અધ્યાય-૧૮૦-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)
II भीष्म उवाच II आत्मनस्तु ततः सुतो हयानां च विशांपते I मम चापनयामास शल्यान्कुलसंमतः II १ II
ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,યુદ્ધ બંધ પડ્યા પછી,મારા સારથિએ મારા ને તેના પોતાના શરીરમાં પેસેલાં બાણોને કાઢી નાખ્યાં,ને ઘોડાઓને નવરાવીને બીજા દિવસ માટે તૈયાર કરી દીધા.બીજા દિવસે પરશુરામે બાણોનો વરસાદ કર્યો,કે જેને મેં રસ્તામાં જ કાપી નાખ્યા.પછી,તેમણે દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરવા માંડ્યો પણ તે અસ્ત્રોને પણ મેં અટકાવ્યા કેમકે ગુરુ કરતાં અધિક અસ્ત્રક્રિયા દર્શાવવાની મારી ઈચ્છા હતી.તે પછી,મેં વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેનો તેમણે ગુહ્યકાસ્ત્રથી નાશ કર્યો.મારા આગન્યાસ્ત્રનું તેમણે વારુણાસ્ત્રથી વારણ કર્યું.
છેવટે તેમને મને તીવ્ર બાણથી મારી છાતી વીંધી નાખી,એટલે હું રથમાં મૂર્છિત થઈને પડ્યો.તેથી મારો સારથી મને તત્કાળ રથને દૂર લઇ ગયો.મારા આમ વિંધાવાથી,અકૃતવ્રણ ને કાશીરાજની કન્યા આદિએ હર્ષના પોકારો કર્યા,પણ એટલામાં જ મને ભાન આવવાથી,મેં સારથિને ફરી રણભૂમિ પર લઇ જવા કહ્યું.મેં તેમના વધની ઈચ્છાથી કાળતૂલ્ય બાણ છોડ્યું,કે જેનાથી તે મૂર્છિત થઈને પૃથ્વી પર પડ્યા.ત્યારે સર્વે ગભરાઈને તેમને જળ છાંટીને અને આશીર્વાદો આપીને ભાનમાં લાવ્યા.
તરતજ તેમણે મારા ઘોડાઓને મારી નાખ્યા,ને અસંખ્ય બાણોથી મને ઢાંકી દીધો.મેં પણ સર્વને રોકી દે તેવું શીઘ્રાસ્ત્ર છોડીને તેમના બાણોનો નાશ કર્યો ને બીજાં આવતાં બાણોને અટકાવી દીધા.ચોતરફ આકાશમાં એટલાં બધાં બાણો છવાઈ ગયા કે,સૂર્યનો પ્રકાશ પણ જમીન પર પડતો બંધ થઈ ગયો,ને બાણો એકબીજા સાથે અથડાવાથી અગ્નિ પ્રદીપ્ત થયો,ને બાણો સળગીને જમીન પર પડવા લાગ્યા.છેવટે સંધ્યાકાળ થવાથી યુદ્ધ વિરામ થયો (38)
અધ્યાય-180-સમાપ્ત