May 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-828

 

અધ્યાય-૧૭૫-અંબાને શાલ્વ રાજાએ પણ સ્વીકારી નહિ


II भीष्म उवाच II ततोऽहं समनुज्ञाप्य कालीं गन्धवतीं तदा I मंत्रिणश्चर्त्विज श्चैव तथैव च पुरोहितान् II १ II

ભીષ્મે કહ્યું-તે પછી,મેં સત્યવતીની,મંત્રીઓની,ઋત્વિજોની અને પુરોહિતોની સંમતિ લઈને,તે અંબાને જવાની આજ્ઞા આપી,

ત્યારે તે અંબા શાલ્વરાજ પાસે જઈને તેને કહેવા લાગી કે-હે રાજન,હું તમારી પાસે આવી છું,મારો સ્વીકાર કરો'

તે સાંભળી શાલ્વરાજ હસતો હોય તેમ કહેવા લાગ્યો કે-'હું બીજા પુરુષને માટે હરણ કરાયેલી તને હવે ભાર્યા તરીકે 

સ્વીકારવા તૈયાર નથી.તું પાછી ભીષ્મ પાસે જા.ભીષ્મ યુદ્ધમાં રાજાઓને હરાઈને તારો હાથ પકડી તને લઇ ગયા હતા,ને તું પ્રીતિથી ગઈ હતી,માટે હવે હું પ્રથમ બીજાએ ગ્રહણ કરેલી તને ભાર્યા કરવા ઈચ્છતો નથી.(9)

અંબા બોલી-'એ પૃથ્વીપાલ,તમે એવું ન બોલો.તમે કહો છો તેવું થયું નથી.ભીષ્મ મારી પ્રસન્નતાથી મને લઇ ગયા ન હતા.માટે તમારી ભક્ત,બાળા ને અપરાધ વિનાની મને તમે ગ્રહણ કરો.ભીષ્મની આજ્ઞા લઈને જ હું આવી છું.તે ભીષ્મ મારી ઈચ્છા રાખતા નથી,તેમણે તો પોતાના ભાઈ માટે જ આ ઉદ્યોગ કર્યો હતો.મારી બીજી બે બહેનો અંબિકા ને અંબાલિકાને તેમણે તેમના નાના ભાઈ વિચિત્રવીર્યને આપી દીધી છે.હું મસ્તકનો સ્પર્શ કરી સોગન ખાઈને કહું છું કે તમારા વિના બીજા કોઈ વરનું હું ચિંતન કરતી નથી,બીજા કોઈને પણ ન વરેલી હું કન્યા છું,તમે મારો સ્વીકાર કરો.'


આમ,તે અંબાએ અનેક પ્રકારે યાચના કરી પણ શાલ્વરાજાએ તેને સ્વીકારી નહિ અને વારંવાર કહેવા લાગ્યો કે-'તને ભીષ્મે સ્વીકારી છે અને હું ભીષ્મથી ભય પામું છું,માટે તું અહીંથી ચાલી જા.'ત્યારે દીન થયેલી તે અંબા ત્યાંથી વિલાપ કરતી નીકળી ને મનમાં વિચારવા લાગી કે-'શાલ્વ રાજાએ મને હાંકી કાઢી છે ને હવે હું હસ્તિનાપુરમાં પણ જઇ શકું તેમ નથી.આ સંબંધમાં હું કોને દોષ આપું? જેણે મારો સ્વયંવર કર્યો તે મારા પિતાને ધિક્કાર હો,મને બલાત્કારે લઇ જનારા ભીષ્મને ધિક્કાર હો,શાલ્વને ધિક્કાર હો.તેઓના અવિચારીપણાને લીધે જ હું આ મોટી આપત્તિમાં આવી પડી છું.મનુષ્ય પોતાનાં ભાગ્યોને જ ભોગવે છે,એટલે આમાં મારુ દૈવ ખરાબ તો ખરું જ.તો પણ આ અનર્થનો પ્રારંભ તો ભીષ્મથી જ થયો છે માટે હવે મારે તપ વડે કે યુદ્ધ વડે તેનો બદલો આપવો એમ મને લાગે છે.પરંતુ તે ભીષ્મને જીતવા કોણ સમર્થ થાય?


પછી,તે અંબા તપસ્વીઓના આશ્રમમાં ગઈ ને તેમની આગળ સર્વ વાત કહી.તા વખતે ત્યાં મહાતપસ્વી શૈખાવત્ય મુનિએ કહ્યું કે-'હે કલ્યાણી,તારી આવી સ્થિતિમાં તપસ્વી મહાત્માઓ શું કરી શકે?તે તો નિત્ય તપશ્ચર્યા પરાયણ જ રહે છે.'

ત્યારે અંબાએ કહ્યું-'હે નિષ્પાપ મુનિઓ તમે દેવ સમાન છો,હું તમારી પાસેથી તપમાં હિતકર ધર્મનો ઉપદેશ ગ્રહણ કરવવાની ઈચ્છા રાખું છું,તમે મારા પર કૃપા કરો.'એ સાંભળી તે તપસ્વી મુનિએ તેનું સાંત્વન કર્યું ને બ્રાહ્મણોની સાથે તેનું કાર્ય કરી આપવાનું વચન આપ્યું. (45)

અધ્યાય-175-સમાપ્ત