May 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-821

 

રથાતિરથ સંખ્યાન પર્વ 

અધ્યાય-૧૬૫-ભીષ્મે દુર્યોધનને ધીરજ આપી 


II धृतराष्ट्र उवाच II प्रतिज्ञाते फ़ाल्गुनेन वधे भीष्मस्य संयुगे I किमकुर्वत मे मंदाः पुत्रा दुर्योधनादयः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-અર્જુને સંગ્રામમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા કરી,પછી મારા દુર્યોધન આદિ મૂર્ખ પુત્રોએ શું કર્યું? હું તો વાસુદેવની સહાયતાવાળા અર્જુને,સંગ્રામમાં ભીષ્મને મારી નાખ્યા હોય તેમ જ જોઉં છું.ભીષ્મે અર્જુનનું ભાષણ સાંભળીને શું કહ્યું?અને સેનાપતિપદ ગ્રહણ કર્યા પછી ભીષ્મે શું કર્યું?તે સર્વ મને કહે.

સંજયે કહ્યું-હે રાજા,ભીષ્મે સેનાપતિપદ ગ્રહણ કર્યા પછી દુર્યોધનને હર્ષ પમાડતા હોય તેમ તેને કહેવા લાગ્યા કે-

હું હાથમાં શક્તિ ધારણ કરનારા,અને દેવના સેનાપતિ કાર્તિકસ્વામીને નમસ્કાર કરીને આજે તારો સેનાપતિ થઈશ.એમાં સંદેહ નથી.શત્રુ પર ચઢાઈ કરવામાં,યુદ્ધ કરવામાં અને શત્રુના અસ્ત્રોને પાછાં પાડવામાં જેમ,બૃહસ્પતિ કુશળ છે તેમ હું પણ કુશળ છું.વળી,દૈવી,ગાંધર્વી તથા માનુષી વ્યૂહરચનામાં હું કુશળ છું,તે વ્યુહોની ગોઠવણીથી હું પાંડવોને મોહિત કરીશ,તારી સેનાનું રક્ષણ કરીશ અને નિષ્કપટ પણે વિધિ પ્રમાણે યુદ્ધ કરીશ,માટે તારા મનનો સંતાપ છોડી દે.(11)


દુર્યોધને કહ્યું-'હે ગંગાપુત્ર ભીષ્મ,મને સમસ્ત દેવોનો તથા અસુરોનો ડર લાગતો નથી.જયારે હું એકલો કોઈથી ડરતો નથી તો દુર્જય એવા તમે સેનાપતિ થયા છો,પછી મને શાનો ભય હોય?તમે અને દ્રોણ,મારો વિજય થાય એટલા માટે ઉભા છો તો મારે દેવનું રાજ્ય પણ દુર્લભ નથી,માટે ભય શાનો? હે મહાબાહુ,હું આપણા તથા શત્રુઓના રથીઓની તથા અતિરથિઓની સંપૂર્ણ સંખ્યા,આ સર્વ રાજાઓની વચ્ચે જાણવાની ઈચ્છા રાખું છું તો તે મને કહો.' 


ભીષ્મએ કહ્યું-હે ગાન્ધારીપુત્ર,તારી આ સેનામાં લાખો ને અબજો રથીઓ  છે,તેમાંના મુખ્ય મુખ્યને તું સાંભળ.

તારા દુઃશાસન વગેરે સો સહોદર ભાઈઓ તથા તું ઉત્તમ રથીઓ છો.તમે સર્વ દ્રોણ અને કૃપના શિષ્ય છો અને યુદ્ધમાં પાંચાલોનો નાશ કરશો.ભોજવંશી કૃતવર્મા અતિરથી છે.મદ્રરાજ શલ્ય અતિરથી છે કે જે વાસુદેવની નિત્ય સ્પર્ધા કરે છે અને ભાણેજોનો ત્યાગ કરીને તારા પક્ષમાં આવ્યો છે.સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા મહાધનુર્ધારી અતિરથી છે.સીંધુરાજ જયદ્રથ અતિરથી છે કે જેને દ્રૌપદીહરણ વખતે પાંડવોએ બહુ કષ્ટ આપ્યું હતું,તેથી તેણે દારુણ તપ કરીને પાંડવો સાથે યુદ્ધ કરવા અતિદુર્લભ વર મેળવ્યો છે,તેથી તે પ્રાણની દરકાર રાખ્યા વિના પાંડવો સામે ઝનુનથી યુદ્ધ કરશે (33)

અધ્યાય-165-સમાપ્ત