અધ્યાય-૧૭૯-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ
II भीष्म उवाच II तमहं स्मयन्निव रणे प्रत्यभाषं व्यवस्थितम् I भूमिष्ठं नोत्सहे योद्धुं भवंतं रथमास्थितः II १ II
ભીષ્મે કહ્યું-પછી,રણભૂમિ પર સ્થિર થઈને ઉભા રહેલા પરશુરામને મેં કંઈક ગર્વિત વાણીથી કહ્યું કે-'રથમાં બેઠેલો હું,ભૂમિ પર ઉભા રહેલા એવા તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતો નથી,માટે હે રામ,તમે જો મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હો તો,શરીર પર બખ્તર ધારણ કરો ને રથમાં વિરાજો' તે સાંભળી પરશુરામ બોલ્યા કે-'હે ભીષ્મ,પૃથ્વી મારો રથ છે,વેદો મારા ઘોડાઓ છે,વાયુ મારો સારથિ છે અને વેદમાતાઓ (ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી)મારુ બખ્તર છે.આમ કહીને તેમણે મને મોટા બાણસમૂહથી ચારે બાજુથી ઢાંકી દીધો.
એટલામાં તો મેં તેમને રથમાં,સૂર્ય-ચંદ્રની આકૃતિનાં ચિહનોનું બખ્તર પહેરેલા બેઠેલા જોયા,તેમના પ્રિય મિત્ર વેદવેત્તા અકૃતવણ સારથિ તરીકે બેઠા હતા.થોડા અંતરે તેમનો રથ મેં જોયો,એટલે મારા રથને અટકાવીને તે ઋષિશ્રેષ્ઠ રામનું પૂજન કરવા ઉઘાડે પગે ગયો,વિધિ પ્રમાણે પ્રણામ કર્યા પછી મેં તેમને કહ્યું કે-'હે રામ,તમે મારા સમાન કે મારાથી અધિક મારા ગુરુ છો,કે જેમની સામે હું યુદ્ધ કરવા તૈયાર થયો છું,તો હે પ્રભો,તમે મારો જય થાય તેવી ઈચ્છા રાખો (14)
રામે કહ્યું-'પોતાનાથી શ્રેષ્ઠ પુરુષોની સાથે યુદ્ધ કરનારાના ધર્મ પ્રમાણે તેં કર્યું,તારા ચરિત્રથી હું પ્રસન્ન થયો છું,તું રણમાં સાવધાન થઈને યુદ્ધ કર,હું તને જીતવા માટે તારી સામે ઉભો છું,એટલે તારો જય થાય એવી ઈચ્છા રાખી શકતો નથી.'
ભીષ્મે કહ્યું-પછી,હું મારા રથમાં જઈને બેઠો અને મારો શંખ ફૂંક્યો.પ્રથમ તેમણે મને નવસો સાઠ બાણ મારીને મારા રથને ઢાંકી દીધો.ત્યારે મેં તેમને મંદ હાસ્ય કરતાં કહ્યું કે-'હે બ્રહ્મન,તમે જોકે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે,તો પણ મેં આપના આચાર્યપણાનું માન રાખ્યું છે.તમે જે ક્ષાત્રધર્મ સ્વીકાર્યો છે,તે ઉપર હું પ્રહાર કરીશ,મારાં તીવ્ર બાણોથી હમણાં જ તમારું ધનુષ્ય કાપી નાખું છું
આમ કહી,મેં તેમનું ધનુષ્ય કાપી નાખ્યું ને બીજાં સો બાણ તેમના પર માર્યા,તે વખતે તેમના શરીરમાંથી રુધિર નીકળતું હતું.ત્યારે તેમને બીજું બાણ લઈને ક્રોધ કરીને મારા પર બાણોની વર્ષા કરી,કે જે મારા શરીરને કંપાવવા લાગ્યા.એટલે મેં પણ ક્રોધ કરીને સેંકડો બાણોથી તેમને ઢાંકી દીધા.મારા બાણોથી પીડાયેલા તે ગભરાઈને મંદ જેવા થઇ ગયા,તે જોઈને મારા મનમાં દયા આવી ગઈ.ને મેં મનમાં વિચાર્યું કે-આ યુદ્ધને ને ક્ષત્રિયધર્મને ધિક્કાર હો,મેં મારા પોતાના ગુરુ,ધર્માત્મા બ્રાહ્મણને બાણો મારીને પીડા ઉત્પન્ન કરી,મેં મહાપાપ કર્યું છે' આમ વિચારી મેં તેમના પર ફરી બાણોનો પ્રહાર કર્યો નહિ.એટલામાં જ સૂર્યનો અસ્ત થતાં અમારે આમારું યુદ્ધ તે દિવસને માટે બંધ કરવું પડ્યું (39)
અધ્યાય-179-સમાપ્ત