May 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-830

 

અધ્યાય-૧૭૭-અંબા અને પરશુરામનો સંવાદ 


II अकृतव्रण उवाच II दुःखद्रयमिहं भद्रे कतस्य चित्तर्षसि I प्रतिकर्तव्यमचसे तत्वं वत्से वदस्व मे II १ II

અકૃતવણે કહ્યું-હે કલ્યાણી,હમણાં તને બે દુઃખ છે,તેમાંથી તું કયા દુઃખનો ઉપાય ઈચ્છે છે તે તું મને કહે.જો શાલ્વ તારી સાથે લગ્ન કરે તેવી તારી ઈચ્છા હોય તો પરશુરામ તેને તેવી આજ્ઞા તેને કરશે અને જો ભીષ્મને રણમાં હારેલા જોવા ઇચ્છતી હશે તો પણ ભૃગુવંશી રામ તેમ કરે તેમ છે,માટે તેનો તારે આજે જ વિચાર કરવા યોગ્ય છે.

અંબાએ કહ્યું-'મેં મારા દુઃખનું કારણ યથાર્થ કહ્યું છે હવે આપને જે ઉપાય યોગ્ય લાગે તે યુક્તિથી તમે કરો.'

અકૃતવણે કહ્યું-'ધર્મને અનુસરીને તારું વચન યોગ્ય જ છે.ભીષ્મ તને જીતીને લઇ ગયા ન હોત તો શાલ્વ તને ગ્રહણ કરત.

વળી,ભીષ્મ,પુરુષપણાનું અભિમાન રાખનારા,ને યુદ્ધવિજયથી પ્રકાશ્યા છે તેથી ભીષ્મ સામે બદલો લેવો યોગ્ય છે'

આ પ્રમાણે વાતો કરતાં તે દિવસ ને રાત્રિ વીતી ગઈ,બીજા દિવસે પ્રભાત થતાં જ,તેજસ્વી પરશુરામ,પોતાના શિષ્યોની સાથે ત્યાં આવી પહોંચ્યા.તેમનું યથાર્થ સન્માન કર્યા પછી,હોત્રવાહને,પરશુરામને કહ્યું કે-'આ અંબા મારી દોહિત્રી છે,તેનું એક કાર્ય તમે યથાર્થ રીતે સાંભળો' ત્યારે અંબાએ પોતાનો સર્વ વૃતાન્ત કહ્યો ને તે પરશુરામને શરણે ગઈ.


પરશુરામે કહ્યું કે-'હે ભાવિની,હું તને ભીષ્મ પાસે જ પાછી મોકલીશ,તે મારુ કહેવું સાંભળીને તે પ્રમાણે કરશે અને જો તેમ નહિ કરે તો હું રણમાં તેને બાળી નાખીશ,અથવા જો તારે શાલ્વને સ્વીકારવો હોય તો તેને પણ હું તારી સાથે લગ્ન કરવા કહીશ.'


અંબાએ કહ્યું-'હે ભૃગુનંદન,મારી ઈચ્છાને લીધે ભીષ્મે મને વિદાય કરી,ને શાલ્વરાજે મારો અસ્વીકાર કર્યો,ત્યારે મેં તેને કેટલાંએક ન કહેવાનાં વચનો કહ્યાં છતાં તે પોતાના નિશ્ચયથી ડગ્યો નહિ.હવે તમે તમારી બુદ્ધિથી આ સર્વ વાતનો નિશ્ચય કરીને જે કરવા યોગ્ય હોય તે કરો.મને તો મારા આ દુઃખનું કારણ ભીષ્મ જ લાગે છે કારણકે સ્વયંવર વખતે તેમણે,મારો મનોરથ જાણવાની પરવા કર્યા વગર,બળાત્કારથી મને ઊંચકીને પોતાને સ્વાધીન કરી હતી.એ ભીષ્મને લીધે જ હું આ દુઃખમાં પડી છું માટે તેમનો જ તમે નાશ કરો.તે ભીષ્મ લોભી,નીચ ને યુદ્ધવિજયથી પ્રકાશી નીકળ્યો છે,માટે તેમની સામે જ બદલો લેવો યોગ્ય છે.

જયારે તેમણે મારુ હરણ કર્યું,ત્યારે જ મારા હૃદયમાં સંકલ્પ થયો હતો કે મારે ભીષ્મનો નાશ કરાવવો.માટે ભીષ્મને તમે મારો.

અધ્યાય-177-સમાપ્ત