May 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-825

 

અધ્યાય-૧૭૧-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II पंचालराजस्य सुतो राजनार पुरंजयः I शिखण्डी रथमुख्यो मे मतः पार्थस्य भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારતરાજ,પાંડવોના પક્ષમાં પાંચાલરાજના પુત્ર શિખંડીને હું મુખ્ય રથી માનું છું.એ શિખંડી પોતાનો પ્રાચીન સ્ત્રીભાવ ત્યજીને,અર્થાંત પુરુષાર્થ દેખાડીને,સંગ્રામમાં ઉત્તમ યશનો વિસ્તાર કરતો તારી સેના સાથે યુદ્ધ કરશે.

દ્રોણનો મહારથી શિષ્ય અને પાંડવ સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન અતિરથી છે,એમ હું માનું છું.એની રથસેના,દેવોની રથસેના જેવડી મોટી અને સાગર સમાન છે.યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર વાળશે.ધૃષ્ટદ્યુમ્નના પુત્ર ક્ષત્રધર્માને હું અર્ધરથી માનું છું,કારણકે તેણે બાલ્યાવસ્થાને લીધે યુદ્ધકળામાં બહુ પરિશ્રમ કર્યો નથી.

ચેદિ દેશનો રાજા,પાંડવોનો સંબંધી,શિશુપાળનો પુત્ર ધૃષ્ટકેતુ મહારથી છે અને તેને હું ઉત્તમ રથી માનું છું.

જયંત,અમિતૌજા,અને સત્યજિત એ ત્રણે પાંચાલ મહાત્માઓ મહારથીઓ છે.પરાક્રમી અજ અને ભોજ એ બંને મહારથી છે.

દ્રઢ પરાક્રમવાળા કેકય ભાઈઓ,ઝડપથી અસ્ત્ર પ્રયોગ કરનારા ઉત્તમ રથીઓ છે.વાર્ધક્ષેમી રાજાને હું મહારથી ને ચિત્રાયુધ રાજાને હું ઉત્તમ રથી માનું છું.પાંડવોના પક્ષમાં ચેકિતાન તથા સત્યધૃતિ મહારથી ગણાય છે પણ એ બંનેને હું ઉત્તમ રથી માનું છું.વ્યાઘ્રદત્ત તથા ચંદ્રસેન એ બંને ઉત્તમ રથીઓ છે.


ક્રોધહંતા નામથી પ્રસિદ્ધ સેનાબિંદુ રાજા,વાસુદેવ અને ભીમસેનના જેવો છે.તું મને,દ્રોણને ને કૃપને જેવા માને છે તેવો જ તે રથીશ્રેષ્ઠ છે એમ માન.કાશ્ય રાજાને હું એક રથી માનું છું.દ્રુપદના પુત્ર સત્યજિતને આઠગણો રથી માનવો.તે ધૃષ્ટદ્યુમ્ન જેવો જ છે ને આ લોકમાં તે અતિરથી ગણાય છે.મહાવીર્યવાન પાંડ્યરાજ મહારથી છે ને તે પાંડવો પર પ્રીતિવાળો છે.

શત્રુનગરને જીતનારા શ્રેણીમાન અને રાજા વસુદાન એ બંનેને હું અતિરથી માનું છું (27)

અધ્યાય-171-સમાપ્ત