અધ્યાય-૧૭૬-હોત્રવાહન અને અંબાનો સંવાદ
II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे कार्यवंतोभवंस्तदा I तां कन्यां चितयंतस्ते किं कार्यमिति धर्मिणः II १ II
ભીષ્મે કહ્યું-તે પછી સર્વ ધર્મિષ્ઠ તપસ્વીઓ 'તે કન્યા માટે શું કરવું?' તેનો વિચાર કરવા લાગ્યા.કેટલાએકે કહ્યું-'એ કન્યાને એના બાપને ઘેર લઇ જાઓ' કેટલાએકે મને ઠપકો આપવાનો વિચાર જણાવ્યો.કેટલાએકે શાલ્વને સોંપી દેવાનું કહ્યું.આ પ્રમાણે મતભેદ થયો ત્યારે તપસ્વીઓએ ફરીથી અંબાને કહ્યું કે-'હે રાજપુત્રી તું સુકુમાર ને કુંવારી છે,તેથી આ સંન્યાસમાર્ગ દુઃખદાયક થશે.આ નિર્જન ગહન વનમાં તને એકલી જોઈને રાજાઓ તારી માગણી કરશે,માટે તું વનમાં રહેવાનો વિચાર માંડી વાળ.'
તેમ છતાં અંબા તેના તપ કરવાના નિશ્ચય પર અટલ રહી.
તેવામાં રાજર્ષિ હોત્રવાહન ત્યાં આવી પહોંચ્યા.ત્યારે સર્વે તપસ્વીઓએ તેમને અંબાનો વૃતાંત કહ્યો.હોત્રવાહન અંબાને કહેવા લાગ્યા કે-'હે કલ્યાણી.તું હવે પિતાને ઘેર જઈશ નહિ,હું તારી માતાનો બાપ છું.હું તારું દુઃખ જરૂર દૂર કરીશ.તું અહીંથી મારા સુહૃદ એવા પશુરામ પાસે જા.તે તારું કામ અવશ્ય કરશે.તે અત્યારે મહેન્દ્ર પર્વત પર તપશ્ચર્યા કરે છે.મારુ નામ દેવાથી તે તારું કામ અવશ્ય કરશે.તે પ્રેમાળ મિત્ર છે માટે તું ત્યાં જઈને તેમને તારું આ દુઃખ કહી સંભળાવજે.'
હોત્રવાહન આમ કહેતા હતા એટલામાં પરશુરામના પ્રિય અનુચર અકૃતવણ ત્યાં આવી પહોંચ્યા.સર્વેનો સત્કાર લીધા પછી,તેમના પૂછવાથી,તેમને અંબાએ પોતાનો વૃતાન્ત તેમને કહી સંભળાવ્યો.હોત્રવાહને કહ્યું-'આ મારી દોહિત્રી અંબા પોતાના પર આવેલ આ દુઃખની ઉત્પત્તિમાં ભીષ્મને જ કારણરૂપ માને છે અને દુઃખના નિવારણ અર્થે તે વનમાં આવીને તપશ્ચર્યા કરવા માગે છે.એને મેં મારી દોહિત્રી તરીકે ઓળખી છે ને મેં તેને પરશુરામ પાસે જવાની સૂચના આપી છે.એટલે હવે જે પરશુરામ કહે તે જ તેનું પોતાનું ઉત્તમ કર્તવ્ય છે તેમ હું માનું છું' તે સાંભળી,અંબાએ નજર ઢાળીને સંમત્તિ આપી.(59)
અધ્યાય-176-સમાપ્ત