May 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-831

 

અધ્યાય-૧૭૮-પરશુરામ ને ભીષ્મ યુદ્ધ કરવા કુરુક્ષેત્રમાં ગયા


II भीष्म उवाच II एवमुक्तस्तदा रामो जहि भीष्ममिति प्रभो I उवाच रुदतीं कन्यां चोदयंति पुनः पुनः II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,કન્યાએ એ પ્રમાણે કહ્યું અને તે 'ભીષ્મને મારો' એમ વારંવાર પરશુરામને પ્રેરણા કરીને રડવા લાગી ત્યારે રામે તેને કહ્યું કે-હે કાશીરાજની પુત્રી,હું બ્રહ્મવેત્તા બ્રાહ્મણોના કાર્ય વિના ને બ્રાહ્મણોની આજ્ઞા વિના,પોતાની ઈચ્છાથી શસ્ત્રો ગ્રહણ કરતો નથી.પણ,તે ભીષ્મ જરૂર મારી વાણીને અધીન થશે,ને હું તારું કામ કરી આપીશ.તે ભીષ્મ,મસ્તક વડે વંદન કરવા યોગ્ય છે છતાં મારી વાણીથી તારા બંને ચરણોમાં વંદન કરશે.

અંબાએ કહ્યું-'હે રામ,જો તમે મારુ પ્રિય કરવા ઈચ્છતા હો તો તે ભીષ્મને રણમાં બોલાવીને તેને મારો.

અને 'તું કહીશ તે હું કરીશ'એવું જે તમે વચન આપ્યું છે તે સત્ય કરો.'

અકૃતવણે કહ્યું-'હે મહાબાહુ,શરણે આવેલી કન્યાનો ત્યાગ કરવો યોગ્ય નથી.યુદ્ધ કરવા બોલાવેલા ભીષ્મ 'હું હાર્યો છું' એમ કહે અથવા તમારા કહેવા પ્રમાણે કરે તો આ કન્યાનું કાર્ય સિદ્ધ થયેલું ગણાશે.તમે ક્ષત્રિયોને જીત્યા પછી,બ્રાહ્મણોની આગળ પ્રતિજ્ઞા કરી હતી કે-જો કોઈ પણ બ્રાહ્મણોનો દ્વેષ કરશે તો હું તેને રણમાં મારીશ.ને જો કોઈ રક્ષણ મેળવવા મારે શરણે આવશે તો હું તેનો ત્યાગ કરી શકીશ નહિ.'


પરશુરામે કહ્યું-'મને મારી પ્રતિજ્ઞાનું સ્મરણ છે,છતાં જે રીતે સલાહ સંપથી કામ થાય તે હું પ્રથમ કરીશ.અંબાનું આ કાર્ય ઘણું મોટું છે,માટે જ્યાં ભીષ્મ છે ત્યાં હું જઈશ ને જો તે ભીષ્મ મારા કહેવા પ્રમાણે કરશે નહિ તો તે ગર્વિષ્ઠનો હું નાશ કરીશ'

પછી,બીજે દિવસે,પરશુરામના સંદેશથી,ભીષ્મ,તેમને આવીને મળ્યા ને તેમની યથોચિત પૂજા કરી.

પરશુરામે કહ્યું-હે ભીષ્મ,તમે સ્ત્રીની કામના રહિત હોવા છતાં,કાશીરાજની પુત્રીને હરી ગયા ને તેને પુનઃ ત્યજી દીધી.તમે સ્પર્શ કરેલી તે કન્યાને શાલ્વએ સ્વીકારી નહિ,હવે તમે મારી આજ્ઞાથી તે કન્યાને ગ્રહણ કરો,ને તે સ્વધર્મને પ્રાપ્ત થાય તેમ કરો'(34)