે કરવું યોગ્ય છે.મારુ હરણ થતાં પહેલા હું મનવડે શાલ્વરાજને વરી ચુકી છું અને મારા પિતા ન જાણે તેમ તે મને એકાંતમાં વરી ચૂક્યા છે.બીજા પુરુષની કામનાવાળી મને,તમે રાજધર્મનું ઉલ્લંઘન કરીને શા માટે ઘરમાં રાખો છો? મારી આ વાતનો મન વડે વિચાર કરીને બુદ્ધિથી નિશ્ચય કર્યા પછી તમને જે યોગ્ય લાગે તે કરો.શાલ્વરાજ મારી રાહ જુએ છે તે સ્પષ્ટ છે માટે તમારે મને જવાની આજ્ઞા આપવી યોગ્ય છે.તમે સત્યવ્રતવાળા છો,મારી પર કૃપા કરો (10)
અધ્યાય-174-સમાપ્ત