Showing posts with label Gujarati-Gita-Bhagvad Gita--As It Is. Show all posts
Showing posts with label Gujarati-Gita-Bhagvad Gita--As It Is. Show all posts

Dec 15, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-12-Bhakti Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-12-ભક્તિ યોગ




અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે,
અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? (૧)


શ્રી ભગવાન બોલ્યા- જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને
ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ માન્યા છે.(૨)


સર્વ જીવો (ભૂતો) નું હિત કરવા માં તત્પર અને સર્વ માં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો -


સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય,અવ્યક્ત,સર્વમાં વ્યાપેલા ,અચિંત્ય,કુટસ્થ,
અચળ,શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરેછે,તેઓ મને જ પામે છે.


નિર્ગુણ બ્રહ્મ ની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટ થી એ
ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાયછે.(૩,૪,૫)


કિન્તુ જેઓ મારા પરાયણ થઇ ને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુજ ધ્યાન ધરી
અનન્ય શ્રધ્ધા ભાવ થી મારીજ ઉપાસના કરેછે તથા


જેઓ પોતાનું ચિત્ત મને જ  સમર્પિત કરી દેછે એવા મારા ભક્તોનો હે પાર્થ ! હું જન્મ-મરણ રૂપી 
આ સંસાર માંથી તરત જ ઉદ્ધાર કરું છું.(૬,૭)


મનને મારા વિષે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિષે  સ્થિર કર તેમ કરવાથી આ દેહના
અંત પછી તું મારા વિષે જ નિવાસ કરીશ,એમાં શંકા ને કોઈ સ્થાન નથી.(૮)


હે ધનંજય, જો મારા સગુણ રૂપ માં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો -
અભ્યાસ ના યોગ વડે મને પામવાની ઈચ્છા કર.(૯)


અભ્યાસ નો યોગ કરવા માં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે
મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિ ને પ્રાપ્ત કરીશ.(૧૦)


જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી-
મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.(૧૧)


અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને
ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે.
આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.(૧૨)


જે સર્વ ભૂતો નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વ નો મિત્ર છે,જે કરુણા મય છે,જે મમતા રહિત
છે,જે અહંકાર રહિત છે,જે સુખ દુઃખ માં સમાન ભાવ રાખે છે ,જે ક્ષમાવાન છે,(૧૩)


જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું
મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)


જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકો ના સંસર્ગ થી જેને સંતાપ થતો નથી,
તેમજ જે હર્ષ ,અદેખાઈ ,ભય તથા ઉદ્વેગ થી મુક્ત છે તે મને પ્રિય છે.(૧૫)


મારો  જે ભક્ત સ્પૃહારહિત ,આંતર-બાહ્ય રીતે પવિત્ર,દક્ષ,ઉદાસીન,વ્યથારહિત અને સર્વ
આરંભ નો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે.(૧૬)


જે હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી,જે ઈચ્છા કરતો નથી,જે શુભ અને અશુભનો 
ત્યાગ કરનારો ભક્તિમાન છે તે મને પ્રિય છે.(૧૭)


જે શત્રુ તથા મિત્ર માં સમાનભાવ રાખે છે,માન-અપમાન માં સમ છે ,ટાઢ-તડકો,
સુખ-દુઃખ માંસમ છે,તથા સંગ થી રહિત (આસક્તિ વગરનો) છે


અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે  છે,જે મૌન ધારણ કરેછે,
જે કંઈ મળે તેમાં સંતુષ્ઠ રહેછે,જેનો નિવાસ સ્થિર નથી (સ્થળ ની આસક્તિ નથી)
જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.(૧૮,૧૯)


પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં
વર્ણવેલા ધર્મ રૂપ અમૃત નું સેવન કરેછે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.(૨૦)

અધ્યાય-૧૨-ભક્તિ યોગ-સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 14, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-11-Vishvrup Darshan Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-11-વિશ્વરૂપ-દર્શન-યોગ




અર્જુન કહે હે : ભગવાન ! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા 
ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.(૧)


હે કમળ નયન ! આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે 
તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.(૨)


હે પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે.
પરંતુ હે પુરુષોત્તમ !હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.(૩)


હે પ્રભો ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો 
હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪) 


શ્રી ભગવાન બોલ્યા : હે પાર્થ ! અનેક પ્રકારનાં, અનેક વર્ણ અને અનેક આકાર નાં 
મારા સેંકડો અને હજારો નાના પ્રકાર નાં દિવ્ય રૂપોને નિહાળ.(૫) 


હે ભારત ! આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિનીકુમાંરોને તથા મરુતોને તું નિહાળ 
વળી પૂર્વે ન જોયેલંl એવા ઘણા આશ્વર્યોને તું જો.(૬)  


હે ગુડાકેશ ! અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો.
અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.(૭)


પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ.
તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું ,મારા અલૈlકિક સામર્થ્યને તું જો.(૮)


સંજય કહે : હે રાજન ! મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું.
પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું.(૯)


અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણવાળું
અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું.(૧૦)


દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું,
સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અનંત અને સર્વ બાજુ મુખ વાળું તે સ્વરૂપ અર્જુને જોયું.(૧૧)  


આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ 
તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે.(૧૨) 


તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું 
સર્વ જગત સ્થિત થયેલું જોયું.(૧૩)


ત્યાર પછી આશ્વર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી,
બે હાથ જોડી કહેવા લાગ્યો.(૧૪)  


અર્જુન બોલ્યો : હે ભગવાન ! આપના દેહમાં હું સર્વ દેવોને, ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન  સર્વના નિયંતા બ્રહ્માજીને, 
સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.(૧૫)  


હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! આપના અગણિત બાહુ, ઉદરો, મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે.
એથી સર્વ બાજુ હું આપને અનંત રૂપવાળા જોઉં છું, 
વળી આપનો આદિ, મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી.(૧૬)  


હે પરમેશ્વર ! મુકુટ યુક્ત, હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા, તેજ ના સમૂહ રૂપ સર્વ બાજુથી
પ્રકાશિત, મુશ્કેલીથી નિહાળી શકાય તેવા, પ્રજ્જવલિત અગ્નિ તથા સૂર્યની ક્રાંતિ સમાન, નિશ્વિત કરવાને અશક્ય એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું.(૧૭)     


હે પરમેશ્વર ! આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો. 
આપ અવિનાશી છો.આપ સનાતન ધર્મ ના રક્ષક છો. આપ પુરાણપુરુષ છો એમ હું માનું છું.(૧૮)


હે વિભુ ! આપનો આદિ, મધ્ય કે અંત નથી, આપ અનંત શક્તિવાળા, અનંત બાહુ વાળા,
ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા, 
પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું.(૧૯)        


હે મહાત્મન ! આપ એકલા એ  જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. 
તથા સર્વ દિશાઓ  આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને 
અતિ ઉગ્રરૂપને જોઇને ત્રણેલોક  અત્યંત ભયભીત બની ગયંl   છે.(૨૦)


આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી 
આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ ” કલ્યાણ થાઓ ” એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે.(૨૧)


હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, 
ગંધર્વ, યક્ષ, અસુર,સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મ્સ્ય થયેલા આપને જોઈ રહ્યા છે.(૨૨)


હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા, ઘણા હાથ -પગવાળા, ઘણા ઉદર વાળા, 
ઘણી વિકરાળ દાઢોવાળા આપના આ વિશાળ રૂપને જોઇને લોકો ભય પામી રહ્યા છે 
તેમજ હું પણ વ્યથિત થઇ રહ્યો છું.(૨૩)   


હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા, પ્રજ્જવલિત અનેક વર્ણવાળા, ઉઘાડા મુખવાળા, વિશાળ 
તેજસ્વી આંખોવાળા આપને નિહાળી ને નિશ્વય થી મારો અંતરાત્મા વ્યાકુળ થઇ રહ્યો છે. 
આથી મારું મન  ધીરજ ન ધરવા થી હું શાંતિ ને પામી શકતો નથી.(૨૪)     


હે દેવેશ ! આપની વિકરાળ દાઢોવાળા, પ્રલયકાળ ના અગ્નિ સમાન આપના મુખો જોઈને 
હું દિશાઓને પણ સમજી શકતો નથી તથા મને સુખ મળતું નથી. 
હે જગનિવાસ ! આપ મારા પર પ્રસન્ન થાઓ.(૨૫)


હે વિભો ! રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે.
ભીષ્મ, દ્રોણાચાર્ય, સુતપુત્ર કર્ણ, અને અમારા સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ.(૨૬)


વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે. 
કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે.(૨૭)


જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે,
તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે.(૨૮)


જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે,
તેમ આ સર્વ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ 
આપના પ્રજ્જવલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે.(૨૯)


હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ 
આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે.(૩૦)


હે દેવશ્રેષ્ઠ ! આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો ! આપ પ્રસન્ન થાઓ. 
હું આપને નમસ્કાર કરું છું.સર્વના આદ્ય રૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું.
કેમકે આપની ગુઢ ચેષ્ટાઓને હું જાણતો નથી.(૩૧)


શ્રી ભગવાન બોલ્યા : લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું,
હાલ આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત થયો છું, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભા છે
તે તારા વગર પણ જીવંત રહેવાના નથી.(૩૨)   


હે સર્વસાચિ  ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને 
ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગવ.
તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું કેવળ નિમિત્તરૂપ બન.(૩૩)


દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે 
તેમને તું હણ. ભયને લીધે તું વ્યથિત ન થા. 
હે પાર્થ ! તું યુદ્ધ કર.રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ.(૩૪)  


સંજય કહે : ભગવાન કેશવના આ વચનો સાંભળી, બે હાથ જોડી, સંભ્રમથી કંપતો, 
મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી
ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)  


અર્જુન કહે : હે ઋષિકેશ ! આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને 
અનુરાગ પામે છે.રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાસે છે અને 
બધા સિદ્ધો ના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે.(૩૬)


હે મહાત્મન ! હે અનંત ! હે દેવેશ ! હે જગનિવાસ  ! બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો.
આદિકર્તા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે ?
આપ સત્ છો, આપ અસત્ છો. આપ તેનાથી ય પર છો. અક્ષર બ્રહ્મ પણ આપ જ છો.(૩૭)


હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ  છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો.
આપ જ્ઞાતા છો, અને જ્ઞેય છો અને આપ જ પરમ ધામ છો.(૩૮)


વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, કશ્ય પાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો.
આપને હજારો વાર નમસ્કાર હો.અને વારંવાર નમસ્કાર હો.(૩૯)


હે સર્વરૂપ પરમેશ્વર ! આપને સામેથી, પાછળથી, સર્વ તરફથી નમસ્કાર હો.
આપના બળ અને પરાક્રમ અપાર છે. આપનાથી  આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે.
તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો.(૪૦)


હે વિભુ ! આપના આ મહિમાને ન જાણનારા મેં, આપ મારા મિત્ર છો 
એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ 
હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા ! એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ મને ક્ષમા કરો.(૪૧)


હે અચુય્ત ! પરિહાસથી, વિહારમાં, સૂતાં, બેસતાં, ખાતાં-પીતાં, એકલા અથવા 
કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું જે કંઈ અપમાન કર્યું હોય 
તે બધા માટે અચિંત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો.(૪૧)


હે અનુપમ પ્રભાવ વાળા ! આપ આ ચરાચર જગત ના પિતા છો, પૂજ્ય પરમગુરુ છો. 
અધિક ગૌરવ વાળા છો. ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી.
તો આપના થી અધિક તો ક્યાંથી હોય ? (૪૩)


એટલા માટે હે ભગવન્  ! હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા 
આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું.જેમ પિતા પુત્રના અપરાધ, મિત્ર મિત્રના અપરાધ 
અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે, 
તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો.(૪૪)   


હે દેવેશ ! હે જગ નિવાસ ! પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને 
મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે. માટે 
હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાં નું મનુષ્ય સ્વરૂપ દેખાડો.(૪૫)


હે હજારભુજાવાળા ! હે વિશ્વમૂર્તિ  ! આપને મુકુટધારી, હાથમાં ગદા- ચક્ર  ધારણ કરેલા જોવાની 
મારી ઈચ્છા છે.  માટે આપ પહેલાં ની જેમ ચતુર્ભુજ સ્વરૂપ વાળા થવાની કૃપા કરો.(૪૬)


શ્રી ભગવાન કહે : હે અર્જુન ! તારા  પર  પ્રસન્ન થઈને  મેં મારા આત્મયોગના સામર્થ્ય થી તને 
મારું આ પરમ તેજોમય, સમસ્ત, વિશ્વરૂપ , અનંત, અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.
મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)


હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી, દાન વડે, ક્રિયા કર્મ વડે  અથવા ઉગ્ર તપસ્યા વડે 
મારું આ વિશ્વરૂપ આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.
કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮)


મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા.
તું ફરી ભય રહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નીહાળ.(૪૯)


સંજય કહે : આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને
ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધારણ કરી બતાવ્યું.
આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું.(૫૦)


અર્જુન કહે : હે જનાર્દન ! આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું 
તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે.(૫૧)


શ્રી ભગવાન કહે : મારું જે  વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે. 
દેવો પણ નિરંતર આ રૂપનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે.(૫૨)


તેં જે સ્વરૂપ વાળો હમણાં મને  જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી, 
ચન્દ્રાયણાદિ તાપથી, દાનથી અને યજ્ઞો થી પણ શક્ય નથી.(૫૩)  


હે પરંતપ ! હે અર્જુન ! મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું, જોવાનું અને તદ્રુપ થવાનું
એક માત્ર સાધન કેવળ અનન્ય ભક્તિ જ છે.(૫૪)


હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, ઉપાધિરહિત અને 
સર્વ ભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે.અને તે જ મને પામે છે.(૫૫)  

અધ્યાય-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 13, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-10-Vibhuti Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-10-વિભૂતિયોગ












શ્રી ભગવાન કહે : હે મહાબાહો  ! ફરીથી તું મારા પરમ વચનો  સાંભળ; તને મારા ભાષણ થી 
સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.(૧)


દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી, કેમ કે હું સર્વ રીતે 
દેવો અને મહર્ષિઓનું  આદિ કારણ છું.(૨)


જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોનો મહાન અધિપતિ ઈશ્વર તત્વથી 
ઓળખે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.(૩)


બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ, ઉત્પતિ, વિનાશ, ભય અભય અને.(૪)


અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન,યશ, અપયશ વગેરે સર્વ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો 
પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન થાય છે.(૫)


પ્રાચીન સપ્તર્ષિઓ અને તેમની પહેલાં થઇ ગયેલા બ્રહ્મદેવના સનતકુમાર આદિ ચાર માનસપુત્રો 
તથા ચૌદ મનુઓ મારામાં ભાવવાળા બધા જ મારા સંકલ્પથી ઉત્પન થયેલા છે. અને 
તેમનાથી જ જગતનાં સર્વ પ્રાણીઓ ઉત્પત્તિ થઇ છે.(૬)


જે પુરુષ મારી પરમ અશ્વર્યરૂપ વિભૂતિને એટલેકે મારા વિસ્તારને અને 
યોગશક્તિને (ઉત્પન કરવાની શક્તિને) તત્વથી જાણે છે તે પુરુષ નિશ્વલ ધ્યાનયોગથી મારામાં 
ઐક્ય ભાવથી સ્થિત થઇ સમ્યગદર્શન ના યોગવાળો થાય છે, એમાં  સંશયને સ્થાન નથી.(૭)


હું – (શ્રી કૃષ્ણ) જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું. મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય છે. 
એમ તત્વથી જાણીને શ્રદ્ધા- ભક્તિયુક્ત થયેલા જ્ઞાનીજનો મને –પરમેશ્વરને નિરંતર ભજે છે.(૮)


તે જ્ઞાનીઓ નિરંતર મારામાં ચિત્ત રાખી, મારામય રહી મને સર્વસ્વ અર્પણ કરનારા ભક્તજન 
મારા વિષે બોધ આપતા ગુણ અને પ્રભાવ સાથે મારું કીર્તન કરતાં નિરંતર સંતુષ્ટ રહે છે 
અને મારામાં લીન રહે છે.(૯)


સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને જ ભજનારા જ્ઞાનીજનો છે તેમને 
તત્વજ્ઞાનયોગથી હું પ્રાપ્ત થઇ શકું તેવો બુદ્ધિયોગ આપું છું.(૧૦)


તેમના પર અનુગ્રહ કરવા તેમના અંત:કરણમાં ઐક્યભાવથી સ્થિત થઈને પ્રકાશિત 
તત્વજ્ઞાનરૂપી દીપકના યોગથી તેમનો અજ્ઞાનજન્ય અંધકાર હું નષ્ટ કરું છું.(૧૧)


અર્જુન કહે : હે વિભુ ! આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. 
આપ સનાતન દિવ્ય પુરુષ, દેવાધિદેવ આદિદેવ, શાશ્વત અને સર્વવ્યાપક છો.(૧૨)


એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે. 
ને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.(૧૩)

હે કેશવ ! આપ જે કંઈ મને કહી રહ્યા છો, તે સર્વ હું સત્ય માનું છું. હે ભગવાન ! 
દેવો અને દૈત્યો પણ આપનું સ્વરૂપ જાણી શક્યા નથી.(૧૪)


હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન ! હે ભૂતેશ ! હે દેવાધિદેવ ! હે જગતપતિ ! 
આપ સ્વયં આપના સામર્થ્યથી આપને જાણો છો.(૧૫)


હે મહારાજ  ! તમારી અનંત વિભૂતીઓમાંથી જેટલી વ્યાપક, શક્તિશાળી તથા તેજસ્વી હોય, 
તે બધી મને હવે જણાવો. હે અનંત ! તમારી જે વિભૂતિઓ ત્રણેલોકમાં વ્યાપ્ત થઇ રહી છે, 
તેમાંથી જે મુખ્ય અને પ્રસિદ્ધ છે તે મને કહો.(૧૬)


હે યોગેશ્વર ! સતત આપનું ચિંતન કરનારો હું આપને કયી રીતે જાણી શકું? 
હે ભગવન્  ! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો ? (૧૭)


હે જનાર્દન ! તમારો એ યોગ અને વિભૂતિ મને ફરી વિસ્તારપૂર્વક કહો, કેમ કે 
તમારી અમૃતમય વાણી ગમે તેટલી વાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી.(૧૮)


શ્રી ભગવાન કહે છે : હે કુરુશ્રેષ્ઠ ! હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ 
કારણ કે મારા વિસ્તારનો અંત નથી.(૧૯)


હે ગુડાકેશ ! સર્વ ભૂતોના અંતરમાં રહેલો સર્વનો આત્મા હું છું. 
સર્વ ભૂતોનો આદિ,મધ્ય અને તેનો અંત પણ હું છું.(૨૦)


હે પાર્થ ! અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું. 
પ્રકાશવંતોમાં સૂર્ય હું છું.ઓગણપચાસ વાયુદેવતાઓમાં મરીચિ નામનો વાયુદેવ હું છું 
અને નક્ષત્રોમાં નક્ષત્રાધીપતિ ચંદ્રમા હું છું.(૨૧)


વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.(૨૨)


અગિયાર રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું,
આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.(૨૩)


હે પાર્થ ! પુરોહિતમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ મને જાણ. 
સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું.(૨૪)


સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર અર્થાત  કાર હું છું , 
સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને અચળ વસ્તુઓમાં હિમાલય હું છું.(૨૫)


સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું 
અને સિદ્ધોમાં કપિલમુનિ હું છું.(૨૬)


અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચૈ:શ્રવા અશ્વ હું છું, ઉત્તમ હાથીઓમાં 
ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમજ.(૨૭)


આયુધોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનું હું છું, 
પ્રજાને ઉત્પન કરનાર કામદેવ હું છું, સર્પોમાં વાસુકિ સર્પ હું છું.(૨૮)

નાગોમાં નાગરાજ અનંત હું છું, જળદેવતાઓમાં વરુણ હું છું, 
પિતૃઓમાં અર્યમા નામના પિતૃદેવ હું છું અને નિયમન કરનારામાં યમ હું છું.(૨૯)


દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.(૩૦)


પવિત્ર કરનારા પદાર્થોમાં હું છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું, જળચરોમાં મગર હું છું 
અને નદીઓમાં ગંગા હું છું.(૩૧)


હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું, 
સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા-બ્રહ્મવિધા હું છું, વાદવિવાદ કરનારાઓમાં વાદ હું છું.(૩૨)


અક્ષરોમાં ‘ અ ‘કાર હું છું, સમાસોમાં દ્વંદ સમાસ હું છું તથા અક્ષયકાળ અને 
વિરાટ સ્વરૂપ ધરી સર્વને ધારણ –પોષણ કરનારો પણ હું છું.(૩૩)


સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, 
નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.(૩૪)


ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું, 
છંદોમાં ગાયત્રીછંદ હું છું, મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.(૩૫)


છલ કરનારાઓમાં ધૃત (જુગાર) હું છું, પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું, જીતનારાઓનો 
વિજય હું છું, નિશ્વય કરનારાઓનો નિશ્વય હું છું, સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું.(૩૬)


વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ  હું છું અને પાંડવોમાં અર્જુન હું છું, મુનિઓમાં વેદવ્યાસ હું છું 
અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું.(૩૭)


દમન કરનારાઓની દમનશક્તિ હું છું, જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું, 
ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્વજ્ઞાન પણ હું છું.(૩૮)


હે અર્જુન ! સર્વ ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી.(૩૯)


હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. 
મારી જે વિભૂતિઓનો વિસ્તાર છે તે મેં તને ટૂંકમાં કહી સંભળાવ્યો.(૪૦)


હે પાર્થ  !   જે પણ  વિભૂતિયુક્ત, અશ્વર્યયુક્ત, શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય 
તે મારા તેજના અંશરૂપ છે એમ તું જાણ.(૪૧)


અથવા હે અર્જુન ! મેં જે આ ઘણી વાતો તને સંભળાવી તે જાણવાનું પ્રયોજન શું છે? 
હું આ સંપૂર્ણ જગતને મારી યોગમાયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું, 
માટે મને જ તત્વથી જાણવો જોઈએ.(૪૨)    


અધ્યાય-૧૦ - વિભૂતિયોગ સમાપ્ત.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE