May 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-823

 

અધ્યાય-૧૬૮-અતિરથીની ગણનામાં ભીષ્મ ને કર્ણનો વિવાદ 


II भीष्म उवाच II अचलो वृषकश्वैव सहितौ भ्रात्ररावुभौ I रथौ तव दुराधार्षौ शत्रुन्विध्वंसयिश्यतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મહાપરાક્રમી અને ગાંધારોમાં મુખ્ય અચલ તથા વૃષક નામના બે જોડીદાર ભાઈઓ રથીઓ છે.

હવે તારો મિત્ર,મંત્રી,ને વહાલો સૂર્યપુત્ર કર્ણ,કઠોર,આત્મશ્લાઘી,અત્યંત ચઢાઉ,રણમાં નિત્ય તીક્ષ્ણ,અભિમાની અને નીચ છે અને તને પાંડવોની સાથે નિત્ય વૈર કરવામાં ઉત્તેજન આપ્યા કરે છે,તે કર્ણ રથી કે અતિરથી નથી,કેમ કે નિત્ય નિંદક તથા મૂર્ખ તે જન્મસિદ્ધ કવચ ને કુંડળોથી રહિત થયો છે.પરશુરામના શાપને લીધે અને કવચ-કુંડળ રહિત થવાને લીધે હું તેને અર્ધરથી માનું છું.અર્જુનની સામે રણમાં જતા તે પાછો જીવતો છૂટશે નહિ.(7)

ત્યારે દ્રોણ બોલ્યા-હે ભીષ્મ,તમે કહો છો તે પ્રમાણે જ છે એ વાતમાં મિથ્યા નથી.કર્ણ,પ્રત્યેક રણમાં પ્રથમ અભિમાની જણાય છે અને પાછળથી નાસી જતો જોવામાં આવે છે.એ કર્ણ નિંદક ને પ્રમાદી છે,તેથી હું પણ તેને અર્ધરથી માનું છું (9)

એ સાંભળીને કર્ણ,ક્રોધવડે નેત્રો ફાડી ભીષ્મને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી,છતાં તમે નિત્ય દ્વેષને લીધે,ડગલે ને પગલે,ઇચ્છામાં આવે તેમ વાણીરૂપી બાણોથી મને વીંધ્યા કરો છો.પરંતુ હું તે સર્વ દુર્યોધનને લીધે સહન કરું છું.તમે મને કોઈ કાયરની જેમ નિર્માલ્ય માનો છો ને મારી ગણતરી અર્ધરથીમાં કરો છો,તેથી જગત પણ મને અર્ધરથી માનીને મારુ અપમાન કરે -એમાં સંદેહ નથી,કારણકે 'ભીષ્મ મિથ્યા બોલે નહિ' એમ જગત માને છે (13)


આ રીતે તો તમે કૌરવોનું નિત્ય અહિત કરો છો ને દુર્યોધન તે સમજતો નથી.તમે મારા ગુણો સહન ન થવાથી તથા પરસ્પરમાં ભેદ પડાવવાની ઈચ્છાથી મારો દ્વેષ કરો છો.બાકી અત્યારે એકત્ર થયેલ રાજાઓમાં મારી માનહાનિ કોણ કરે?

હે કૌરવ,વર્ષો વધારે થવાને લીધે,ધનને લીધે અથવા બંધુવર્ગોને લીધે ક્ષત્રિયોનું મહારથીપણું ગણી શકાતું નથી.ક્ષત્રિય બળથી શ્રેષ્ઠ ગણાય છે.તમે કામ અને દ્વેષથી યુક્ત છો તેથી મોહને લીધે પોતાની ઈચ્છા પ્રમાણે,આ રથી છે અને આ અતિરથી છે એવા ભેદ પાડ્યા કરો છો  (17)


હે દુર્યોધન,તમે સારી રીતે વિવેકથી જુઓ અને તમારું ભુંડું કરનારા ભીષ્મનો ત્યાગ કરો.સેનામાં એક વખત ભેદ પડે પછી તેનું સંધાન કરવું કઠિન થઇ પડે છે.આ યુદ્ધમાં યોદ્ધાઓમાં ભેદભાવ ઉત્પન્ન થયો છે.ભીષ્મ અમારા તેજને ઉતારી નાખે છે.પરંતુ રથીઓનું જ્ઞાન ક્યાં અને અલ્પ બુદ્ધિવાળા ભીષ્મ ક્યાં?કંઈ  ચિંતા નહીં કર,હું એકલો જ પાંડવોની સેનાને રોકી રાખીશ.

કાળના સપાટામાં આવેલા,ઘરડા,મંદબુદ્ધિ ને મિથ્યા દ્રષ્ટિવાળા ભીષ્મ એકલા જ આખા જગત સાથે નિત્ય સ્પર્ધા કરે છે અને બીજા કોઈ પુરુષને ગણકારતા જ નથી.શાસ્ત્રની આજ્ઞા છે કે વૃદ્ધોનું સાંભળવું,પરંતુ તે અતિવૃદ્ધોનું નહિ કારણકે તેઓ તો ફરી બાળક જેવા બની જાય છે.હું એકલો જ ઉત્તમ યુદ્ધ કરીને પાંડવોની સેનાને હણીશ,પરંતુ હમણાં તેનો યશ ભીષ્મને મળશે કેમ કે તમે એમને સેનાપતિ કર્યા છે.માટે હે રાજા,હું ભીષ્મ જીવતા હોય ત્યાં સુધી કોઈ રીતે યુદ્ધ કરીશ નહિ.(29)


ભીષ્મે કહ્યું-'આ ભીષણ સંગ્રામમાં મારે પરસ્પરમાં ભેદ પડાવવો નથી,અને તેથીજ હે કર્ણ,તું જીવતો રહ્યો છે.ઓ સૂતપુત્ર,હું વૃદ્ધ છું,છતાં આજે ભેદ પડવાના ભયથી જ પરાક્રમ કરીંને તારા જેવા બાળકની યુદ્ધની તથા જીવનની શ્રદ્ધાને કાપી નાખતો નથી નહિ તો,જો પરશુરામ પણ મને કંઈ વ્યથા કરી શક્યા નથી તો તું શું કરાવવાનો હતો? તારા જેવા વૈરપુરુષની સંગતિથી કૌરવો પર મોટો વિનાશકારક અનર્થ (આ યુદ્ધ) આવી પડ્યો છે,ત્યારે તું પુરુષ થઈને યત્ન કર.તું જેની સાથે સ્પર્ધા કરે છે તે અર્જુનની સામે રણમાં યુદ્ધ કર ને યુદ્ધમાંથી તને જીવતો આવેલો જોઉં,તેવું પરાક્રમ કરી બતાવ.(38)


ત્યારે દુર્યોધને ભીષ્મને કહ્યું કે-હે ગંગાપુત્ર,તમે મારા તરફ જુઓ.કાર્ય મોટું આવી પડ્યું છે તેથી તમે બંને એકાગ્ર અંતઃકરણથી મારા ઉત્તમ કલ્યાણનો વિચાર કરો ને મારુ કામ પાર પાડો એવી મારી વિનંતી છે.હવે હું શત્રુઓના ઉત્તમ રથીઓ,અતિરથીઓ કોણકોણ છે?તે સાંભળવાની ઈચ્છા રાખું છું.ને શત્રુઓનું બળાબળ સાંભળવા ઈચ્છું છું (42)

અધ્યાય-168-સમાપ્ત