May 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-832

 

ભીષ્મે કહ્યું-'હે બ્રહ્મન,આગળ એણે જ મને કહ્યું હતું કે તે શાલ્વ પર પ્રીતિવાળી છે,ને તેથી મેં તેને જવાની આજ્ઞા આપી હતી,ને તે શાલ્વ પ્રતિ ચાલી ગઈ,તેમાં મારો શો દોષ? હું ભયથી,દયાથી,ધનલોભથી અથવા કામનાથી ક્ષાત્રધર્મનો ત્યાગ નહિ કરું.'

પરશુરામે કહ્યું-'હે ભીષ્મ,તું મારા કહેવા પ્રમાણે નહિ કરે તો આજે હું અમાત્યો સહિત તારો નાશ કરીશ'

ભીષ્મે કહ્યું-'હે ભગવન,હું તમારા પ્રત્યે ગુરૂભાવને વિચારીને તમને પ્રાર્થના કરું છું-મેં એકવાર આ કન્યાનો ત્યાગ કર્યો છે એટલે તેને હું સ્વીકારીશ નહિ.હું સ્વધર્મનો ત્યાગ કરીશ નહિ.માટે તમે પ્રસન્ન થાઓ,ક્રોધ કરો કે તમારે જે કરવું હોય તે કરો.

મરૂત રાજાએ કહેલો એક શ્લોક પુરાણમાં સંભળાય છે કે-'પોતાનો ગુરુ હોય છતાં જો તે ગર્વિષ્ઠ થઇ,કાર્ય-અકાર્યનો વિવેક ત્યજી અવળે માર્ગે જવા માંડે તો તેનો ત્યાગ કરી દેવો' તમે મારા ગુરુ છો,મેં તમારું પ્રેમથી સન્માન કર્યું,છતાં ગુરુએ શિષ્ય સાથે કેમ વર્તવું -એ તમે જાણતા નથી માટે હવે હું તમારી સાથે યુદ્ધ જ કરીશ.સંગ્રામમાં ગુરુનો,તેમાં વળી બ્રાહ્મણ તપોવૃદ્ધ ગુરુનો વધ ન કરવો એ હેતુથી મેં તમારાં વચનો સહન કર્યાં છે,નહિ તો ધર્મશાસ્ત્રનો એવો સિદ્ધાંત છે કે-બ્રાહ્મણ પણ સંગ્રામમાં એક ક્ષુદ્ર ક્ષત્રિયની જેમ ક્રોધ કરી,હથિયાર ઊગામીને યુદ્ધ કરતો હોય તેનો જે પુરુષ વધ કરે તેને બ્રહ્મહત્યાનો દોષ લાગતો નથી.

તમે સંશયગ્રસ્ત અર્થમાં ન્યાયનું ઉલ્લંઘન કરીને મને પ્રેરો છો,પણ હું તે પ્રમાણે ન કરતાં,યુદ્ધ જ કરીશ.માટે તમે યથેષ્ટ તૈયાર થાઓ.હે રામ,જે કુરુક્ષેત્રમાં તમે પૂર્વે પિતાના સૂતકની શુદ્ધિ કરી હતી,તે જ કુરુક્ષેત્રમાં હું તમને મારીને સૂતકશુદ્ધિ કરીશ.

તમે સત્વર ત્યાં આવો,હું તમારો પુરાતન ગર્વ ત્યાં ઉતારી નાખીશ.તેમાં સન્દેહ નથી.


પરશુરામે કહ્યું-'આ તારી સાથે જ હું કુરુક્ષેત્રમાં આવું છું,તું ત્યાં ચાલ ને તારા કહેવા પ્રમાણે તારી સાથે યુદ્ધ કરીશ,ને તારો વધ કરીશ.હવે,તું તારી સર્વ રથસામગ્રી લઈને કુરુક્ષેત્રમાં ચાલ.' પછી,કુરુક્ષેત્રમાં સામસામે આવીને શંખ ફૂંક્યા,ત્યારે ભીષ્મની નજીક તેમની માતા ગંગાદેવી આવીને તેમને કહેવા લાગ્યા કે-'આ તેં શું કરવા ધાર્યું છે? હું પરશુરામની પાસે જઈને તેમને યાચના કરીશ કે -'તમારા શિષ્ય સામે યુદ્ધ કરશો નહિ.' હે પુત્ર સમસ્ત ક્ષત્રિયોને હણનારા અને રુદ્રતુલ્ય પરાક્રમી રામને તું ઓળખાતો નથી?


ત્યારે ભીષ્મે,બે હાથ જોડીને માતા ગંગાને સર્વ વૃતાંત  કહ્યો.છતાં,ગંગાદેવી,રામની પાસે જઈને તેમની ક્ષમા માંગતાં બોલી કે-

'તમે તમારા શિષ્ય ભીષ્મ સામે યુદ્ધ ન કરો' પરશુરામે કહ્યું-તમે ભીષ્મને જ યુદ્ધ કરતા અટકાવો,તે મારી ઈચ્છા પ્રમાણે કરતો નથી,માટે જ હું તેની સામે યુદ્ધ કરવા આવ્યો છું' ગંગાદેવી પાછા ભીષ્મ પાસે આવ્યાં,પણ ક્રોધવડે વ્યાકુળ નેત્રવાળા ભીષ્મે તેમનું કહેવું માન્યું નહિ.એટલામાં પરશુરામ ત્યાં આવ્યા ને ભીષ્મને યુદ્ધ કરવા હાક મારી (95)

અધ્યાય-178-સમાપ્ત