May 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-824

 

અધ્યાય-૧૬૯-પાંડવોના રથીઓ અને અતિરથીઓ 


II भीष्म उवाच II एते रथास्तवाख्यातास्तथैवातिरथा नृप I ये चाप्यर्द्वरथा राजन पांडवानामतः शृणु II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,તારા રથીઓ,અતિરથીઓ ને અર્ધરથીઓ મેં તને કહ્યા હવે તું પાંડવોના રથી વગેરેને સાંભળ.

યુધિષ્ઠિર ઉત્તમ રથી છે ને સંગ્રામમાં અગ્નિની જેમ ફરી વળશે,એમાં સંદેહ નથી.ભીમસેન આઠગણો રથી છે,ગદાયુદ્ધ અને બાણયુદ્ધમાં તેના સમાન કોઈ નથી.તે દશ હજાર હાથીનું બળ ધરાવે છે.બંને માદ્રીપુત્રો રથી છે.પૂર્વનાં દુઃખો સંભારીને તે પાંડવો રુદ્રની જેમ સંહાર કરતા રણમાં ઘૂમશે તેમાં મને સંદેહ લાગતો નથી.

બંને પક્ષની સેનામાં અર્જુન જેવો કોઈ વીર રથી નથી,પૂર્વે પણ દેવો-આદિમાં તેના જેવો કોઈ વીર થયો નથી,વળી તેને નારાયણની સહાયતા છે.તેનો રથ સર્વ રીતે સંપન્ન છે.ને વાયુ વેગવાળા ઘોડાઓ,દિવ્ય બખતર,ગાંડીવ,બે અક્ષય ભાથા,ગદાઓ,વજ્ર વગેરે આયુધોથી સંપન્ન છે.તે અર્જુનની સામે બંને પક્ષની સેનામાંથી એક હું અને દ્રોણાચાર્ય-સિવાય ત્રીજો કોઈ યોદ્ધો જાય તેમ નથી.વાસુદેવની સહાયતાવાળો તે તરુણ ને કાર્યકુશળ છે ત્યારે અમે બંને વૃદ્ધ થઇ ગયા છીએ.(26)

અધ્યાય-169-સમાપ્ત 


અધ્યાય-૧૭૦-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II द्रौपदेया महाराज सर्वे पंच महारथाः I वैराटीरुत्तरश्वैव रथोदारो मतो मम II १ II

ભીષ્મે કહ્યું-હે મહારાજ,દ્રૌપદીના પાંચ પુત્રો મહારથીઓ છે,ને વિરાટના પુત્ર ઉત્તરને હું ઉત્તમ રથી માનું છું.અભિમન્યુ અતિરથી છે ને સંગ્રામમાં તે શ્રીકૃષ્ણ અને અર્જુનનો બરોબરીઓ છે.મધુવંશી સાત્યકિ અતિરથી છે ને યાદવવીરોમાં મહાક્રોધી ને નિર્ભય છે.ઉત્તમૌજા અને યુધામન્યુ ઉત્તમ રથી છે,સંગ્રામમાં અજિત તથા મહાપરાક્રમી વિરાટ અને દ્રુપદ રાજા એ બંને મહારથી છે.

તે બંને વૃદ્ધ છે પણ ક્ષાત્રધર્મમાં તત્પર છે.તે બંને પાંડવોના સંબંધને લીધે યુદ્ધમાં ઝુકાવશે.અને પ્રાણની પણ પરવા કર્યા વગર પોતાની પૂર્ણ શક્તિથી સંગ્રામમાં લઢશે,ને રણમાં મોટું કામ કરશે.(14)

અધ્યાય-170-સમાપ્ત