May 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-820

 

અધ્યાય-૧૬૪-સેનાપતિની યોજના 


II संजय उवाच II उलूकस्य वचः श्रुत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I सेनां निर्यापमासाय धृष्टध्युम्नपुरोगमाम II १ II

સંજયે કહ્યું-ઉલૂકનું કહેવું સાંભળ્યા પછી,કુંતીપુત્ર યુધિષ્ઠિરે,ધૃષ્ટદ્યુમ્નની આગેવાની હેઠળ,હાથી,ઘોડા,રથ અને પાળાવાળી ચતુરંગિણી,ભયંકર અને પૃથ્વીના જેવી અકંપ્ય સેનાને રણભૂમિ તરફ રવાના કરી.અર્જુન સહિત ભીમસેન વગેરે તે સેનાનું રક્ષણ કરતા હતા.તે સેના,નિશ્ચળ સમુદ્રના જેવી ગંભીર દેખાતી હતી.ધૃષ્ટદ્યુમ્ન આગળ રહીને તે સેનાને દોરતો હતો.તેણે પોતાના રથીઓનાં બળાબળનો તથા યુદ્ધોત્સાહનો વિચાર કરીને,તેઓની દ્વંદ્વ યુદ્ધમાં યોજના કરતાં કહ્યું કે-

અર્જુન કર્ણની સામે,ભીમ દુર્યોધનની સામે,ધૃષ્ટકેતુ શલ્યની સામે,ઉત્તમૌજા કૃપાચાર્યની સામે,નકુલ અશ્વસ્થામાની સામે,શૈબ્ય કૃતવર્માની સામે,યુયુધાન જયદ્રથની સામે,શિખંડી ભીષ્મની સામે,સહદેવ શકુનિની સામે,ચેકિતાન શલની સામે,દ્રૌપદીના પાંચ પુત્રો ત્રિગર્ત રાજાઓની સામે,અભિમન્યુ વૃષસેન તથા બીજા રાજાઓની સામે યુદ્ધ કરે કારણકે ધૃષ્ટદ્યુમ્ન,રણમાં અભિમન્યુને અર્જુન કરતાં પણ સમર્થ માનતો હતો.ધૃષ્ટદ્યુમ્ને પોતાને દ્રોણની સામે રહેવાનું નક્કી કર્યું.અને આ રીતે ધૃષ્ટદ્યુમ્ને વિધિ પ્રમાણે પાંડવોની સેનાને વિભાગ પ્રમાણે વ્યૂહમાં ગોઠવી દીધી અને પોતે સજ્જ થઈને મોખરામાં ઉભો રહ્યો (12)

અધ્યાય-164-સમાપ્ત 

ઉલૂકદૂતાગમન પર્વ સમાપ્ત