અધ્યાય-૧૬૬-રથી-અતિરથીની ગણના
II भीष्म उवाच II सुदक्षिणस्तु काम्बोजो रथ एकगुणो मतः I तवार्थसिध्धिमाकांक्ष्न्योत्स्यते समरे परैः II १ II
ભીષ્મે કહ્યું-કામ્બોજરાજ સુદક્ષિણ એકગણો રથી મનાય છે,માહિષ્મતીવાસી નીલરાજા રથી છે,કે જેને સહદેવની સાથે વૈર થયેલું છે,એ તારે માટે સતત યુદ્ધ કરશે.અવંતીરાજ વિંદ અને અતિવિન્દ રથીઓમાં શ્રેષ્ઠ ગણાય છે.ત્રિગર્ત દેશના અધિપતિ પાંચ બંધુઓ ઉત્તમ રથીઓ છે.તારો પુત્ર લક્ષ્મણ અને દુઃશાસનનો પુત્ર એ બંને ઉત્તમ રથીઓ છે.કે જેઓ મહાન કર્મ કરશે.
દંડધાર રાજા,કોસલ દેશનો બૃહદબલ એકરથી છે.શરદ્વાનના પુત્ર કૃપાચાર્ય અતિરથી છે ને કાર્તિકસ્વામીના જેવા અજીત છે. જાતજાતના આયુધો તથા ધનુષોવાળી પુષ્કળ સેનાઓને તે અગ્નિની જેમ બાળતા રણભૂમિ પર ઘૂમશે (22)
અધ્યાય-166-સમાપ્ત
અધ્યાય-૧૬૭-રથી-અતિરથીની ગણના (ચાલુ)
II भीष्म उवाच II शकुनिर्मातुस्तेसौ रथ एको नराधिप I प्रयुज्य पाण्डवैवैरं योत्स्यते नात्र संशयः II १ II
ભીષ્મે કહ્યું-તારો મામો શકુનિ એકરથી છે અને પાંડવો સામે વૈરભાવ રાખીને યુદ્ધ કરશે તેમાં સંદેહ નથી.
દ્રોણનો પુત્ર મહારથી છે,જેના પરાક્રમની ગણના થઇ શકે તેમ નથી,કેમ કે તે જો ઈચ્છા કરે તો ત્રણે લોકને બાળી નાખે તેવો છે.
તેને દ્રોણે દિવ્ય અસ્ત્રો આપીને અનુગ્રહ કર્યો છે,તો પણ તેનામાં એક મોટો દોષ છે કે આયુષ્યની ઈચ્છાવાળા એ બ્રાહ્મણને હંમેશાં જીવન વહાલું છે,નહિ તો,બંને પક્ષમાં તેના જેવો બીજો કોઈ યોદ્ધો નથી.આ અશ્વસ્થામાના મહાતેજસ્વી પિતા દ્રોણ વૃદ્ધ છે,છતાં યુવાનો કરતાં શ્રેષ્ઠ છે.તે રણમાં પરાક્રમ કરશે તે વિષે સંદેહ નથી.અતિરથીઓમાં પણ અતિરથી દ્રોણ તારા હિતને માટે તીવ્ર કર્મ કરશે પરંતુ અર્જુન તેમને વહાલો છે,તેમનું આચાર્યપણું અર્જુનના ગુણથી અધિક મનાય છે એમ સંભારીને તે અર્જુનને કદી પણ મારશે નહિ,અર્જુનને તે પોતાના પુત્ર કરતાં પણ અધિક માને છે.
પૌરવરાજ ઉત્તમ રથી છે,રાજપુત્ર બૃહદબલ એકલરથી છે,કર્ણનો પુત્ર મહારથ વૃષસેન ઉત્તમ રથી છે.મધુવંશી જલસંઘ ભયંકર યોદ્ધો છે અને સંગ્રામમાં વિચિત્ર યુદ્ધો કરી જાણે છે. યુદ્ધમાં પાછી પાની નહિ કરનાર બાહલીકરાજને હું અતિરથી માનું છું.
તારો સેનાપતિ સત્યવાન,જેને તું મહારથી સમજે છે તે ઉત્તમ રથી છે ને તારે માટે રણમાં ક્ષત્રિયોને યોગ્ય એવું મોટું પરાક્રમ કરશે.ક્રૂર કર્મ કરનારો રાક્ષસરાજ માયાવી મહારથી અલંબુષ,પૂર્વ વૈરનું સ્મરણ કરીને શત્રુઓનો વિનાશ કરશે.
પ્રાગ્જ્યોતિષ નગરનો અધિપતિ ભગદત્ત યુદ્ધમાં હાથી સવારીમાં અતિકુશળ છે.પૂર્વે અર્જુને એની સામે બહુ દિવસ યુદ્ધ કર્યું હતું,પણ છેવટે પોતાના મિત્ર ઇન્દ્રને માન આપીને તેણે અર્જુન સાથે મિત્રતા કરી હતી.(38)
અધ્યાય-167-સમાપ્ત